Columns

મિખાઈલ ગોર્બાચેવનું ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકા

21 ડિસેમ્બર 1991ના રોજ, સોવિયત સંઘના અગિયાર રાજ્યોના વડાઓ કઝાકિસ્તાનની રાજધાનીમાં ભેગાં થયા હતા. તેમની સામે બે કામ હતાં; સોવિયત સંઘની કેન્દ્રિય નેતાગીરીમાંથી આઝાદ થવાની ઘોષણા પર હસ્તાક્ષર કરવા અને સંઘના અંતિમ પ્રેસિડેન્ટ મિખાઈલ ગોર્બાચેવની નિવૃત્તિની યોજના બનાવવી. એ યોજનામાં, તેમને રહેવા માટે ઘર, તેમના ફાઉન્ડેશન માટે જગ્યા અને દર મહીને 140 ડોલરનું પેન્શન આપવાનો સમાવેશ થતો હતો. એ ટેબલ પર, નવાં આઝાદ ગણરાજ્યોમાં સૌથી વધુ તાકાતવર રશિયાના નવ નિયુક્ત પ્રેસિડેન્ટ બોરિસ યેલ્તસિન પણ બેઠા હતા. યેલ્તસિન દાયકાથી ગોર્બાચોવના રાજકીય પ્રતિસ્પર્ધી હતા.

ગોર્બાચેવને પરાજિત કરીને રશિયાની કમાન હાથમાં લેવાનું તેમનું સ્વપ્ન આજે પૂરું થઇ રહ્યું હતું. તેની તેમને કેટલી ખુશી હતી તેનો અંદાજ એ હકીકતમાં હતો કે પૂરી મિટિંગ દરમિયાન યેલ્તસિન એક પછી એક શરાબના પેગ ખાલી કરી રહ્યા હતા. એક તબક્કે એ એટલા પીધેલા હતા કે ટેબલ પર માથું નમાવીને બેઠા રહ્યા હતા. વચ્ચે-વચ્ચે એ સહેજ ભાનમાં આવતા અને “તમે કહો છો તે બરાબર છે”એવું બોલીને પાછા માથું નીચે ઢાળી દેતા હતા. મિટિંગના અંતે તેમને પકડીને બહાર લઇ જવા પડ્યા હતા. “આ કેટલું ખરાબ છે! આ માણસ રશિયાનું સંચાલન કરવાનો છે?”આર્મેનિયાના પ્રેસિડેન્ટ લેવોન તેર-પેટ્રોસિયને યેલ્તસિનના એક મદદનીશના કાનમાં ગુસપુસ અવાજમાં કહ્યું હતું, “તમે લોકો કેવી રીતે જીવશો? અમને તમારી જરાય ઈર્ષ્યા થતી નથી.”

જે માણસે ચાર દાયકા જૂના શીતયુદ્ધનો અંત લાવવામાં અને દુનિયાને ન્યુક્લિયર તબાહીમાંથી બચવવા માટે ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી તે મિખાઈલ ગોર્બાચેવ (2 માર્ચ 1931-30 ઓગસ્ટ 2022) હવે એક એવા નેતાના હાથ નીચે અને એક એવા રશિયન સમાજમાં જીવવાના હતા, જ્યાં ડગલેને પગલે તેમની મજાક ઉડવાની હતી, અપમાન થવાનું હતું, અન્યાય થવાનો હતો. ઘણા દેશોને પોતાના જ નાયકોનું અવમુલ્યન કરવામાં પિશાચી આનંદ આવતો હોય છે. જેવી રીતે ભારતમાં મહાત્મા ગાંધી અને પંડિત નહેરુનું થઇ રહ્યું છે, રશિયામાં ગોર્બાચેવનું પણ એવું જ થયું હતું.

ગોર્બાચેવના જીવનની ડબલ વાસ્તવિકતા હતી. એક તરફ વોશિંગ્ટન, લંડન અને પેરિસનો બૌદ્ધિક વર્ગ તેમની આરતી ઉતારતો હતો, જયારે ઘર આંગણે રશિયન લોકો તેમની ઘૃણા કરતા હતાં. રશિયાના મોટાભાગના લોકો તેમને સોવિયત સામ્રાજ્યના પતન માટે જવાબદાર માને છે, જયારે બાકીની દુનિયા તેમને એક એવા નેતા તરીકે યાદ રાખે છે જેમણે રશિયાને આધુનિકતા અને સ્વતંત્રતાના માર્ગ પર દોડતું કર્યું હતું.

એંસીના દાયકાથી જે લોકો પરિચિત હશે, તેમને તે વખતનાં વર્તમાનપત્રો અને પત્રિકાઓમાં આવતા બે શબ્દો યાદ હશે; ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકા. આ બે રશિયન શબ્દોમાં ગોર્બાચેવની બહુ ચર્ચીત રાજકીય કારકિર્દીનો સમાવેશ થાય છે. 1985માં ગોર્બાચેવ સોવિયત સંઘની કમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી બન્યા, તેના થોડા જ વખતમાં તેમણે આ બે શબ્દોને પ્રચલિત બનાવ્યા હતા. ગ્લાસનોસ્ત એટલે ખુલ્લાપણું અને પેરિસ્ત્રોઈકા એટલે પુનર્નિર્માણ.

