Comments

કાશ્મીરમાંથી આશાનું વધુ એક કિરણ

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તેના અંતિમ ચરણમાં કાશ્મીરમાં પ્રવેશે છે ત્યારે ભારતના ભાગલાને આખરી સ્વરૂપ અપાયું તે પહેલા 1947માં મહાત્મા ગાંધીએ કાશ્મીર ખીણની પોતાની મુલાકાત વખતે કહ્યું હતું કે મને દેશના આ ભાગમાં આશાનું કિરણ દેખાય છે, તે વાતનો ફરી પડઘો પડે છે. સમય અને સંદર્ભ જુદા છે પણ વર્તમાન પરિસ્થિતિમાં મૂળ વાત તો એની એ જ રહે છે. આ વખતે મુકામ રાજકીય અને ચૂંટણી લક્ષી છે. ભલે ગાંધી આણિ મંડળી અલગ દાવા કરતી હોય. આખો દેશ કોમી હિંસાની જવાળામાં હોમાઇ ગયો હતો ત્યારે કાશ્મીરમાં જે કોમી સંવાદિતા જળવાઇ રહી હતી તેને બીરદાવવા માટે મહાત્મા ગાંધીએ ઉપરોકત વિધાન કર્યું હતું. આ ટકોરનું વર્તમાન સંદર્ભમાં અલગ પણ અત્યંત સૂચક મહત્વ છે.

અલબત્ત રાહુલ ગાંધીની પદયાત્રાનું વિષય વસ્તુ દેશને જોડવાનું છે પણ ગાંધીજીનાં નિરીક્ષણ સાથે બહુ દૂરની સમાનતા છે. ભલે સંજોગો બંને સમયના અલગ છે પણ પદ યાત્રામાં રાજકીય પાસાને જોતા સૂચક મહત્વ છે. આશાનું આ કિરણ 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદીને પડકારવા માટે અત્યંત જરૂરી પણ હજી હાથતાળી આપી રહેલી વિપક્ષી એકતાના સ્વરૂપમાં છે.

ભલે ઘણા મહત્વના પક્ષો અને તેના નેતાઓએ રાહુલ ગાંધી સાથે તેની પદયાત્રાના મંચ પર હિસ્સેદારી કરી છતાં કેટલાક નેતાઓ એવા પણ હતા કે રાહુલ ગાંધીના નિમંત્રણને જોઇને નાકનું ટેરવું ચડાવતા હતા. આ લોકો પણ ચૂંટણીની દૃષ્ટિએ મહત્વના છે. રાજકારણમાં આખરી શબ્દ કોઇ નથી. આ નેતાઓમાં તૃણમૂલ કોંગ્રેસના સર્વે સર્વા મમતા બેનરજી, બહુજન સમાજવાદી પક્ષના નેતા માયાવતી અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ છે. મમતા અને માયાવતીએ તો સ્પષ્ટ ના પાડી દીધી પણ યાદવે પોતાના રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરી સાથે રહીને અતડાપણું બતાવ્યું.

જમ્મુ અને કાશ્મીરનાં કેન્દ્ર શાસિત પ્રદેશ એક જુદું જ ઉદાહરણ બની રહેવાનો છે અને તે દ્વારા આગામી મહિનાઓમાં વિપક્ષી એકતા સિધ્ધ કરી આશાનું કિરણ બનશે. આ ઉદાહરણ રાષ્ટ્રીય સ્તરે વ્યાપક બનશે? આશાનું આ કિરણ કાશ્મીરની બહાર કેવી રીતે ફેલાવાય છે તેના પર બધો આધાર છે. રાહુલ ગાંધીની પદયાત્રા દિલ્હીમાં પ્રવેશી તે પહેલા નેશનલ કોન્ફરંસના પ્રમુખ અને સંસદ સભ્ય ડો. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે હું કાશ્મીર ખીણમાં ‘ભારત જોડો યાત્રા’માં જોડાઇશ કારણ કે તે આજની તાતી જરૂરિયાત છે. કમમાં કમ જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં અન્યોને ઝીલવા માટે તો ડો. ફારૂખ અબ્દુલ્લાએ ગોળો ગબડાવ્યો હતો.

‘ભારત જોડો પદ યાત્રા’ દિલ્હીથી કાશ્મીર જવા નીકળી ત્યારે માર્ગમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં મુકામ આવતા હતા. કાશ્મીર ખીણના બીજા ક્રમના સૌથી મોટા પક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મેહબૂબા મુફતીએ પણ આવો જ મત બતાવ્યો હતો. અલબત્ત ડાબેરી પક્ષો ‘ભારત જોડો’ સામે હાથ જોડી અલિપ્ત રીતે ઉભા રહ્યા હતા ત્યારે જમ્મુ કાશ્મીર એકમના માર્કસવાદી પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ યુસુફે આ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે પોતાનો પક્ષ ભારત જોડો ઝુંબેશમાં જોડાશે એવી જાહેરાત કરી હતી.

આદર્શ રીતે જૂઓ તો ‘ભારત જોડો’ યાત્રાનું સમાપન શ્રીનગરમાં ભારતીય જનતા પક્ષ અને તેના સાથી પક્ષો સિવાયનાતમામ વિરોધ પક્ષોની જાહેર સભા યોજી બિનશરતી રીતે વિપક્ષી એકતા સાધવાનો શ્રેષ્ઠ અવસર છે. પણ કોંગ્રેસની પુરતી તૈયારીના અભાવે એ શકય નથી લાગતું. અધુરામાં પુરું ખીણમાં કાતિલ શિયાળો જામ્યો છે. સુરક્ષાનો પ્રશ્ન તો વધારામાં ઉભો જ છે. છતાં સર્વપક્ષી જાહેર સભાનો વિકલ્પ હજી ઇચ્છનીય છે. કારણ કે કોંગ્રેસના એક સમયના ટોચના નેતાગુલામ નબી આઝાદ અલગ માર્ગે ચાલી ગયા પછી પણ વિપક્ષી એકતા સાકાર થઇ શકતી હોવાનું લાગે છે.

આઝાદને જે કરવું હોય તે કરે પણ કોંગ્રેસ, નેશનલ કોન્ફરંસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એ ત્રણ મળીને ભારતીય જનતા પક્ષને પડકાર આપી શકે છે. શ્રીનગરના લાલ ચોકમાં રાહુલગાંધી રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પ્રવચન કરે ત્યારથી વિપક્ષી એકતાની ચિનગારી દેશવ્યાપી જવાળા બનવાની આશા છે. અલબત્ત આ વિપક્ષી એકતાના તમામ પાત્રો ઇતિહાસનો ઘણો મોટો વિવાદનો ભાર લઇને ચાલે છે પણ ભારત જોડોની નદીમાં સ્નાન કરી પવિત્ર થઇ શકે છે. જો કે પદયાત્રા પંજાબમાંથી પસાર થાય ત્યારે શિરોમણિ અકાલી દળના પ્રકાશસિંહ બાદલ કેવા ગરજે છે તે જોવાનું રહ્યું પણ ડો. ફારૂખ અબ્દુલ્લા ઘણા બધા રાજકીય પક્ષોને સમજાવી શકશે એમ લાગે છે. સૌથી અગત્યની વાત તો એ પણ છે કે આઝાદ ચાલ્યા ગયા પછી કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં પોતાનું ઘણ વ્યવસ્થિત કરવાનું છે. એવું પણ બને કે ભારત જોડો યાત્રા આઝાદનો હાથપકડી ચાલ્યા ગયેલા ઘણા કોંગ્રેસીઓ માટે ઘર વાપસીનો અવસર બની રહે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top