National

સ્મૃતિ ઈરાનીએ “પીરિયડ્સ લીવ”ને બિનજરૂરી ગણાવી, કહ્યું- તેનાથી ભેદભાવ વધશે

નવી દિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી (Union Minister of Women and Child Development) સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) પીરિયડ્સ (Periods) દરમિયાન મહિલાઓ માટે રજા પર મોટી વાત કહી છે. તેણીએ બુધવારે રાજ્યસભામાં કહ્યું હતું કે પીરિયડ લીવથી (Periods Leave) વર્કફોર્સમાં મહિલાઓ (Woman) સાથે ભેદભાવ થઈ શકે છે. સ્મૃતિ ઈરાનીએ આ વાત એક એવા સવાલના જવાબમાં કહી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર (Goverment) પીરિયડ્સ લીવ માટે કોઈ કાયદો બનાવવાનું વિચારી રહી છે.

સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે આજે મહિલાઓ વધુને વધુ આર્થિક તકો પસંદ કરી રહી છે તે ધ્યાનમાં રાખીને, હું આ અંગે મારા અંગત મંતવ્યો જ આપીશ. “અમે એવા મુદ્દાઓ પ્રસ્તાવિત ન કરવા જોઈએ કે જ્યાં મહિલાઓને કોઈક રીતે સમાન તકોનો ઇનકાર કરવામાં આવે છે.” ઈરાનીએ કહ્યું કે હું પોતે એક મહિલા છું. તેથી જ હું કહેવા માંગુ છું કે પીરિયડ્સ કોઈ અવરોધ નથી. તે સ્ત્રીની જીવનયાત્રાનો કુદરતી ભાગ છે.”

વાસ્તવમાં, રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ કુમાર ઝાએ એક પૂરક પ્રશ્નમાં પૂછ્યું હતું કે શું સરકારે કંપનીઓ માટે મહિલા કર્મચારીઓને ચોક્કસ સંખ્યામાં રજાઓ આપવાની ફરજિયાત જોગવાઈ કરવા માટે કોઈ પગલાં લીધાં છે. મનોજ ઝાએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના નેતૃત્વમાં બિહાર પ્રથમ રાજ્ય હતું જેણે પીરિયડ્સ માટે રજાની નીતિ બનાવી.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્ટેકહોલ્ડર્સ સાથે પરામર્શ કરીને માસિક સ્રાવની સ્વચ્છતા નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેણીએ ગૃહને જણાવ્યું હતું કે કેન્દ્ર પહેલેથી જ 10-19 વર્ષની વયની છોકરીઓમાં માસિક સ્રાવની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે એક યોજના અમલમાં મૂકી રહ્યું છે.

મનોજ ઝાએ એ પણ પૂછ્યું કે શું સરકાર સેનિટરી નેપકિન્સમાં હાનિકારક રસાયણોના ઉપયોગને રોકવા માટે કોઈ પગલાં લેવાનું વિચારી રહી છે. તેના પર ઈરાનીએ કહ્યું કે આ પ્રશ્ન મેન્યુફેક્ચરિંગ સાથે સંબંધિત છે જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કાર્યક્ષેત્રમાં નથી. સરકાર દ્વારા આપવામાં આવતા સેનેટરી પેડ્સ માટે આવી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.

Most Popular

To Top