ગોર્બાચેવે સોવિયતની કમાન સંભાળી ત્યારે દેશ પ્લાન્ડ ઈકોનોમી એટલે કે પૂર્વનિયોજિત અર્થવ્યવસ્થાની નિષ્ફળતા આંખે દેખાય તેવી હતી (પ્લાન્ડ ઈકોનોમીમાં કર્મચારીઓનાં વેતન, વસ્તુઓની કિંમત, ઉત્પાદન વગેરે સરકાર નક્કી કરે). ગોર્બાચેવને લાગ્યું હતું કે અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ (પેરિસ્ત્રોઈકા) કરવું અનિવાર્ય છે અને બજારોને છૂટો દોર આપવો પડશે. તેમણે માત્ર અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ સોવિયત સમાજની નીતિ-રીતિમાં પણ પુનર્નિર્માણને ઉત્તેજના આપ્યું હતું.  1985ના એક ભાષણમાં તેમણે કહ્યું હતું, “દીવા જેવું છે, કોમરેડ, કે આપણે બદલાવાની જરૂર છે. આપણે સૌએ.”

ગ્લાસનોસ્ત એ જ પુનર્નિર્માણનો હિસ્સો હતું. તેમને લાગ્યું હતું કે અર્થવ્યવસ્થામાં મૂડીવાદી વિચારોને સામેલ કરવાની સાથે સોવિયત સમાજે લોકતાંત્રિક મૂલ્યો પણ અપનાવવાં પડશે. બીજી રીતે કહીએ તો, ગોર્બાચેવ ઇચ્છતા હતા કે સમાજ વધુ પારદર્શી અને ઉદાર બને, સરકાર મીડિયા પરનું નિયંત્રણ જતું કરે, મુક્ત અભિવ્યક્તિને જગ્યા આપે અને લોકો તેમની ઈચ્છા પ્રમાણે જીવે. 1986ના ભાષણમાં ગોર્બાચેવે કહ્યું હતું, “જે લોકો જૂની પરંપરાઓ અને દ્રષ્ટિકોણો મુજબ તાજા અવાજ, ન્યાયી અવાજને દબાવા માંગતા હોય, તેમણે દુર હટી જવું જોઈએ.”

સોવિયત ઈતિહાસમાં ગોર્બાચેવનો ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકા એક ક્રાંતિકારી વિચાર હતો. તે વખતે સોવિયત સમાજની સ્થિતિ કેવી હતી અને કેમ ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકાનો વિચાર આકર્ષક બની ગયો, તેનો એક દિલચસ્પ કિસ્સો છે. તે વખતે એક અમેરિકન ટોક-શો સોવિયત સમાજમાં પણ લોકપ્રિય હતો. તેના હોસ્ટે એકવાર સ્ટુડીઓમાં એકત્ર થયેલી સોવિયત સ્ત્રીઓને પૂછ્યું હતું, “અમારા દેશનાં વિજ્ઞાપનોમાં સેક્સ બહુ હોય છે. તમારે ત્યાં ટેલીવિઝનમાં પણ વિજ્ઞાપનો હોય છે?”

પ્રેક્ષકોમાં હાજર લેનિનગ્રાડની એક મહિલા, લ્યુન્ડમિલા ઈવાનોવા, જવાબમાં બોલી, “અમારે ત્યાં સેક્સ નથી હોતો અને અમે તેના ઘોર વિરોધી છીએ.” આ સાંભળીને બીજી એક મહિલાએ બૂમ પાડીને તેને સુધારી, “અમારે ત્યાં સેક્સ હોય છે, પણ વિજ્ઞાપનો નથી હોતાં.”સોવિયત સંઘ જાણે એક સદી પાછળ જીવતું હોય તેવું હતું, અને મિખાઈલ ગોર્બાચેવે તેને ઉદાર અને આધુનિક બનાવીને બાકી દુનિયાની બરોબર મુકવા પ્રયાસ કર્યો હતો. 25 ડિસેમ્બર 1991ના રોજ સોવિયત સંઘના વિલયની ઘોષણા કરતાં તેમણે ટીવી પર જીવંત પ્રસારણમાં કહ્યું હતું;

“નિયતિમાં લખાયેલું હતું કે મેં જયારે રાજ્યની કમાન સંભાળી ત્યારે દેખીતી રીતે જ આ દેશમાં કંઈક ખરાબી હતી. આપણી પાસે બધું જ પુષ્કળ હતું; જમીન, તેલ, ગેસ અને અન્ય પ્રાકૃતિક સંસાધનો. ઈશ્વરે આપણને બુદ્ધિ અને પ્રતિભા પણ આપી હતી- છતાં આપણે બીજા ઔદ્યોગિક રાષ્ટ્રોના લોકોની સરખામણીમાં બદતર હાલતમાં જીવીએ છીએ અને એ અંતર સતત વધી રહ્યું છે. દેશ આશા ગુમાવી રહ્યો હતો. આપણે આવી રીતે જીવતા ન રહી શકીએ. આપણે બધું જ ધરમૂળથી બદલવું પડે તેમ હતું. આ કારણથી મને જરાય અફસોસ નથી કે મહામંત્રી તરીકે હું થોડા વધુ વર્ષ સુધી સત્તામાં ચીટકી ન રહ્યો. મારા પક્ષે એ અનૈતિક અને બેજવાબદાર ગણાય. મને ભાન થયું હતું કે આપણા જેવા સમાજમાં આટલો મોટો સુધાર કરવો અઘરો અને જોખમી હતું, પણ આજે મને લાગે છે કે 1985માં આપણે જે લોકતાંત્રિક સુધારા કર્યા હતા તે ઐતિહાસિક રીતે સાચી દિશામાં હતા. હું થોડા સંદેહ પણ તમારામાં આશા સાથે મારા હોદ્દાનો ત્યાગ કરું છું. આપણે એક મહાન સામ્રાજ્યના વારસદાર છીએ અને તેને એક આધુનિક અને ગૌરવશાળી દેશ બનાવીશું.”
અલવિદા, મિખાઈલ ગોર્બાચેવ.

Most Popular

To Top