Comments

દુઃખનાં કારણો

એક સંત પાસે દૂર દૂરથી લોકો પોતાની સમસ્યાઓ લઈને આવતાં અને સંત બધાના મનનું સમાધાન કરતા અને માર્ગ દેખાડતા.એક દિવસ એક સ્ત્રીએ આવીને સંતને કહ્યું, ‘બાપજી, જીવનમાં જે દુઃખ અને સમસ્યાઓ છે તેને સહન  કરતાં કરતાં અને તેમાંથી માર્ગ કાઢતાં કાઢતાં કંટાળી ગઈ છું. આ બધાથી બચવાનો મને માર્ગ દેખાડો.’ સંત હસ્યા અને બોલ્યા, ‘બહેન, માત્ર તમે જ નહિ, બધાં જ દુઃખ અને સમસ્યાઓથી ઘેરાયેલાં છે અને કંટાળેલાં છે. બધી જ સમસ્યાઓનો અંતે તો એક જ માર્ગ છે તે છે હરિ સ્મરણ અને ભગવદ્ સ્મરણ.’ પેલી સ્ત્રી બોલી, ‘બાપજી, હરિનામ તો લઈશું, પણ બધાને  દુઃખ અને સમસ્યાઓનો સામનો કરવો જ કેમ પડે છે?’

સંત બોલ્યા, ‘બહેન, દરેકના જીવનમાં કોઈ ને કોઈ સમસ્યા અને તકલીફો હોય છે તેને આપણે દુઃખ કહીએ છીએ તે શારીરિક ..આર્થિક..માનસિક ..સામાજિક ..પારિવારિક …કાર્યસંબંધી હોય છે.આ દુઃખનાં મુખ્ય ચાર કારણો છે. પહેલું કારણ છે કાળ એટલે કે સમય..જેવો સમય હોય ..જેવી ઋતુ હોય તે પ્રમાણે શરીરને ઠંડી ..ગરમી …વરસાદ પ્રમાણે કોઈ ને કોઈ શારીરિક તકલીફો થાય છે અને સ્વાસ્થ્ય સારું ન હોવું તો સૌથી મોટું દુઃખ છે.યોગ્ય આહાર-વિહાર અને કસરતથી આ તકલીફો ઓછી કરી શકાય છે. બીજું કારણ છે દરેક માણસનાં કર્મો …વ્યક્તિ પોતાના જીવનમાં જે મેળવે છે કે જે ગુમાવે છે તેનો આધાર તેનાં કર્મો પર રહેલો છે.ગત જન્મનાં અને આ જન્મનાં પાપ અને પુણ્ય પ્રમાણે માણસને જે પ્રકારનાં દુઃખ મળે તે ભોગવવાં જ પડે છે.કર્મ આધારિત દુઃખમાંથી ઈશ્વર પણ બચાવી શકતા નથી, પણ ભક્તિ કરો તો દુઃખ સહન કરવાની શક્તિ મળે છે.

ત્રીજું કારણ છે દરેક માણસનો સ્વભાવ. આ કારણે જ મોટા ભાગનાં માણસો દુઃખી છે.સ્વભાવને કારણે તો માણસો પણ જીવનમાં સુખના અનુભવને પણ દુઃખમાં બદલી નાખે છે.માણસ પોતાના જીદ્દી ,અભિમાની ,કાયર, ક્રોધી , લાલચી ,લોભી વગેરે સ્વભાવને કારણે દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે બધું જ થાય તેમ ઈચ્છે છે અને તેમ ન થતાં દુઃખી થાય છે.

સ્વભાવનું કોઈ ઓસડ નથી.સ્વભાવ અને દૃષ્ટિ બદલીએ તો દુઃખ અને તકલીફો ઘણી ઓછી થઈ જાય છે. ચોથું કારણ છે.તમારી જન્મજાત પ્રકૃતિમાં રહેલા મૂળ ગુણ..સત્ત્વ,રજસ્,તમસમાંથી તમારી અંદર જે ગુણનો પ્રભાવ વધારે હોય છે ..જે ગુણ તમે સ્વીકારો છે અને તે પ્રમાણે વર્તન કરો છો તે તમારા જીવન દુઃખ અને સુખ લાવે છે.સાત્ત્વિક ગુણો વધારવા અને રાજસિક અને તામસિક ગુણો ઓછા કરવા જીવનશૈલી સુધારવી પડે છે …અને પ્રભુભક્તિ સતત વધારતાં રહેવું પડે છે.એટલે જ કહું છું દરેક દુઃખ અને તકલીફોમાંથી બહાર આવવા હરિશરણ જરૂરી છે.’ સંતે દુઃખ વિષે સુંદર સમજ આપી. આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top