Comments

સર્વશિક્ષા અભિયાનનો સાચો અર્થ શોધીએ…

નિરક્ષરતા એ આપણું કલંક છે એવું મહાત્મા ગાંધી માનતા અને 1981 સુધી દેશની 36% વસ્તી જ અક્ષરજ્ઞાન ધરાવતી હતી. આ સમયે શિક્ષણવિદોએ સૂચવ્યું કે બાળકોને તો શાળામાં મોકલી ભણાવી શકાશે, પણ જેમની ઉંમર શાળામાં જવાની નથી એમને કેવી રીતે ભણાવવાં? તે વિચારો અને આવ્યું ‘‘પ્રૌઢ શિક્ષણ’’ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રૌઢ શિક્ષા અભિયાન ચલાવાયું. વળી રાજ્યના ગરીબ- પછાત જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવવા સાક્ષરતા અભિયાન ચલાવાયું અને સરકારે ‘‘શિક્ષણનો અધિકાર’’મૂળભૂત અધિકાર ગણ્યો ત્યારથી સર્વશિક્ષા અભિયાનની વાત નથી કરવી. આપણે વાત કરવી છે ખરા અર્થમાં ‘‘સર્વ શિક્ષા’’ની.

આપણી ઔપચારિક શિક્ષણની વ્યવસ્થામાં આજે પણ બે પ્રશ્નો છે, જેનો વિચાર સમાજે કરવાનો છે. સમાજના શિક્ષિત વર્ગે કરવાનો છે અને આ બે પ્રશ્નમાં એક તો જે શાળા કોલેજમાં ભણતાં નથી તેમને શિક્ષણ કઈ રીતે મળે અને બે જે શાળા કોલેજમાં ભણાવાતું નથી તે કઈ રીતે ભણાવવું! ટૂંકમાં જે શાળા કોલેજમાં ભણતાં નથી અને જે ભણાવાતું નથી એ સમાજમાં કેવી રીતે પહોચાડવું? એ ખરું સર્વ શિક્ષા અભિયાન છે.

શાળા કોલેજમાં નથી ભણતાં એ બે પ્રકારનાં લોકો છે. એક તો એ જેમની ભણવાની ઉંમર છે પણ અંતરિયાળ ગામડામાં રહે છે. ખૂબ ગરીબ છે. શૈક્ષણિક સગવડોથી દૂર છે તેવાં બાળકો ભણતાં નથી અને બીજાં ઉંમરવાન લોકો.. જે પહેલાં ભણતાં હતાં.. હવે પોતે પોતાના વ્યવસાય કરે છે. શિક્ષણની ચર્ચામાં મોટે ભાગે શાળામાં ભણતાં બાળકોને શું ભણાવવું તેની જ ચર્ચા થાય છે. પણ આ બાળકો રોજ જેની સાથે રહે છે, જેમનાં વાણી-વર્તનને સતત જોયા કરે છે. તે વાલી- એટલે કે વડીલોને ભણવાની વાત કોઈ નથી કરતું!

વેકેશન એ આ સંદર્ભે ખરેખર સર્વશિક્ષા અભિયાન બની શકે! આપણે આ સમયગાળામાં બાળકોને એ શિખવાડવું જોઈએ કે જે તેને શાળામાં, ઐાપચારિક શિક્ષણમાં ભણવા નથી મળતું! વડીલોએ પણ એ શીખવું જોઈએ, જાણવું જોઈએ જે તેઓ ભણતાં હતાં ત્યારે ભણવામાં નહોતું આવતું! આપણા સમાજમાં એક સામાન્ય સમાજ પ્રવર્તે છે તે એ છે કે ભણવાનું બધું બાળકોને જ હોય અને ભણાવવાનું બધું શાળાએ જ હોય! ના, આપણી આ લેખમાળામાં આપણે વારંવાર આ વાત લખી છે કે શાળા કોલેજના ઔપચારિક અભ્યાસક્રમમાં ડીગ્રીલક્ષી બાબતો ભણાવાય છે. જીવનલક્ષી બાબતો તે માણસ જાતે જ શીખે છે. અનુભવથી અને અનુભવી લોકોના માર્ગદર્શનથી.

