SURAT

સુરત: ડુમસની 2000 કરોડની જમીનના કૌભાંડમાં સુરતના તત્કાલીન કલેકટર આયુષ ઓક સસ્પેન્ડ

ગાંધીનગર: સુરતના ડુમસની અંદાજિત 2.17 લાખ ચો.મી જમીન સરાકરી પડતર હોવા છતાં તેનાં ગણોતનું નામ દાખલ કરીને 2000 કરોડની જમીન બારોબાર પધરાવી દેવાના આ સમગ્ર કૌભાંડની તપાસ બાદ આજે રાત્રે રાજય સરકારે મહત્વના આદેશમાં સુરતના પૂર્વ કલેકટર એવા આયુષ ઓકને સસ્પેન્ડ કરી દીધા છે. આ સમગ્ર જમીન કૌભાંડ પાછળ મોટા રાજકીય માથાઓને પણ હવે કૌભાંડના છાંટા ઉડે તેવી સંભાવના છે. એટલું જ નહીં રાજકીય માથાઓ સાથે સંકળાયેલા બિલ્ડરો પણ વરૂણીમાં આવી જાય તેવી સંભાવના છે. આ જમીન કૌભાંડથી ભાજપના દિલ્હી દરબારમાં હાઈકમાન્ડ પણ નારાજ હોવાનું જણાય છે. એટલું જ નહીં રાજકીય મોટા માથાઓએ આ જમીનના બિલ્ડર માટે સુરતના તત્કાલીન કલેકટરને કોણે ભલામણ કરી હતી તેની પણ તપાસ ચાલી રહી છે.

રાજય સરકારે આ સમગ્ર જમીન કૌભાંડની તપાસ હાથ ધરી હતી. એટલું જ નહીં રાજય સરકાર તરફે અપીલ ફાઈલ કરીને કલેકટર આયુષ ઓકે જતાં જતાં જે આદેશ (એનએ મંજૂરીનો ) કર્યો હતો તેની સામે સ્ટે મેળવી લીધો છે. જયારે આ જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કરતાં જમીન માલિકોએ મીડિયામાં કરોડોની જાહેરાતો આપીને સરકારની આંખમાં પણ ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ સત્તા મળી નથી એટલે જેવા સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત આવ્યા કે તુરંત જ ભ્રષ્ટાચારી અધિકારી પર સખ્તાઈથી પગલા લેવાય તેવી સંભાવના રહેલી છે. રાજકોટ ટીઆરપી કૌભાંડમાં પણ સરકાર હવે આઈએએસ તેમજ આઈપીએસ અધિકારીઓ સામે પગલા ભરે તેવી સંભાવના છે.

સમગ્ર મામલે લોકસભાની ચૂંટણી દરમ્યાન પીએમઓમાંથી ચીફ સેક્રેટરી રાજકુમાર પર તપાસ કરીને રિપોર્ટ આપવા મેઈલ આવ્યો હતો. તે પછી રાજય સરકારે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ડુમ્મસની જમીન સરકારી હોવાનો અભિપ્રાય આવ્યો હતો. આજે સાંજે રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) ના અન્ડર સેક્રેટરી જયમીન શાહે સુરતના તત્કાલીન કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરતો આદેશ જારી કર્યો હતો. એટલું જ નહીં સસ્પેન્શન સમય દરમ્યાન તેમનું ડિસ્ટ્રીકટ હેડકવાર્ટર પાટણ રહેશે તેમ જણાવાયુ છે.

અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી તથા કોંગીના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજુઆત કરીને એવી માંગ કરી હતી કે સમગ્ર પ્રકરણની તપાસ કરવા એક સીટની રચના કરવી જોઈએ. આ ઉપરાંત સુરતના તત્કાલીન કલેકટરની સામે તપાસ કરીને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. કોંગીના આગેવાનોએ અરજીમાં એવી રજુઆત કરી છે કે મોજે ડુમ્મસની સર્વે નં-311/3વાળી જમીનમાં 1948-49માં સરકારી પડતર જમીન તરીકે બોલતી હતી. તેમાં ગમે તે રીતે ગણોતિયાનું નામ દાખલ કરી દેવાયું છે. કોઈ પણ જાતના આધાર પુરાવા વગર ગણોતિયાનું નામ કરવામાં આવ્યુ છે. આ જમીનનું ગણેતિયા દ્વારા વખતો વખત વેચાણ પણ કરી દેવાયુ છે.

જયારે આ જમીનને બિનખેતી કરવા માટે અરજી કરાઈ ત્યારે તેને કલેકટર કક્ષાએ મંજૂરી અપાઈ છે. જયારે અગાઉ આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોચ્યો હતો ત્યારે કલેકટર ઓફિસ દ્વારા આ જમીન સરકારી પડતર હોવાનું સોગંદનામુ રજુ કરાયુ હતું. એટલું જ નહીં ખોટી રીતે ગણોતિયાનું નામ દાખલ કરાયુ હતું તેવું પણ એફિડેવીટમાં લખવામાં આવ્યુ હતું. સરકારી પડતર જમીનને ખેડવાથી કોઈ વ્યકિત્ત ગણોતિયો ઠરતો નથી, આવી કાયદાની કલમમાં પણ કોઈ જોગવાઈ નથી. આ સમગ્ર જમીન કૌભાંડ માટે પૂર્વ કલેકટર આયુષ ઓક જ જવાબદાર હોઈ તેમની સામે તપાસ કરાવીને તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ તેવી રજૂઆત કરાઈ હતી.

Most Popular

To Top