Vadodara

બોરસદના પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં

આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીનો ઘરકંકાસ કોર્ટમાં પહોંચ્યા બાદ હવે જાહેરમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. પત્ની રેશ્માબહેને કોર્ટમાં કેસ કર્યા બાદ ભરતસિંહે કોર્ટમાં અરજી કરી પત્ની રેશ્માબહેન સાથે છુટાછેડાની માગણી કરી છે. બોરસદ કોર્ટમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ રજુઆતમાં જણાવ્યું હતું કે, વડોદરાના અર્પિતા ફ્લેટ્સમાં રહેતા રેશ્માબહેન પ્રકાશચંદ્ર પટેલ સાથે અમેરિકા મુકામે રજીસ્ટર્ડ લગ્ન થયાં હતાં. ભારત મુકામે શરૂઆતના પાંચેક વર્ષ સુધી એક છત નીચે પતિ-પત્ની તરીકે રહેતાં હતાં. જોકે, કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દાના ઓથા નીચે રેશ્માબહેન રાજકીય રસ દાખવી ત્રાહિતો સાથે રાજકીય સંબંધો વધારી રાજકીય અસ્તિત્વને તથા માનમોભો સામાજીક મર્યાદાને નુકશાન થાય તે રીતે વાણી ઉલ્લાસ કરતાં હતાં. જેથી રેશ્માબહેનને તેમ કરવાનું ના કહેતા તેઓએ ઉશ્કેરવાનું ચાલુ કર્યું હતું. રેશ્માબહેન એમ કહેતા હતાં કે, તમારી ઉંમર થઇ ગઇ છે એટલું જ નહીં ભરતસિંહ સાથે કોઇ સંબંધ રાખતા નહતાં. તેમાંય છેલ્લા 10 વર્ષથી પતિ – પત્ની તરીકેના સંબંધો રહ્યા નથી અને ચાર વર્ષ ઉપરાંતથી એક છત નીચે જીવન વ્યતિત કરેલા ન હોવાથી રેશ્માબહેનના કૃત્યથી ના છુટકે જાહેર નોટીસ આપવાની જરૂર પડેલી. જોકે, રેશ્માબહેન વિદેશ જઇ અને અઠવાડિયા પહેલા બેવર્લી હિલ્સના મકાનમાં પ્રવેશી અને સિવિલ કોર્ટમાં દાવો કરેલો છે. જેથી જીવન જીવવું અશક્ય બનતાં છુટાછેડા માટે માગણી કરી હતી.

Most Popular

To Top