National

કેરળના એક જિલ્લામાં 20000 કરતા વધુ લોકોએ રસી લીધી છતાં તેમને થયો કોરોના

થિરૂવનંથપુરમ : કેરળ (Kerala)ના એક જિલ્લામાં ૨૦૦૦૦ કરતા વધુ લોકો એવા છે કે જેમણે રસી (Vaccine) લીધી છે તે છતાં પણ તેમને કોરોનાવાયરસનો ચેપ (Infection) લાગ્યો છે.

જ્યાં સબરીમાલા મંદિર (Sabrimala temple) આવેલું છે તે પથનમપિટ્ટા જિલ્લામાં આવું બન્યું છે. અહીં કોવિડ-૧૯ સામે રસી ઘણા કેસોમાં નિષ્ફળ બનતી જણાઇ છે. જે વીસ હજાર કરતા વધુ લોકો રસી મૂકાવ્યા પછી પણ અહીં કોવિડ-૧૯નો ભોગ બન્યા છે તેમાંથી ૫૦૪૨ જણા તો એવા છે કે જેમણે રસીના બે ડોઝ લઇ લીધા છે તે છતાં તેમને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે જ્યારે ૧૪૭૯૪ લોકો એવા છે કે જેમણે રસીનો એક ડોઝ લીધો છે પછી તેમને ચેપ લાગ્યો છે, આમાંથી ૪૪૯૦ જણા એવા છે કે જેમણે રસી લીધી તેના બે સપ્તાહ પછી તેમને ચેપ લાગ્યો હોય, આ એક પખવાડીયાનો સમયગાળો મહત્વનો છે કારણ કે રસી મૂકાવ્યા પછી એન્ટિબોડીઝ જન્મવા માટે આટલો સમયગાળો ઘણા કિસ્સામાં જરૂરી હોય છે. આ જિલ્લામાં સ્વદેશી કોવેક્સિન અને અસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ (Covishield) બંને રસીના ડોઝ મૂકવામાં આવ્યા હતા. જિલ્લા પ્રશાસને એ વાતને મસર્થન આપ્યું છે કે રસી મૂકાવ્યા પછી આટલા કેસો આવ્યા છે.

રસી મૂકાવ્યા પછી ચેપના કેસો બને તે એક ગંભીર બાબત છે કારણ કે સાર્સ કોવ-ટુનો મ્યુટેશનનો ઇતિહાસ છે અને આ વાયરસ એવા ફેરફાર પોતાનામાં કરી શકે છે કે જે રસીને નિષ્ફળ બનાવી શકે છે એવો ભય નિષ્ણાતો ઘણા સમયથી વ્યકત કરી જ રહ્યા છે. પથનમપિટા જિલ્લામાં રોજના પ૦૦થી ૭૦૦ કેસો નીકળી રહ્યા છે અને આટલા બધા કેસો રસી મૂકાવ્યા પછી નિકળ્યા તે બાબત સરકારને ચિંતા કરાવી રહી છે.

દરમ્યાન, અમેરિકાની મિન્નેસોટા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચેતવણ આપી છે કે ભારતમાં સૌપ્રથમ દેખાયેલા ડેલ્ટા વેરિઅન્ટ કરતા પણ વધુ ચેપી એવો કોરોનાનો વેરિઅન્ટ આવી શકે છે.

Most Popular

To Top