Gujarat

લોકસભાની ચૂંટણી પહેલા આરએસએસનું 15000 સ્વયં સેવકો સાથે અમદાવાદમાં શક્તિપ્રદર્શન

ગાંધીનગર: લોકસભાની (Loksabha) ચૂંટણી (Election) 2024માં યોજાનાર છે , તે પહેલા ગુજરાતમાં (Gujarat) રાજનીતિક માહોલ ગરમાયો છે. ભાજપે (BJP) ગુજરાતમાં 26માંથી 26 બેઠકો પર વિજય મેળવવાની રણનીતિ ઘડી નાંખી છે . ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તો પાર્ટીના કાર્યકરોને એવી હાકલ કરી છે કે આપણી સામે લડી રહેલા તમામ વિરોધી ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ જવી જોઈએ, એટલું જ નહીં પાંચ લાખ કરતાં વધુ સરસાઈથી તમામ 26 બેઠકો પર વિજય મેળવવાનો છે. બીજી તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પાર્ટી નેતાગીરીએ નક્કી કરેલા લક્ષ્યાંકને સિદ્ધ કરરવા કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરી હતી. હવે ભાજપ બાદ આરએસએસ પણ મેદાને આવ્યું છે.

આજે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં આરએસએસ દ્વારા સમાજ શકિત્ત સંગમ સૂત્રના નેજા હેઠળ એક સંમેલન આયોજીત કરાયું હતું. જેમાં સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કર્યુ હતું. આ સંમેલનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રીઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યો તથા 15000 જેટલા સ્વયં સેવકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં મોહન ભાગવતે સામાજિક ભેદભાવ મિટાવીને એક રાષ્ટ્રના નિર્માણ માટે હાકલ કરી હતી.

ડૉ. બાબા સાહેબ આંબેડકર જંયતિ મોહન ભાગવતે સમાજીક સંમેલનને સંબોધન કરતાં કહ્યું હતું કે, આપણાંમાં કેટલીક આંતરીક દુર્બળતાઓ હતી. જેના પગલે વિદેશી આક્રમણખોરો આપણી પર ચઢાઈ કરીને રાજ કરી ગયા. આપણી અંદર રહેલા મતભેદોનો લાભ ઉઠાવીને આ આક્રમણખોરોએ આપણે ગુલામ બનાવ્યા હતા. ખાસ કરીને ભારત એક સોનાની ચીડીયા જેવો દેશ હતો એટલે વિદેશી આક્રમણખોરો આવ્યા હતા. જો કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ લડ્યા અને દેશને આઝાઝી મળી તો ખરી, પરંતુ દેશને આર્થિક તથા સમાજીક સ્વાતંત્ર્ય મેળવવા માટે હજુયે ઘણું કામ કરવાનું બાકી છે, જયાં સુધી આપણી અંદરના મતભેદો નહીં મિટાવીએ ત્યાં સુધી એક ભારત , શકિત્તશાળી ભારત તથા ગુણ સંપન્ન ભારતનું નિર્માણ શકય જ નથી. ડૉ. બાબા સાહેબ આંબેડકરે જયારે સંસદમાં ભારતનું બંધારણ રજૂ કર્યુ ત્યારે તેમણે પણ આ જ વાત કરી હતી. સંઘના સ્થાપક વડા હેડગેવારે પણ પોતાના જીવનપર્યન્ત આ હેતુ માટે કામ કર્યુ હતું. આપણે બધાએ ભેદ રહિત ભારતના નિર્માણ માટે એક સાથે મળીને કામ કરવું પડશે.

Most Popular

To Top