Comments

2005 પહેલાંના તમામ ફિક્સ પે-કર્મી જૂની પેન્શન યોજના મેળવવા હક્કદાર છે

લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઈ છે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં પોતાના પડતર પ્રશ્નો ઉકલે અને ખાસ તો ૨૦૦૪ પછી નોકરીમાં કાયમી થયેલાં કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે તે માંગણી સાથે ગુજરાતમાં સરકારી કર્મચારીઓ હડતાલ પર ઊતર્યાં. દેખાવો કર્યા. આવા જ દેખાવો ૨૦૨૨ ની વિધાન સભાની ચૂંટણી વખતે કર્યા હતા. ખાસ તો શિક્ષક સંઘ તેમાં આગેવાન હતો. સરકારે ૨૦૦૪ પહેલાં ફિક્સ પગારમાં લાગ્યા હોય તેવા તમામ ફિક્સ પે કર્મી કે જે ૨૦૦૫ પછી કાયમી થયા તેમને જૂની પેન્શન સ્કીમ લાગુ પડવાનું વચન આપ્યું. મોડી રાત્રે સમાધાન થયું.

પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનોએ સમાધાન થયાની ટી.વી. મિડિયા પર જાહેરાત કરી અને પછી કશું જ ના થયું .પણ ભાજપને વિધાન સભામાં ૧૫૬ સીટ મળી સત્તા ફરી આવી ગઈ. હવે જુના વચન યાદ કરવાનો પ્રશ્ન ના હતો. કર્મચારીઓ માટે ફરી આંદોલનમાં જવાનો સમય કે સંજોગ ના હતા માટે સૌ ચૂપ રહ્યા. લોકશાહીમાં ચૂંટણી આવે છે. ફરી ચૂંટણી આવી, ફરી માંગ ઊભી થઇ, ફરી આચારસંહિતા લાગુ થઇ ગઈ, ફરી સત્તા આવી જશે, ફરી વાત વિસારે પડી જશે.

અતિ વસ્તી અને યુવા વસ્તીવાળા ભારતમાં વ્યાપક બેકારી,ખાનગી ક્ષેત્રમાં ખૂબ નીચા વેતને કામ અને સરકારી ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ,આઉટ સોર્સિંગ,ફિક્સ પગાર અને તેમાં પણ ૨૦૦5 પછી કાયમી થયેલા કર્મચારીઓને પેન્શન પણ નહીં …આ તો ગંભીર મુદ્દો છે અને આવનારા દિવસોમાં ગંભીર આર્થિક સ્થિતિ ઊભી કરશે.વસ્તીનો મોટો વર્ગ ઉમરવાન પણ હશે અને નાણાં સાધન વગરનો પણ હશે . એટલે સામે ઊભેલી લોક સભાની ચૂંટણીમાં મતદાન જ્યાં કરવું હોય ત્યાં કરજો પણ નેતાઓને પૂછજો કે ખાનગી ક્ષેત્રમાં યોગ્ય વેતન માટે તમે શું કરશો? કોઈ કાયદો નિયમ લાવશો? જાહેર સેવાઓ જેવી કોઈ હોસ્પિટલ ,સફાઈ ,સરકારી કચેરી વગેરેમાં આઉટ સોર્સિંગની ભરતી નાબૂદ કરશો? સરકારી ભરતીમાં પાંચ વર્ષ સુધી ફિક્સ પગારની નીતિ છે તે દૂર કરશો? નિવૃત્ત થતા કર્મચારીને કોઈ નિશ્ચિત વળતર મળી રહે તેવા પેન્શનની જોગવાઈ કરશો?

વર્ષ ૧૯૯૭ માં સરકારમાં મોટા પ્રમાણમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારની જગ્યાઓ ખાલી હતી. સરકારની રાજકોષીય ખાધ ઓછી કરવા માટેની એક સમિતિએ રીપોર્ટ આપ્યો હતો જેમાં સરકારને વિવિધ ખર્ચ પર કાપ મૂકવા અને કરકસર કરવા જણાવ્યું હતું. જેના એક પગલામાં એવું પણ સૂચન હતું કે વર્ગ ત્રણ અને ચારનાં કર્મચારીઓની જગ્યાઓ મોટી સંખ્યામાં ખાલી છે તો આ જગ્યાઓ થોડાં વર્ષ ફિક્સ પગારથી ભરી શકાય. વળી એક કમિટીએ સૂચન કર્યું કે આવનારા સમયમાં ભારતમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ નિવૃત્ત થશે અને સરકારનું પગાર અને પેન્શનનું ખર્ચ ખૂબ વધી જશે. માટે હવે નવાં કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના બનાવવી જોઈએ. સરકારે પેન્શન અને પગારના બોજમાંથી નીકળી જવું જોઈએ.

ભારતમાં ખાનગીકરણ અને ઉદારીકરણની અસર હેઠળ એક આખી વિચારધારા ઊભી થઇ હતી કે સરકારી નોકરીઓ ઓછી કરવી ,પેન્શન પગાર બોજો છે ,સબસીડીઓ ઘટાડી દેવી …આખું મૂડીવાદી માનસ સરકારની નીતિઓને અસર કરવા માંડ્યું હતું  અને ૧૯૯૭ માં ગુજરાતમાં  સૌ પ્રથમ શંકરસિંહની સરકારમાં બે વર્ષ માટે  ૨૦૦૦ ના ફિક્સ પગારમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી શરૂ થઇ  પછી ભાજપની સરકારમાં પગાર ૨૫૦૦ થયો, પણ ફિક્સ પગારના વર્ષ પાંચ થયાં. વળી આ યોજનામાં લખવામાં આવ્યું કે કર્મચારીની નોકરી ફિક્સ પગારમાં પાંચ વર્ષ પૂરાં થાય પછી ગણાશે. મતલબ કે નોકરીનાં વર્ષ ઘટી ગયાં પણ નોકરી શોધતાં યુવાનોની મુસીબતો આટલે અટકી નહીં.

