Gujarat

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એકતા નગર ખાતે દ્વિ દિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સનો પ્રારંભ

ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ. છેલ્લા બે દાયકાઓમાં તકરારોના વૈકલ્પિક નિવારણની પદ્ધતિ ન્યાયતંત્રમાં અસરકારક સાબિત થઇ છે. ખાસ કરીને દીવાની બાબતોના કેસોમાં આનાથી સુખદ સમાધાન લાવી શકાય છે, તેવું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કેવડીયા ખાતે યોજાઈ રહેલી દ્વિ દિવસીય નેશનલ જ્યુડીસરી કોન્ફરન્સનો શુભારંભ કરાવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકા દરમિયાન, તમામ પક્ષકારોએ વિવાદના નિરાકરણ માટે મીડિયેશન એટલે કે મધ્યસ્થીને અસરકારક સાધન માન્યું છે અને તેને પ્રોત્સાહન આપ્યું છે. ઘણા કાનૂની વિદ્વાનોએ એવું પણ અવલોકન કર્યું છે કે, નાગરિક અધિકારોના સંદર્ભમાં વ્યક્તિઓ વચ્ચે અદાલતોમાં પેન્ડિંગ મોટાભાગના કેસ એવા છે કે તેમને નિર્ણયની જરૂર નથી. આવા કિસ્સાઓમાં પક્ષકારો મધ્યસ્થીઓના માળખાગત હસ્તક્ષેપ દ્વારા તેમના વિવાદનું સમાધાન કરી શકે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના લીગલ ક્ટિશનર તરીકેના દિવસોને યાદ કર્યા અને કહ્યું હતું કે તે વર્ષો દરમિયાન, તેમના મન-મસ્તિષ્ક પર છવાયેલા રહેતા અનેક મુદ્દાઓ પૈકી એક ‘એક્સેસ ટુ જસ્ટીસ’ નો મુદ્દો હતો. ‘ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે અને આપણા બંધારણની પ્રસ્તાવનામાં તેના પર યોગ્ય રીતે ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે દરેક વ્યક્તિ સુધી ન્યાયની પહોંચ કેવી રીતે સુધારી શકાય તે વિષય પર ભાર મુક્યો. તેમણે કોન્ફરન્સ માટેના વિષયો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કર્યા હોવાની વાત કહી હતી. ન્યાયતંત્રમાં વૈકલ્પિક વિવાદ નિરાકરણ (ADR) મિકેનિઝમ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બંને ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે; પરંતુ તેમના માટે તે એટલે મહત્વપૂર્ણ છે કારણ કે તે સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે અને ન્યાય આપવા માટે વધુ સક્ષમ બનશે.

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણાએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, સંઘર્ષ એ માનવજાતનો બીજો ચહેરો છે. સંઘર્ષથી થતાં નુકસાન અને ગેરફાયદા જોવા માટે વ્યક્તિ પાસે દૂરદર્શિતા હોવી જોઈએ. વિવાદ પક્ષકારોના સંબંધને માત્ર બગાડતા જ નથી. પણ, લાંબા ચાલતા મુકદ્દમા તેના સંસાધનોને જ નષ્ટ કરી શકે છે અને જીવનભરની દુશ્મનાવટનું કારણ બને છે. દરેક સંઘર્ષ કે મતભેદનો અંત કોર્ટમાં જ થાય એ જરૂરી પણ નથી.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે સંસદ, સરકાર અને ન્યાયપાલિકા લોકશાહીના આધારસ્તંભ છે. ન્યાય પાલિકાને સૌના વિકાસ, વિશ્વાસ અને શ્રદ્ધાનું આસ્થા કેન્દ્ર ગણાવતા તેમણે ઉમેર્યું કે સરકાર અને ન્યાયપાલિકા પરસ્પર તાલમેલ અને પવિત્રતાથી કામ કરે તો રાષ્ટ્ર વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા ખાતે યોજાઈ રહેલી દ્વિ દિવસીય નેશનલ જ્યુડીસરી કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ એ દેશમાં ન્યાયપાલિકાને વધુ સુદ્દઢ બનાવવા માટે મહત્વની પુરવાર થશે, ન્યાયાલયમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થતા નાગરિકોને ઝડપથી અને સરળતાથી ન્યાય મળે તે માટે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાઇ રહેલી. આ કોન્ફરન્સ દેશભરમાં ન્યાયતંત્ર માટે અમૃતકાળ બનશે.

એકતાનગર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતના મુખ્ય ન્યાયધીશ એન. વી રમણા, કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજુજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટસ જજીસની ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top