Comments

ચીનની ‘ઝીરો કોવિડ’નીતિ કેટલી વ્યાવહારિક છે?

સહુ જાણે છે કે કોવિડ-૧૯ એ વિશ્વમાં જે હાહાકાર મચાવ્યો તે હાહાકારનું ઉદ્ગમસ્થાન ચીનમાં આવેલ વુહાન શહેર હતું. આ મહામારીને ફેલાતી અટકાવવા પહેલાં ચીનમાં અને ત્યાર બાદ અનેક દેશોએ કડક લોકડાઉનનો વિકલ્પ અપનાવ્યો. લોકડાઉન કોવિડને ફેલાતો અટકાવવામાં તો મહદંશે સફળ રહ્યું, પણ તેણે જે તે દેશની અર્થવ્યવસ્થાની કમ્મર તોડી નાખી. આજે પણ ચીન, અમેરિકા, બ્રિટન તેમ જ બીજા યુરોપિયન દેશો અને ભારતની અર્થવ્યવસ્થા ખોડંગાતી ખોડંગાતી ચાલે છે અને હજુ પણ વેરિયન્ટ ‘XE’જેને આપણે ચોથી લહેર તરીકે ઓળખવાના છીએ તે વિસ્તરી રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપ ફરી પાછો લોકડાઉનનો વિકલ્પ વપરાવા માંડ્યો છે.

વાત કરવી છે ચીનની. ચીનની અર્થવ્યવસ્થા લગભગ એક તૃતિયાંશ વસતીને લોકડાઉન હેઠળ ધકેલી દેવા માટેની કિંમત હવે ચૂકવી રહી છે. ચીનમાં લાખો-કરોડો લોકો આઇસોલેશન ફેસીલીટીમાં મોકલી દેવામાં આવ્યા છે અને વધારાના લાખો લોકોને એમના ઘરમાં આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. પરિસ્થિતિ વિકટથી વિકટતમ બની રહી છે. લગભગ ૪૦ કરોડ લોકો લોકડાઉન હેઠળ છે અને બહુ ઝડપથી ફેલાઈ રહેલ ઓમિક્રોન આઉટબ્રેક વિશ્વની બીજા નંબરની અર્થવ્યવસ્થા ઉપર હાવી થઈ રહ્યો છે. મહામારીને કાબૂ લેવા માટે ચીનમાં એક ડઝન જેટલાં શહેરોમાં અધિકારીઓએ રોજિંદી સામાન્ય પ્રવૃત્તિઓ બંધ કરાવી દીધી છે જેની અસર લગભગ સમગ્ર દેશમાં વિસ્તરી છે.

જાપાનની બેન્ક નોમુરા દ્વારા અંદાજવામાં આવ્યું છે કે ૪૫ શહેરોમાં ૪૦ કરોડ જેટલાં લોકો લગભગ લોકડાઉન જેવી પરિસ્થિતિમાં છે અને આ વસતી ૭.૨ ટ્રિલિયન ડોલર જેટલું વાર્ષિક જીડીપી ઉત્પાદન કરે છે. આ બધું મહામારી નાથવાની વ્યૂહરચનાના ભાગરૂપે છે જે ચીન દ્વારા અગાઉ અંદાજાયેલી અર્થવ્યવસ્થાની વૃદ્ધિને અસર કરે તેવી પૂરી શક્યતા છે. ચીનના વડા પ્રધાને પણ આ બાબતમાં ખતરાની ઘંટડી વગાડી છે. અગાઉ ચીને ચાલુ વરસ માટે જીડીપીનો વિકાસ દર ૫.૫ ટકા રહેશે એવું અંદાજ્યું હતું જે નિષ્ણાતોના મત મુજબ હવે ૨૦૨૨ ની હાલની પરિસ્થિતિમાં અવાસ્તવિક લાગે છે કારણ કે ખૂબ વિશાળ પાયે અર્થવ્યવસ્થાને સ્પર્શતી રોજિંદી જિંદગી થંભી ગઈ છે.

વડા પ્રધાન લી કેક્વીઆંગ (Li Kequiang) દ્વારા સ્થાનિક અધિકારીઓને સલાહ આપવામાં આવી છે કે ‘મહામારીને રોકવી અને આર્થિક તેમ જ સામાજિક વિકાસને આગળ ધપાવવો એ બે વચ્ચે સંકલન જરૂરી છે.’ ચીનમાં માર્ચ ૨૦૨૨ થી શરૂ થયેલ કોરોનાની નવી લહેરમાં અત્યાર સુધી સ્થાનિક રીતે સંક્રમિત વાયરસના ૩.૫ લાખથી વધુ કેસ નોંધાયા છે. અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના પ્રકોપ સામે લડતા કોઈ પણ દેશ માટે આ સંખ્યા મોટી ન ગણાય, પણ ચીન હજુ પણ આ વાયરસનો સંપૂર્ણ ખાતમો બોલાવવા માટેની વ્યૂહરચના અપનાવી રહ્યું છે.

ચીનની ચિંતા અંશત: જે સીનીયર સીટીઝન જનસંખ્યાને કેટલાક ભાગોમાં રસી નથી આપી શકાય તે અંગેની છે. આંકડાઓ જોઈએ તો લગભગ ચાર કરોડ લોકો જે ૬૦ વરસ કરતાં વધુ ઉંમરના છે તેમને કોવિડની રસી આપી શકાઈ નથી. ચીનમાં થયેલ તાજેતરના આ મહામારીના ફેલાવાની અસર હવે વિશ્વની ગ્લોબલ સપ્લાય ચેઇન પર પણ દેખાવા માંડી છે કારણ કે આઇફોન, ઇલેક્ટ્રિક કાર અને સેમિકન્ડક્ટર્સ બનાવતી ફેક્ટરીઓએ તેમની ઉત્પાદન પ્રવૃત્તિ રોકી દેવી પડી છે. આ ઉત્પાદન માટે જોઈતા કેટલાક ક્રિટિકલ કોમ્પોનંટ્સ રોડ પરની આડશો અને કડક કોવિડ પરીક્ષણની જરૂરિયાતને કારણે બંદરોથી ફેક્ટરીઓ સુધી લઈ જઈ શકાતા નથી. મહામારીને અટકાવવાના પ્રયાસો એટલી મોટી સમસ્યા ઊભી કરી રહ્યા છે કે અર્થશાસ્ત્રીઓએ આ વરસે ચીનના આર્થિક ઉત્પાદન માટે તેમની ધારણાઓ ઓછી કરી દીધી છે અને ચીન આવનારા મહિનાઓમાં મંદીમાં ધકેલાઇ જશે એવી આગાહી કરી છે.

ચીને પહેલાથી જ કોરોના સામે લડવા ‘ઝીરો કોવિડ’ની નીતિ અમલમાં મૂકી સંપૂર્ણ લોકડાઉન અમલમાં મૂકવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીના અનુભવથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોવિડથી બચી શકાતું નથી. ઝીરો કોવિડ નીતિ વ્યાવહારિક નથી. મોટા ભાગના દેશ આ સમજી ચૂક્યા છે પરંતુ ચીન આક્રમક લોકડાઉનની નીતિ પર અડગ છે. આ પરિસ્થિતિમાં સવાલ એ છે કે તેનાથી લોકોનાં જીવનધોરણ, સામાજિક સંબંધો અને વ્યાપારને કેટલું નુકસાન થઈ રહ્યું છે તે જોતાં કેટલા સમય સુધી ઝીરો કોવિડ નીતિ અમલમાં મૂકી શકાય?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ડૉ. જયનારાયણ વ્યાસ

Most Popular

To Top