વર્ષ ૨૦૦૦થી સરકારે વિવિધ સરકારી પોસ્ટમાં ફિક્સ પગાર નીતિ ચાલુ કરી.રોજગાર માટે લાચાર યુવાનો  પાંચ વર્ષ પછી તો પૂરો પગાર મળશે, પેન્શન મળશે ની આશાએ  કામ કરવા લાગ્યા પણ રે સરકાર ! વર્ષ ૨૦૦૫ માં સરકારે જાહેર કર્યું કે હવે નવાં કર્મચારીઓને જૂની પેન્શન યોજના નહીં મળે. વર્ષ ૨૦૦૫ થી સરકારી નોકરીમાં જોડાયેલાં કર્મચારીઓને નવી મૂલ્યવર્ધિત પેન્શન યોજનામાં જોડાવાનું રહેશે. આ યોજનામાં કર્મચારીના પગારનો એક ફાળો કપાશે એટલા જ સરકાર ફાળો આપશે. આ રકમનું શેર બજારોમાં રોકાણ થશે અને ત્યાં જે કમાણી થશે તે મુજબ કર્મચારીનું પેન્શન બંધાશે..મતલબ ફિક્સ કશું નહીં.

ગુજરાતમાં વર્ષ ૨૦૦૦ થી જે ફિક્સ પગારના કર્મચારી લાગ્યા છે તેણે સરકારે ૨૦૦૫ થી કાયમી કર્યા છે એટલે તે બધાને નવી પેન્શન યોજનામાં આવ્યા છે. હવે અહીં વિચારવાનું એ છે કે રાજ્યમાં એક તો વર્ગ એક અને બે ના અધિકારીઓ માટે ફિક્સ પગારની યોજના જ નથી એટલે ક્લાસ ટુ અને વનના અધિકારીઓ આજે પણ પ્રથમ દિવસથી જ પૂરો પગાર મેળવે છે. વળી ત્યાં ફીક્ષ પગાર યોજના નથી એટલે પ્રથમ દિવસથી જ કાયમી ગણાય છે. એટલે પ્રથમ અને બીજા વર્ગનાં કર્મચારી ૨૦0૫ પછી લાગ્યા તે જ નવી પેન્શન યોજનામાં છે. ૨૦૦૦ થી ૨૦૦૪ દરમિયાન લાગેલા તમામ જૂની પેન્શન યોજના મેળવે છે  અને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી  પગાર પણ ફિક્સ મેળવે અને પેન્શન પણ નહીં? જૂની કહેવત છે કે ભૂવો ધૂણે તો નાળિયેર ઘર બાજુ ફેંકે …ક્લાસ વન અધિકારીઓ સરકારને કરકસરનાં પગલાં સૂચવે તો ક્લાસ વન અધિકારી ફિક્સ પગારમાં રાખો એવું સૂચન તો ના જ કરે ને! ક્લાસ વન અધિકારી પાંચ વર્ષ માટે સહાયક પોસ્ટમાં ના જ રાખે.

હવે વાત એ છે કે સુપ્રીમ કોર્ટમાં જુદા જુદા કેસના ચુકાદામાં એવા ફેંસલા આવ્યા છે જેમાં કર્મચારીની પસંદગી વર્ષ ૨૦૦૪ પહેલાં થઇ ગઈ હોય નિમણૂકપત્ર અપાઈ ગયો હોય અને હાજર મોડો કર્યો હોય અથવા તો કર્મચારી હાજર થઇ ગયો હોય, પણ વહીવટી બહાલી મોડી આવી હોય તો પણ તે ૨૦૦૪ નો જ ગણાય અને જૂની પેન્શન યોજના મળવાપાત્ર જ થાય એમ જણાવાયું. વળી ગુજરાત સરકારે તો ફિક્સ પગાર વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે એવું સ્વીકાર્યું છે કે ફિક્સ પગાર એ એક સંવર્ગ છે . અને જો આ સહાયક પોસ્ટ એ સંવર્ગ ગણાતો હોય તો કર્મચારી જે દિવસથી  નોકરીમાં લાગ્યો તે દિવસથી કાયમી જ ગણાય અને જૂની પેન્શન યોજના મળવાપાત્ર બને.

તો, ગુજરાત સરકારને વિનંતી કે તમે તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના સ્વીકારો તો પણ વાંધો નથી, પણ જો ૨૦૦૪ પછીના માટે નથી લાગુ કરવા માંગતા તો ૨૦૦૪ પહેલાંના સહાયક સંવર્ગ માટે તો લાગુ પાડો જ . સમાન સિવિલ કોડ પણ આ જ કહે છે. જો ૨૦૦૪ ના પ્રથમ વર્ગનાં કર્મચારીને પેન્શન મળે તો  ૨૦૦૦ ની સાલમાં સહાયકમાં લાગેલ કર્મચારીને કેમ ના મળે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top