SURAT

ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું વિમોચન

સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા પુસ્તક (Book) ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું સુરતના (Surat) પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં વિરલ દેસાઈ દ્વારા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બે ટર્મમાં કરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પુસ્તક અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષાઓમાં એકસાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

પોતાના પુસ્તક વિશે વિરલ દેસાઈએ કહે છે કે, ‘આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પાછલા દસ વર્ષોમાં આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરે એવા પર્યાવરણીય કાર્યો કર્યા છે. તેમણે મિશન લાઈફથી લઈ નમામિ ગંગે તેમજ સ્વચ્છ ભારત જેવી અનેક ચળવળો લોન્ચ કરી છે. તો ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ તેમણે અત્યંત મહત્ત્વની સફળતાઓ પ્રાપ્ત કરી છે. એક પર્યાવરણ પ્રેમી તરીકે મને આ તમામ કાર્યો અત્યંત પ્રભાવક લાગ્યા છે, જે કાર્યો વિશે દેશનો દરેક નાગરિક જાણે એ મહત્ત્વનું છે. એટલા માટે જ અત્યંત સરળ ભાષામાં, લોકો સમજી શકે એ રીતે મેં આ પુસ્તક તૈયાર કર્યું છે.

જાણીતા લેખક જય વસાવડાએ આ પ્રસંગે કહ્યું છે કે ‘એક ગુજરાતીએ કરેલા પર્યાવરણીય કાર્યો વિશે બીજા ગુજરાતી પુસ્તક લખે એ આપણે મન એક ઉત્સવ જેવી વાત છે. વિરલ દેસાઈએ સતત પર્યાવરણીય કાર્યો કર્યા છે. આ પુસ્તક તેમની પર્યાવરણીય યાત્રામાં એક મહત્ત્વનો પડાવ છે.’

આ પુસ્તક જાણીતી પ્રકાશન સંસ્થા આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત થયું છે. વિરલ દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં તેઓ દેશભરમાં આ પુસ્તકને લઈને ટૂર કરશે અને અને અનેક રાજ્યોમાં વડાપ્રધાનના પર્યાવરણીય કાર્યો વિશે જાગૃતિ આણશે.

Most Popular

To Top