National

લખમીપુર ખેરીમાં ખેડૂતોની હત્યાના કેસમાં મંત્રીના દીકરાને બચાવવાના સરકાર પ્રયાસ કરતી હોવાના આક્ષેપ

કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Wadra) રવિવારે લખીમપુર ખેરી હિંસા (Lakhmipur Kheri Case) કેસમાં કેન્દ્રીય મંત્રીના પુત્રને બચાવવા બદલ સરકાર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ભાજપના (BJP) નેતાઓ અને તેમના ‘અબજોપતિ મિત્રો’ સિવાય દેશમાં કોઈ સુરક્ષિત નથી. હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મોત થયાના થોડા દિવસો બાદ વાડ્રાએ પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) મતવિસ્તાર વારાણસીમાં ‘કિસાન ન્યાય રેલી’ (Kisan Nyay Rally) દરમિયાન આ વાત કહી હતી. આ મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની ધરપકડ કરવામાં આવી હતી.

  • મહાત્મા ગાંધી દેશની આઝાદી માટે લડ્યા હતા, જેથી ગરીબો અને મજૂરોને ન્યાય મળી શકે. પરંતુ, આ સરકારના કારણે લોકોએ ન્યાયની આશા છોડી દીધી છે.

કૉંગ્રેસી નેતાએ વડાપ્રધાન પર પણ પ્રહાર કરતા કહ્યું કે, તેઓ દેશ અને વિદેશમાં પ્રવાસ કરે છે, પરંતુ તેમના નિવાસસ્થાનથી માત્ર 10 મિનિટના અંતરે કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવાનો સમય નથી. વડાપ્રધાને તાજેતરમાં એક પ્રદર્શન માટે લખનૌની મુલાકાત લીધી હતી. પરંતુ, દેશને આઝાદી અપાવનારા ખેડૂતોના આંસુ લૂછવા માટે માત્ર બે કલાકના અંતરે લખીમપુર ખેરી પહોંચી શક્યા નથી.

પ્રિયંકાએ કહ્યું કે, મહાત્મા ગાંધી દેશની આઝાદી માટે લડ્યા હતા, જેથી ગરીબો અને મજૂરોને ન્યાય મળી શકે. પરંતુ, આ સરકારના કારણે લોકોએ ન્યાયની આશા છોડી દીધી છે. કૉંગ્રેસી નેતાએ આરોપ લગાવ્યો કે, આ દેશમાં (કેન્દ્રીય) ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ ખેડૂતોને તેમની કાર નીચે કચડી નાખ્યા હતા, પરંતુ સરકાર તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રિયંકાએ કહ્યું કે, લોકોએ સત્તામાં રહેલા લોકો સામે ન્યાય માટે દબાણ કરવું જોઈએ.

તેમણે કહ્યું કે, કૉંગ્રેસના કાર્યકરો કોઈનાથી ડરતા નથી, પછી ભલે તેમને જેલમાં મોકલવામાં આવે અથવા તેમને મારવામાં આવે. કેન્દ્રીય રાજ્ય મંત્રી (અજય મિશ્રા) રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે લડવાનું ચાલુ રાખીશું. અમારી પાર્ટી દેશની આઝાદી માટે લડી રહી છે અને કોઈ અમને ચૂપ કરાવી શકે નહીં.

Most Popular

To Top