National

કેરળમાં કોવિડના નવા વેરિએન્ટનો પ્રવેશ, વાયરસને કારણે બે લોકોના મોત

કેરળ: કેરળમાં (Keral) કોવિડને (Covid) કારણે બે લોકોના મોત (Death) થયા છે, જેના કારણે દેશમાં ફરી એકવાર કોરોના (Corona) વાયરસનો ભય ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેરળમાં કોવિડને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારબાદ આરોગ્ય વિભાગે રાજ્યભરમાં વાયરસને લઈને એલર્ટ (Alert) જાહેર કર્યું છે. એટલું જ નહીં કર્ણાટક (Karnatak) અને તમિલનાડુ (Tamil Nadu) જેવા પડોશી રાજ્યોમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને હોસ્પિટલોને (Hospital) એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવી છે.

ધ હિંદુના અહેવાલ મુજબ મૃત્યુ પામેલાઓમાં કોઝિકોડ જિલ્લાના વટ્ટોલીના 77 વર્ષીય કાલિયટ્ટુપરમબાથ કુમારન અને કન્નુર જિલ્લાના પનુરના 82 વર્ષીય પલક્કંડી અબ્દુલ્લાનો સમાવેશ થાય છે. શુક્રવારે કુમારનના મૃત્યુ પછી, લેબ ટેસ્ટમાં પુષ્ટિ થઈ કે કોવિડ તેના મૃત્યુનું કારણ હતું. શનિવારે, કોઝિકોડની ખાનગી હોસ્પિટલમાં ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની સારવાર દરમિયાન ચેપને કારણે અબ્દુલ્લાનું મૃત્યુ થયું હતું.

દેશના આ દક્ષિણી રાજ્યમાં કોવિડ JN.1 નું નવું પેટા વેરિઅન્ટ મળી આવ્યું છે. 8 ડિસેમ્બરે, તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમમાંથી RT-PCR પોઝિટિવ સેમ્પલમાં સબ-વેરિઅન્ટ મળી આવ્યું હતું. 18 નવેમ્બરે RT-PCR દ્વારા 79 વર્ષીય મહિલાના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જે સંક્રમિત જોવા મળી હતી. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) ના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગઈ છે.

પીટીઆઈના જણાવ્યા અનુસાર, તામિલનાડુમાં કોવિડને રોકવા માટેના તમામ સાવચેતીના પગલાં લેવાનું શરૂ થઈ ગયું છે. આરોગ્ય પ્રધાન મા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગના અધિકારીઓને વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં લેવા કહેવામાં આવ્યું છે અને જો કોઈ ચોક્કસ વિસ્તારમાં કેસમાં વધારો જોવા મળે છે અને તાવના કેસ નોંધાય છે, તો RTPCR પરીક્ષણો હાથ ધરવામાં આવશે. માટે 15 ડિસેમ્બર સુધી તમિલનાડુમાં ચેપના 36 કેસ નોંધાયા હતા.

આરોગ્ય અધિકારીઓએ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કડક દેખરેખ રાખવા જણાવ્યું છે. તાવના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, લો બ્લડ પ્રેશર અને ખાવામાં તકલીફ હોય તેમને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવા માટે કહેવામાં આવ્યું છે. કોવિડ-19ના લક્ષણો ધરાવતા લોકોને પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે જે લોકો એન્ટિજેન ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે તેમણે RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ.

Most Popular

To Top