દેશમાં જયારે આઠ દાયકામાં પાંગરેલી લોકશાહી હોય, આદર્શ સંવિધાન હોય, રાષ્ટ્ર તરીકેની પ્રતિષ્ઠા સમસ્ત વિશ્વમાં હોય ત્યારે શાસકોએ રાષ્ટ્રની સંપ્રભુતા કે સાર્વભૌમત્વનું સંપૂર્ણપણે રક્ષણ કરવાની ફરજ બની રહે છે. હવે કોઇની ગુલામી, કોઇ પણ પ્રકારે દેશ પર છવાઇ શકે નહીં. રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રાભિમાનને ક્ષતિ પહોંચે તેવી કોઇ પણ પ્રકારની હરકત ચલાવી લેવાય નહીં. જનસાધારણનાં નાગરિકોના મતદાનથી નિયત સમય મર્યાદા માટે ચૂંટાયેલાં સત્તાધીશોએ હકીકતની વિરુધ્ધ થતી ગતિવિધિ ફગાવી દેવી જોઇએ. નહીંતર દેશદ્રોહ નોંધાઇ શકે.
વિશ્વમાં મહાસત્તાઓ જયારે ભારતની સંપ્રભુતા વિરુધ્ધ આચરણ કરે ત્યારે તેનો વીરોચિત પ્રતિકાર પણ સત્તાધીશો દ્વારા થવો જોઇએ. ભારતના અતિથિ કે તેના કાફલા પર ચાંચિયાગીરી સમાન આક્રમણ કરી તબાહી મચાવવી એ ભારતનું ઘોર અપમાન બની જાય છે. રાષ્ટ્રના વહીવટ કે સંચાલનની નીતિઓ પર અન્ય દેશ દ્વારા આદેશ આપે, ભારતની સીમાઓ પર ઉલ્લંઘન કરે ત્યારે સંપ્રભુતા થવાય છે અને શાસકોની અક્ષમ્ય ભૂલો વિરુધ્ધ પ્રજાકીય વિરોધ પ્રગટ થાય છે. આઠ દાયકામાં પહેલી વાર આટલી હદે સંપ્રભુતાનું હનન થવા માંડયું છે. ભારત શાંતિપ્રિય દેશ હોવાથી યુધ્ધખોર નીતિ અપનાવતું નથી પણ તેની સાથે જ તેની સંપ્રભુતા કે સાર્વભૌમત્વ અંગે કોઇ બાંધછોડ ન કરી શકાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.