Gujarat

TWGની બેઠકમાં સમૂહ ચિંતનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશે – ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: ભારતના (India) યજમાન પદે યોજાઇ રહેલી G-20 પ્રેસીડેન્સીની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકનો કચ્છના ધોરડોથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, TWG બેઠકના સામુહિક ચિંતનથી ટુરિઝમ સેક્ટરને નવી દિશા અને ઊર્જા મળશે. વિકાસમાં પ્રવાસનનો ઉલ્લેખ કરતા પટેલે કહ્યું હતું કે, દેશ અને દુનિયાના જીડીપીમાં ટૂરિઝમનું મહત્ત્વનું યોગદાન છે.

ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં લેવાઇ રહેલા પગલાંઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહયું હતું કે, નવી પ્રવાસન નીતિ અંતર્ગત રાજ્યમાં પ્રવાસનના વિકાસની સાથે-સાથે પર્યાવરણ સમૃદ્ધિનો એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે. બે દાયકા પહેલાં કચ્છના ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા અને હજ્જારો ઘર ધ્વસ્ત થઈ ગયા હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીના અથાક પ્રયત્નોએ આફતને અવસરમાં પલટાવી દીધી છે. તેમની દૂરદર્શિતા અને માર્ગદર્શનના પરિણામે કચ્છ ફરી બેઠું થયું અને વિકાસના માર્ગ પર આગેકૂચ કરી રહ્યું છે તેનો મુખ્યમંત્રીશ્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ કચ્છમાં ઔદ્યોગિક વિકાસની સાથે પ્રવાસનની પણ અપાર સંભાવનાઓ નિહાળીને શરુ કરાવેલો રણોત્સવ આજે દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રધાનમંત્રીએ કચ્છના રણને વિશ્વના માનચિત્રમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્ત્વની પાંચ પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાંચમાંથી એક પ્રાથમિકતા ગ્રીન ટૂરિઝમ પણ છે. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની યાદમાં નિર્માણ થયેલું સ્મૃતિવન સ્મારક ગ્રીન ટૂરિઝમનું ઉદાહરણ છે. આ સ્મૃતિ વનમાં પચાસ ચેકડેમ અને ત્રણ લાખથી વધુ છોડના વાવેતરથી ગ્રીન ટૂરિઝમને નવી દિશા મળી છે. દેશમાં પ્રવાસનના વિકાસની અપાર સંભાવનાઓને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ વર્ષના અમૃત બજેટમાં પ્રવાસનના વિકાસ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. વડાપ્રધાને ચેલેન્જ મોડના માધ્યમથી દેશમાં પ્રવાસનના 50 સ્થળોની પસંદગી કરી છે અને આ સ્થળોને ખોરાક, સલામતી સહિતના મુદ્દે એક સંપૂર્ણ પેકેજના સ્વરૂપમાં વિકસિત કરવાની યોજના પણ જાહેર કરી છે. ગુજરાત પ્રવાસનની વિવિધતાઓથી ભરેલું ટૂરિઝમ ફ્રેન્ડલી રાજ્ય છે. પ્રવાસનના વિકાસ માટે રાજ્યમાં ગાંધી સર્કિટ, બૌદ્ધ સર્કિટ અને વિવેકાનંદ સર્કિટ પણ વિકસિત કરવામાં આવી રહી છે, તેની વિસ્તૃત વિગતો ભૂપેન્દ્ર પટેલે આપી હતી.

ભારતમાં પ્રવાસનની તકો વિશે વાત કરતા તેમણે કહયું હતું કે ભારતની સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાઓ, વૈશ્વિક સ્તરના પ્રવાસન આકર્ષણો, ઇકો ટુરિઝમ, ગ્રીન ટુરિઝમ અને એગ્રી ટુરિઝમ પ્રવાસીઓને વિશિષ્ટ અનુભવ પૂરો પાડે છે. પ્રવાસનના વિકાસ થકી નવી રોજગારીઓનું સર્જન થાય છે અને આર્થિક તેમજ સામાજિક દૃષ્ટિએ પણ તે વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય છે.

Most Popular

To Top