Comments

સ્નાતક, અનુસ્નાતક પછી બી.એડ્.ના દરવાજા બંધ

અત્યાર સુધી શિક્ષકો માટે આવશ્યક બી.એડ.ની પદવી માટેના પ્રવેશો, વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક થયા બાદ મેળવતા હતા. શિક્ષણજગતમાં એવી પણ ચર્ચા થતી કે સ્નાતક-અનુસ્નાતક બાદ વ્યાવસાયિક ક્ષેત્રે કયાંયે મેળ નહિ પડયો તો ચાલો બી.એડ. કરી લઇએ એમ માની મોટા ભાગનાં વિદ્યાર્થીઓ બી.એડ.ના કોર્ષમાં જોડાતાં હતાં. જેમાં ખરેખર શિક્ષક જ થવું છે તેવા અંતિમ ધ્યેય સાથે જોડાનારા વિરલા ગણ્યા-ગાંઠયા જ હતા!

તાજેતરમાં, 5મી ફેબ્રુઆરી – 2024ના દિને, શિક્ષણ સંસ્થાને માન્યતા આપતી સર્વોચ્ચ બોડી, એન.સી.ટી.ઇ. એ જારી કરેલ પબ્લિક નોટીસમાં 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ બી.એડ્. કોર્સ દાખલ કરવાની જાહેરાત કરી છે અને તે તમામ 2024-25ના પ્રવેશો ધોરણ-12 પછી, 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ બી.એડ્. કોર્સમાં ફાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એ સૂચિત કરે છે કે હવે સ્નાતક કે અનુસ્નાતક પછી બી.એડ્.ના દરવાજા સદંતર બંધ થઇ ગયા છે! હવે વિદ્યાર્થીઓએ જો શિક્ષક થવું હશે તો તેના નિર્ણય ધોરણ-12 પહેલાં જ કરી લેવો પડશે.

પ્રસ્તુત પરિપત્રમાં 4 –વર્ષીય બી.એસ.સી. – બી.એડ્./બી.એ. બી.એડ. ઈન્ટિગ્રેટેડ કોર્સનો જ ઉલ્લેખ છે.બી.કોમ. બી.એડ. નો નથી તેથી શિક્ષણજગતમાં તેનું આશ્ચર્ય સર્જાયું છે! શું કોમર્સ વિષયના શિક્ષકોની જરૂર નથી?!સૌ જાણે છે કે,શિક્ષક તાલીમના આરંભથી વર્ષ: 2015 સુધી બી.એડ્.નો કોર્ષ એક જ વર્ષનો હતો. 2015 પછી તે બે વર્ષનો થયો અને હવે ધોરણ-12 પછી 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ થવા જઈ રહ્યો છે. જો કે ગાંધીનગર સ્થિત, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશન, યુનિવર્સિટીમાં આ પ્રકારનો કોર્ષ ચાલે જ છે.

પરંતુ હવે તેને ગુજરાતની તમામ બી.એડ્. કોલેજમાં લાગુ પાડવાનો નિર્ણય થયો છે. બીજી તરફ મોટા ભાગના આદર્શવાદી શિક્ષણશાસ્ત્રીઓ સરકારના આ નિર્ણયને ખૂબ જ સૂચક અને યોગ્ય ગણાવે છે. આ પ્રકારના 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ બી.એડ્. કોર્ષના કેટલાક ભાવિ પ્રશ્નો આકાર લેવાના છે તે અંગે સરકાર કેટલી ગંભીર છે તેની આ લખનારને ખબર નથી. હાલના તબક્કે શિક્ષણજગતમાં જે ચર્ચાઈ રહ્યું છે તેથી લાગે છે કે વર્ષો પુરાણી, પ્રતિષ્ઠિત સંસ્થાઓ કે જેના વિશાળ કેમ્પસમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ ફેકલ્ટી ચાલે છે અથવા હાલમાં જ થોડાં વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવેલી કેટલીક સ્વનિર્ભર યુનિવર્સિટીઓના કેમ્પસમાં પણ ઉપરોકત ફેકલ્ટીઓ ઉપલબ્ધ છે, તેને ઝાઝી સમસ્યા નડવાની નથી પરંતુ એકાદ-બે ફેકલ્ટી ધરાવતી નાની કોલેજોને મુશ્કેલી ઊભી થવાની પૂરી સંભાવના છે. તેમણે નજીકની સાયન્સ કોલેજ સાથે ટાઈ-અપ કરવું પડશે અને ઘણાં બધાં સમાધાનો પણ કરવાં પડશે. મોટી સમસ્યા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી બી.એડ્. કોલેજોને પડશે. આ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રેકટીકલ્સ માટે શહેરની અન્ય સાયન્સ કોલેજમાં જવું પડશે.

મુખ્ય મુદ્દો પરીક્ષણ –મૂલ્યાંકનનો રહેશે. આંતરિક-બાહ્ય મૂલ્યાંકન, સૈદ્ધાંતિક વિષયો અને પ્રેકટીકલનું મૂલ્યાંકન કોણ કરશે? કેવી રીતે કરશે? તેના માપદંડો શું હશે? વગેરે બાબતોનું સ્પષ્ટીકરણ આ પરિપત્રમાં નથી.જો કે હાલમાં તો, ધોરણ-12 પછીનાં 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ બી.એડ.ના આ તરોતાજા પરિપત્રે મોટા ભાગની મેનેજમેન્ટને અને બી.એડ્.ની વર્તમાન ફેકલ્ટીની ઊંઘ ઉડાડી દીધી છે! ગ્રામ્ય વિસ્તારની સિંગલ ફેકલ્ટીની બી.એડ્. કોલેજો ભવિષ્યમાં બંધ કરવી પડે એવું પણ બને. હાલમાં ગુજરાતની મોટા ભાગની ગ્રાન્ટેડ અને સરકારી બી.એડ્. કોલેજમાં કાયમી પ્રિન્સિપાલોની ભરતી પ્રક્રિયાએ પણ જોર પકડયું છે ત્યારે ઇ.ચા. પ્રિન્સિપાલો પર ફરી એક વધારાનો બોજ આવ્યો છે એવું ચર્ચાઈ રહ્યું છે.

ખેર! પ્રશ્ન છે તો ઉત્તર છે. સમસ્યા છે તો ઉકેલ છે, સમાધાન છે એવી ફિલોસોફીમાં માનતા હોઇએ તો સમયાંતરે બધુ સમુંસૂતરું પાર પડશે એવી આશા રાખી શકાય. યક્ષ પ્રશ્ન તો શિક્ષક તાલીમની અને શિક્ષકની ગુણવત્તાનો છે. NEP-2020માં પણ તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. બી.એડ્. 1 વર્ષ, 2 વર્ષ, કે 4 વર્ષનું કરવાથી શિક્ષણની ગુણવત્તા કેટલી ઊંચી આવશે એ તો સમય જ કહેશે. આ વિષય પર પી.એચ.ડી. કક્ષાનાં સંશોધનો થશે ત્યાં સુધી આપણે સ્થિતપ્રજ્ઞ બની રહીએ.  
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top