Gujarat

લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર મક્કમ : બળવંતસિંહ રાજપૂત

ગાંધીનગર : રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર (Gandhinagar) ખાતેથી ઓનલાઈન ડ્રોના માધ્યમથી રાજકોટ (Rajkot) જિલ્લાના ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત ખાતે ૧૬૧ ઔદ્યોગિક પ્લોટની ફાળવણી રાજ્ય ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરી હતી.

રાજપૂતે જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૮ ડ્રો મારફતે ૧,૭૭૮ ઉદ્યોગોને ઔદ્યોગિક પ્લોટની ફાળવણી કરી પારદર્શકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખીરસરા ઔદ્યોગિક વસાહત ખાતે ડ્રોમાં સમાવિષ્ટ એમ.એસ.એમ.ઇ. પ્રકારના કુલ ૧૬૧ પ્લોટ માટે ૫૫૮ ઓનલાઇન અરજીઓ સરકારને મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ૨૧ દિવસમાં ખીરસરા ખાતેના ઔદ્યોગિક પ્લોટની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે આ પ્લોટનો ફાળવણી દર રૂ. ૪૧૬૦ પ્રતિ ચો.મી. રાખવામાં આવ્યો હતો.

રાજકોટ પ્રદેશની ખીરસરા વસાહતની સ્થાપના વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી હતી., જેનો કુલ વિસ્તાર ૯૨-૬૩-૦૬ હે.આર.એ. ચો.મી. છે. તેમાં કુલ-૫૦૬ ઔદ્યોગિક પ્લોટોનું આયોજન કરાયું છે, જે પૈકી ૪૭૩ એમ.એસ.એમ.ઇ. પ્લોટ અને ૩૩ નોન-એમ.એસ. એમ.ઇ. પ્લોટ છે. આ વસાહતમાં પ્રથમ વખત જાન્યુઆરી-૨૦૨૦માં મુખ્યમંત્રીના હસ્તે ડ્રો કરી પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી.

ઉદ્યોગ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત જી-૨૦ના પ્રમુખ સ્થાને છે. આ સંગઠન વિશ્વના જીડીપીમાં ૮૫ ટકાથી વધુ આર્થિક યોગદાન આપી રહ્યું છે, એવામાં ગુજરાતના ઉદ્યોગો પણ ભારતના જીડીપીમાં ૧ ટ્રિલિયન ડોલર જેટલું યોગદાન આપે એ માટે રાજ્ય સરકારનો પ્રયત્ન રહ્યો છે.

રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કોવિડના કપરા કાળમાં દેશના નાના-મધ્યમ ઉદ્યોગોને રાહત આપતું ૨૦ લાખ કરોડથી વધુનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું, તેમજ આવા ઉદ્યોગો માટે ઇન્કમ ટેક્સના દર ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આવા પ્રોત્સાહક અભિગમથી રાજ્યના ઉદ્યોગ સાહસિકોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.

રાજ્યમાં વર્ષ ૨૦૨૩માં નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થાય તેવી રીતે કામગીરી કરાશે. રાજ્ય સરકારે હરહંમેશ વેપારી એસોસિયેશનની માંગણીઓ અને ફરિયાદો પ્રત્યે ધ્યાન આપ્યું છે. આ માટે ચાર ઝોન મુજબ જિલ્લાવાર ઉદ્યોગ સાહસિકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ આવે તેવી સિસ્ટમ વિકાસાવવામાં આવશે. વધુમાં, ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકારને શ્રમ અને રોજગાર વિભાગનો સહકાર પણ પ્રાપ્ત થયો છે. આ વિભાગના માધ્યમથી ઉદ્યોગો માટે જરૂરી માનવ શ્રમ અને કૌશલ્ય સ્થાનિક કક્ષાએથી જ પૂરા પાડવામાં આવશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Most Popular

To Top