Trending

જાણો શા માટે કાળી ચૌદશનો તહેવાર મનાવવામાં આવે છે તેમજ તેની પાછળની પૌરાણિક માન્યતાઓ

ભારતમાં (India) તમામ તહેવારો (Festiwal) ધામધૂમથી ઉજવવામાં (Celebrate) આવે છે. ભારતમાં ખાસ કરીને દિવાળીનો (Diwali) તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ તેનો મહિમા પણ ખૂબ અનેરો છે. રમા અગિયારસના દિવસથી શરૂ થતો આ તહેવાર લાભપાંચમ સુઘી મનાવવામાં આવે છે. અગિયારસથી શરૂ થતા આ તહેવારમાં આવતા તમામ દિવસો પાછળ કોઈને કોઈક માન્યતા માનવામાં આવે છે. વાત કરીએ કાળી ચૌદશની તો ધનતેરસના બીજા દિવસે તેમજ દિવાળીના આગલા દિવસે કાળી ચૌદશનો દિવસ આવે છે. કાળી ચૌદશની વાત કરીએ તો માહિતી મુજબ તે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાનના પશ્ચિમી રાજ્યોમાં ઉજવવામાં આવે છે. કાળી ચૌદશને નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં કાળી ચૌદશના દિવસે દૂધ પૌઆ અને સાકર સેવ ખાવાની પ્રથા રહેલી છે. આ તહેવારની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક માન્યતાઓ પણ માનવામાં આવે છે.

કાળી ચૌદશની પૌરાણિક કથા
મળતી માહિતી મુજબ આ દિવસે ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, મા કાલિએ રાક્ષસોનો નાશ કર્યો હતો અને અધર્મ પર ધર્મનો વિજય થયો હતો. જયારે બીજી માન્યતા એવી પણ માનવામાં આવે છે કે રંતિ દેવ નામનો એક રાજા હતો તે આદર્શ હતો પરંતુ અજાણતાથી રાજાથી કેટલાક પાપ થયા હતા જેના કારણે મૃત્યુનો શ્રાપ મળ્યો હતો. રાજાનો મૃત્યુનો સમય નજીક આવી ગયો હતો. રાજાની પત્નીએ પોતાના પતિની રક્ષા માટે આખા મહેલમાં દીવા પ્રગટાવ્યા અને આભૂષણોને દરવાજા પાસે એક જગ્યાએ એકઠા કર્યા અને યમદૂત સાપનુમ સ્વરૂપમાં મહેલમાં પ્રવેશ્યા. દીવાના પ્રકાશની ચમકથી યમદૂતની આંખો સામે અંધકાર છવાઈ ગયો અને રાજાનો જીવ બચી ગયો.

ત્યારબાદ સાપ સ્વરૂપ લીઘેલા યમદૂતે રાજાને સપનામાં દર્શન આપ્યા ત્યારે રાજાએ તેના પાપ વિશે પૂછ્યું. ત્યારે યમદૂતે જવાબ આપ્યો કે એકવાર તમે તમારા દરવાજેથી એક બ્રાહ્મણને ભૂખ્યો જવા દીધો હતો. એ તમારા પાપોનું ફળ છે, રાજાએ યમરાજ પાસે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે થોડો સમય માંગ્યો. યમદૂતે રાજાને એક વર્ષનો સમયગાળો આપ્યો.

બીજા દિવસે રાજાએ ઋષિમુનિઓની પાસે જઈને પોતાનું સપનું વ્યકત કર્યું અને પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય માગ્યો. ઋષિએ ઉત્તર આપતા કહ્યું કે તમે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનું વ્રત કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેમની સામે થયેલા અપરાધોની માફી માગો. રાજાએ ઋષિમુનિએ જણાવ્યા અનુસારનું કર્યું અને રાજાને પાપોમાંથી મુક્તિ મળી આ સાથે વિષ્ણુલોકમાં સ્થાન પણ મળ્યું. ત્યારથી કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. આ કારણોસર કાળી ચૌદસનો દિવસ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે.

Most Popular

To Top