જરા વિચારો, આજે જેઓ પચાસ વર્ષના કે સાઈઠ વર્ષનાં છે તેઓ શાળા કોલેજમાં ભણતાં હતાં ત્યારે મોબાઈલ, કોમ્પ્યુટર, ચેનલો, ડીજિટલ મિડિયા.. આ બધું હતું? આ બધું જ તેમના શિક્ષણ પત્યા પછી આવ્યું છે. ઔપચારિક અભ્યાસક્રમો ભણતાં ત્યારે આવું બધું આવશે તેનો અણસાર પણ ન હતો. છતાં આજે તમામ વડીલો પચાસ ઉપરની ઉંમરનાં લોકો આ તમામ બાબતોનો ઉપયોગ કરે છે, જે સ્ત્રીઓને સમાજે ભણવા નથી દીધી તે પણ તમામ ઈલેક્ટ્રોનિક આઈટમ વાપરે છે. જો જરૂરિયાત અને સગવડ માટે નવું નવું શીખી શકાય તો સમજાય અને જ્ઞાન માટે નવું કેમ ન શીખી શકાય? આપણે શાળા કોલેજ છોડ્યા પછી વાંચતા નથી.. કેમ? વાંચવું જોઈએ! જેનાથી માહિતી મળે, જ્ઞાન વધે, સમજણ વધે!

ઓછામાં ઓછું આ વેકેશન પૂરતું તો આ કરવું જોઈએ.. જેમ ઉંમર થતાં થોડી શારીરિક કસરત, થોડો ખોરાકમાં બદલાવ થાય તેમ ઉંમર સાથે વાચન અને સમજણ માટે પણ પ્રયત્નપૂર્વક બદલાવ લાવવો જરૂરી છે. નોકરી- ધંધા કરનારા માત્ર આ એક મહિનો રોજે કલાક વહેલાં ઘરે આવે, બાળકો, કિશોરો સાથે વાર્તા, નવલકથા, છાપામાં આવેલા લેખ, સામયિકો વગેરે વિશે વાત કરે! ક્યારેક શુધ્ધ સાહિત્યની વાત થાય, ક્યારેક સંગીતની, ક્યારેક વિજ્ઞાનની, તો ક્યારેક રસોડામાં ગવારના વઘારમાં અજમો વપરાય કે રાઈ તેની વાત થાય!

આપણે સૌ જાણીએ છીએ, આપણાં વક્તાઓ કહે પણ છે કે પરિવારોએ સાથે બેસીને વાત કરવાનું છોડી દીધું છે! પણ એ શરૂ કરવાની ના કોણ પાડે છે! આપણાં યુવાન બાળકોને બેસાડો અને તેને પૂછો કે તેને આપણા સમાજ જીવનમાં, આપણા રાજકારણમાં, ધાર્મિક વિચારધારામાં શું સારું લાગે છે! શું બદલાવ જેવું! એને સમજાવો કે જેમ તને થાય છે કે ‘‘પપ્પા કાયમ સાચા ન હોય’’તેમ ‘‘તું પણ કાયમ સાચો ન હોય’’. તમારા ગમતા નેતા કાયમ સાચા ન હોય, તમારો ગમતો પક્ષ કાયમ બરાબર ન હોય, તમારા મિત્રો જૂદો વિચાર રાખી શકે…

વેકેશન એ આ અર્થમાં જે ‘‘નથી ભણતાં’’અને ‘‘જે નથી ભણાવાતું’’તે ભણાવવાનો સમયગાળો છે. આ સર્વ શિક્ષા અભિયાન સમાજે ચલાવવા જેવું છે..બાળકને જે શાળામાં નથી મળવાનું! જે પરીક્ષામાં નથી પૂછવાનું! જેનું ટ્યુશન નથી રાખવાનું તે શીખવાડવાની જવાબદારી આપણી છે અને આપણે પોતે પણ ભણતાં રહેવાની આપણી જવાબદારી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top