Gujarat

પ્રવાસન મહિલાઓને રોજગારીની ચેનલ પૂરી પાડે છે : જી. કે. રેડ્ડી

ગાંધીનગર : જી20 (G20) અંતર્ગત પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક ‘સામુદાયિક સશક્તિકરણ અને ગરીબી નાબૂદી માટે ગ્રામીણ પ્રવાસન’ પર પેનલ ડિસ્કશનના સહકાર્યક્રમ સાથે આજે શરૂ થઈ હતી. જી 20 ગ્રુપના દેશના પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું, રંગારંગ અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભુજ એરપોર્ટ તેમજ ટેન્ટ સિટી, ધોરડો, કચ્છનાં રણ ખાતે લોક કલાકારો દ્વારા રજૂ કરાયેલ પર્ફોર્મન્સનો સમાવેશ થતો હતો. પેનલ ડિસ્કશનમાં ઇન્ડોનેશિયા, ઇટાલી, સ્પેન, જાપાન, યુએનઇપી સાથે આઇએલઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભારતમાંથી ઓયો અને ગ્લોબલ હિમાલયન એક્સપિડિશન સાથે મધ્ય પ્રદેશ, ગુજરાત અને નાગાલેન્ડ સરકારના પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. અન્ય વિષયોમાં હોમસ્ટે, કોમ્યુનિટી બેઝ્ડ ઇકો ટુરિઝમ અને કચ્છનાં રણના રૂરલ ટુરિઝમ મૉડલ દ્વારા મહિલા સશક્તિકરણ પર ચર્ચા અને પ્રેઝન્ટેશન્સ યોજાયાં હતાં. ગુજરાતનાં કચ્છનાં રણના ધોરડો ખાતે યોજાયેલી પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકમાં 100થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે.

કેન્દ્રીય સંસ્કૃતિ, પ્રવાસન અને ઉત્તર-પૂર્વી પ્રદેશ વિકાસ વિભાગના મંત્રી જી. કે. રેડ્ડીએ મુખ્ય સંબોધન કરતાં કહ્યું હતું કે, જ્યારે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ કટોકટીની ઘડીએ જી-20નું પ્રમુખપદ સંભાળવું એ ભારત માટે સન્માન અને જવાબદારીની બાબત છે. ભારતનાં જી20નાં પ્રમુખપદ દરમિયાન સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનાં એક વાહન તરીકે પ્રવાસનનો ઉપયોગ કરવા પર ભારત ધ્યાન કેન્દ્રિત કરે છે.

મહાત્મા ગાંધીને ટાંકીને જી કે રેડ્ડીએ જણાવ્યું હતું કે, ‘ભારતનો આત્મા તેનાં ગામડાંઓમાં વસે છે’ અને આ રીતે આપણાં ગામડાંઓ પ્રદર્શિત કરીને, દેશની જીવનશૈલી, દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત અને દેશની કુદરતી સુંદરતા પ્રદર્શિત કરવામાં આવી રહી છે. રેડ્ડીએ એવું પણ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગામડાં આત્મનિર્ભર ભારત તરફ દોરી જશે. પ્રવાસન સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓનાં વેચાણને સક્ષમ બનાવવા, યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા સક્ષમ બનાવવા માટે, મહિલાઓને રોજગારી આપવા અને આદિવાસીઓ જેવા બિન-લાભદાયી સમુદાયોને રોજગારી આપવા એક ચેનલ પૂરી પાડે છે અને આ રીતે સામુદાયિક સશક્તિકરણ અને ગરીબી નિવારણ તરફ દોરી જાય છે.

રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રવાસનમાં ઓછામાં ઓછાં રોકાણ સાથે મહત્તમ સંખ્યામાં રોજગારીનું સર્જન કરવાની સંભવિતતા છે અને એટલે પ્રવાસન આર્થિક પરિવર્તન, ગ્રામીણ વિકાસ અને સામુદાયિક સુખાકારી માટે સકારાત્મક બળ બની શકે છે.
યુએનડબલ્યુટીઓ દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામોમાંનું એક જાહેર કરવામાં આવ્યું છે એ તેલંગાણામાં પોચામ્પલી ગામનું ઉદાહરણ આપીને કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય ગામડાંઓને ગ્રામીણ પર્યટન માટે વૈશ્વિક માન્યતા મળવા માંડી છે.

Most Popular

To Top