Comments

આવક અને રોજગારીના પાયા પર આર્થિક વિકાસ ઊભો છે

આર્થિક વિકાસ એ તમામ દેશોની પ્રાથમિક જરૂરિયાત છે.જેમનો વિકાસ બાકી છે તે વિકાસ માટે પ્રયત્નશીલ છે અને જેમનો વિકાસ થઈ ગયો છે તે વિકાસને ટકાવી રાખવા પ્રયત્ન કરે છે.આજે વિકાસ એ રાજનીતિનો હિસ્સો બની ગયો છે અને ભારત જેવા દેશમાં તમે વિકાસ ના કરો તો ચાલે, પણ તમારે વાતો તો વિકાસની જ કરવી પડે. ભારતમાં ઘણા અત્યારે પાકિસ્તાનની મોંઘવારી, શ્રીલંકાની અંધાધૂંધી આ બધી ચર્ચામાં મશગુલ છે અને દેશમાં આંકડાઓ નિરાશાજનક આવી રહ્યા છે. અહેવાલો છે કે રોજગારીમાં રોજેરોજ ઘટાડો થઈ રહ્યો છે.

આધુનિકીકરણ અને કોમ્પુટરીજેસનને લીધે જ્યાં દસ માણસો કામ કરતાં હતાં ત્યાં હવે એક બે માણસો કામ કરે છે. હવે આપણે નક્કી એ કરવાનું છે કે આપણે કામમાં ઝડપ જોઈએ છે કે દેશમાં રોજગારી? “કામ થોડું ધીમું થાય પણ બે ઘરનો ચૂલો ચાલે”- એમ આપણે માનતા હોઈએ તો હવે એ નક્કી કરવાનો સમય આવી ગયો છે. ચયીનીસ વસ્તુઓનો વિરોધ માત્ર આતંકવાદના મુદ્દે નથી કરવાનો,ભારતની રોજગારીનો મુદ્દો પણ એટલો જ અગત્યનો છે.

અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને સાધનોની પસંદગી અને વપરાશમાં પસંદગીનો ક્રમ નક્કી કરવામાં મદદ કરે છે. એક રીતે તે નિર્ણયો કરવામાં મદદ કરે છે. મૂડીવાદમાં બજાર અને સામ્યવાદમાં સરકાર નિર્ણયો કરે છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું? કેટલા પ્રમાણમાં કરવું? કઈ પદ્ધતિથી કરવું? ઉત્પન્ન થાય તે વેચવું કઈ રીતે? આ બધા જ આર્થિક નિર્ણયો કાં તો રાજ્ય કરે અથવા બજાર કરે, ભારત જેવા મિશ્ર અર્થતંત્રવાળા દેશમાં બજાર અને રાજ્ય બંને આ નિર્ણય કરે ત્યારે એને જોવું જોઈએ કે દેશમાં બેકારી વધારે છે.

અતિ વસ્તીવાળા દેશમાં યુવાનો વધારે છે. એક રીતે આ માનવશક્તિ છે. જો એનો ઉપયોગ કરવામાં આવે તો દેશના વિકાસનો દર ઝડપથી ઊંચો જાય, પણ કમનસીબે ભારતમાં બેરોજગારીનો દર ઊંચો જ રહ્યો છે અને આપણું તેના પર ધ્યાન જ નથી. વળી બેકારીને કારણે આર્થિક શોષણ વધ્યું છે એટલે આવકવૃદ્ધિ દર ખૂબ નીચો છે. આવકની અસમાન વહેંચણી રાષ્ટ્રીય આવકના આંકડામાં દેખાતી નથી એટલે વૃદ્ધિ અને વિકાસની ભ્રમણાઓ ઊભી થાય છે. સરકારનું અગત્યનું કામ આ વહેંચણી સુધારવાનું છે. ખાનગી ક્ષેત્ર પર વેતન બાબતે કોઈ નિયંત્રણ જ નથી. આ ના ચાલે. જેમ ટેલિફોનથી માંડીને વીજળીના દર નક્કી કરનારી સંસ્થાઓ છે તેમ આ તમામ ક્ષેત્રમાં વેતન નક્કી કરનારા અને તેનું મોનેટરીંગ કરનારા પણ હોવા જોઈએ.

