Science & Technology

ઇસરોનું ગગનયાન મિશન પહેલાં ટેસ્ટિંગ માટે તૈયાર, આ તારીખે થશે લોન્ચ

નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ એજન્સી ઇસરો (ISRO) ચંદ્રયાન-3 (Chandrayaan-3) અને આદિત્ય-L1 (Aditya L-1) મિશનની સફળતા બાદ પોતાના આગળના મિશન ગગનયાન (Gaganyaan) માટે જોરશોરથી તૈયારી કરી રહ્યુ હતું. જે હવે તેની પહેલી ઉડાન ભરવા માટે તૈયાર છે. આ ગગનયાન મિશનનું પહેલું લોન્ચિંગ ટેસ્ટિંગ માટે કરવામાં આવશે. કેન્દ્રીય સાંયન્સ અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જાહેરાત કરતાં કહ્યું કે ISRO 21 ઓક્ટોબર 2023ના રોજ તેના ગગનયાન મિશનનું પ્રથમ ટેસ્ટિંગ લોન્ચ કરશે. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, તેને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ (TV-D1) પણ કહેવામાં આવી રહ્યું છે.

આ લોન્ચિંગમાં ગગનયાન મોડ્યુલને અવકાશમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે તેને બાહ્ય અવકાશમાં મોકલવામાં આવશે. ફ્લાઇટ દરમિયાન નેવિગેશન, સિક્વન્સિંગ, ટેલિમેટ્રી, એર્ન્જી વગેરેનું પરીક્ષણ કરવામાં આવશે. પછી તે જમીન પર પાછુ ફરશે. અબોર્ટ મિશન પૂર્ણ કર્યા પછી, ભારતીય નૌકાદળની ટીમ બંગાળની ખાડીમાંથી ક્રૂ મોડ્યુલને પુનઃપ્રાપ્ત કરશે. એબોર્ટ ટેસ્ટનો અર્થ એ છે કે જો કોઈ સમસ્યા સર્જાય તો અવકાશયાત્રી સાથે આ મોડ્યુલ તેમને સુરક્ષિત રીતે નીચે લાવી શકશે કે કેમ. ગગનયાન મિશનના આગળના તમામ આયોજનની રૂપરેખા આ પરીક્ષણ ફ્લાઇટની સફળતાને આધારે નક્કી કરવામાં આવશે. આ પછી આવતા વર્ષે બીજી ટેસ્ટ ફ્લાઈટ થશે. જેમાં હ્યુમનૉઇડ રોબોટ વ્યોમિત્રને મોકલવામાં આવશે.

શ્રીહરિકોટાથી લોન્ચિંગ, બંગાળની ખાડીમાં ઉતરાણ
ક્રૂ મોડ્યુલને ઘણા તબક્કામાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં એક સ્પેશિયલ પ્રેશરાઇઝ્ડ કેબિન હશે. જેથી અવકાશના બાહ્ય વાતાવરણની અસર અવકાશયાત્રીઓ પર ન પડે. તેનું ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ થઇ ગયુ છે. હવે તેને લોન્ચિંગ માટે શ્રીહરિકોટા મોકલવામાં આવશે. ઈસરોએ આ મોડ્યુલના પરીક્ષણ માટે સિંગલ સ્ટેજ લિક્વિડ રોકેટ વિકસાવ્યું છે. આ ટેસ્ટમાં ક્રૂ મોડ્યુલ (CM) અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ (CES) હશે. આ બંને અવાજની ગતિથી ઉપર જશે. પછી 17 કિલોમીટરની ઊંચાઈથી અબોર્ટ સક્વેંસ શરૂ થશે. વાતાવરણમાં પ્રવેશતા પહેલા મોડ્યુલ તેની પોતાની ધરી પર ફરશે. જેથી હીટ શિલ્ડ ભાગ યાનને વાતાવરણના ઘર્ષણથી બચાવી શકે. હીટ શિલ્ડ માત્ર વાતાવરણના ઘર્ષણથી પેદા થતી ગરમીથી જ નહીં પરંતુ દરિયામાં ઉતરાણ દરમિયાન પાણી સાથે અથડાવાને કારણે થતી ઈજાથી પણ રક્ષણ કરશે. જો કે, સમુદ્રમાં ક્રૂ મોડ્યુલને લેંન્ડ કરતી વખતે, તેના પેરાશૂટ ખુલશે. જેથી તેનું લેન્ડિંગ સુરક્ષિત થઇ શકે છે.

મોડ્યુલની અંદર ખાવા-પીવા અને સૂવા માટેની સુવિધાઓ હશે
ગગનયાનના તે ભાગને ક્રૂ મોડ્યુલ કહેવાશે જેની અંદર ભારતીય અવકાશયાત્રીઓ એટલે કે ગગનયાત્રીઓ બેસીને 400 કિલોમીટરની ઉંચાઈએ આવેલી નીચલી ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરશે. ક્રૂ મોડ્યુલ એ બે-દિવાલોવાળી અત્યાધુનિક કેબિન છે, જેમાં વિવિધ પ્રકારની નેવિગેશન સિસ્ટમ્સ, હેલ્થ સિસ્ટમ્સ, ફૂડ હીટર, ફૂડ સ્ટોરેજ, ટોયલેટ વગેરે હશે. ક્રૂ મોડ્યુલનો અંદરનો ભાગ લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ હશે. તે ઉચ્ચ અને નીચા તાપમાનને સહન કરશે. તે ગેગનૉટ્સને અવકાશના રેડિયેશનથી પણ સુરક્ષિત કરશે. તેની અંદર બેઠેલા અવકાશયાત્રીઓને વાતાવરણમાંથી બહાર જતા અને પાછા આવતા સમયે કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

Most Popular

To Top