આપણે પરિસ્થિતિની ગંભીરતા સમજતા નથી. આપણી આસપાસનું જગત જોતા નથી. કળાના ક્ષેત્રથી માંડીને બેન્કિંગ, ઉદ્યોગ, શિક્ષણનાં તમામ ક્ષેત્રોમાં જરૂર કરતાં ઓછાં માણસોથી ચલાવાય છે અને ખૂબ જ ઓછા પગાર ચૂકવાય છે.માંલ્તોપ્લેક્સમાં ફિલ્મ જોવાના આપણે ભલે ૨૫૦ થી ૩૦૦ ચૂકવીએ, પણ આ જગ્યાએ કામ કરનાર સફાઈ કામદારથી માંડીને મેનેજર સુધીના ને ૫૦૦૦ થી ૧૨૦૦૦ નો જ પગાર મળે છે મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલોમાં દર્દીઓ ભલે લાખો ચૂકવે પણ, નર્સ અને પટાવાળાને તો નામનું જ ચૂકવાય છે.

ખાનગી શાળાઓમાં તમે લાખોના ડોનેશન ભલે આપો પણ ત્યાંના શિક્ષકોનું તો શોષણ જ થાય છે.હવે અર્થશાસ્ત્રના નિયમ મુજબ નાણું ફરતું નથી. આવક થાય એ મુજબ ખર્ચ થતો નથી.આપણે રૂપિયા ઉપાડવા માટે એ.ટી.એમ. નો ઉપયોગ કરીએ છીએ, જ્યાં દરેક એટીએમ પર એક ચોકીદાર છે. હવે આના કરતાં ૨૪ કલાકમાં ત્રણ પાળીમાં ક્લાર્ક બેસાડી રૂપિયા આપવાની વ્યવસ્થા થાય તો શું વાંધો આવે?
આપણે જે બજારો વિકસાવી રહ્યાં છીએ તેમાં વેચાતી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે લોકો પાસે આવક જોઈએ.આ આવક તો તેમની પાસે છે નહિ! હવે સ્થિતિ એ આવશે કે દવાખાનાં છે, દર્દી પણ છે, પણ દર્દી પાસે દવાખાનામાં જવાના રૂપિયા નથી.

હોટલો, સિનેમા ઘરો છે, પણ ત્યાં જવાના રૂપિયા નથી! એક સાદું ગણિત આપણા નેતાઓ સમજતા નથી કે રોજગારી હોય તો આવક હોય અને આવક હોય તો ખર્ચ હોય અને ખર્ચ થાય તો માંગ થાય, ઉત્પાદન થાય અને દેશનો વિકાસ થાય.અમેરિકા જેવા વિકસિત દેશો પોતાના દેશમાં રોજગારી ટકાવી રાખવા દુનિયાને ખાનગીકરણ અને ઉદારીકરણના રસ્તા બતાવે છે. દુનિયાને યુદ્ધના રસ્તે લઇ જાય છે. વર મરો, વહુ મરો, પણ ગોરનું તરભાણું ભરો એ વાત એ દેશો સમજે છે. આપણે જ સમજતા નથી.

રોજની ૫૦૦ નોકરીઓ ઓછી થતી જાય છે. આ સમાચાર ગંભીર છે. વસ્તી એ મુંડી છે તો સાથે જવાબદારી પણ છે. આપણે સ્માર્ટ સીટીની જરૂર નથી, કામ કરતા સીટીની જરૂર છે. યુવાનો હાથમાં મોબિલ લઇ બેસી રહેશે અને ચેટીંગમાં સમય વિતાવશે તો દેશનો વિકાસ નહિ થાય. રોજગારલક્ષી આયોજન એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. કોઈની દુકાનમાંથી વસ્તુ વેચાશે તો એના ઘરમાં દિવાળીનો દીવો થશે કે ઈદ ઉજવાશે. આ વર્ષે તો ચોમાસું પણ અનિયમિત રહેવાનાં એંધાણ છે અને રોજગારીનો મોટો આધાર ખેતી છે. અરે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસ માટે પણ ખેતીનો વિકાસ જરૂરી છે. વધતી યુવા વસ્તી આવનારા સમયમાં ઘરડાંઓમાં પરિવર્તિત થશે અને તે વાત દેશનું આર્થિક ભવિષ્ય નક્કી કરનારા એ સમજવાની જરૂર છે અને નેતાઓ ના સમજે તો પ્રજાએ તો સમજવી જ પડશે કે રોજગારી જ આપણો સૌથી મોટો પ્રશ્ન છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top