Columns

આખરે વોયેજરનું પૃથ્વીને અલવિદા

આખરે બંને વોયેજરની પૃથ્વી પરની 44 વર્ષ પહેલાં શરૂ થયેલી અંતરિક્ષ યાત્રાનો અંત આવી રહ્યો છે કારણ કે નાસા તેની પ્રાણવાયુની નળી પાછી ખેંચી રહ્યું છે. નાસાના બંને વોયેજર યાને કોઇ પણ માનવસર્જિત પદાર્થ કરતાં દૂર સુધી બ્રહ્માંડમાં પ્રવાસ કર્યો છે. હવે તેઓ તેમના આખરી તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે. નાસા તેમની કામગીરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. બંને વોયેજરોને કેપ કેરેબેરલ અંતરિક્ષ મથકેથી 1977માં રવાના કરવામાં આવ્યા હતા. બંનેને માનવજાતના સંદેશવાહક તરીકે મોકલવામાં આવ્યા હતા અને જુદી જુદી સાંકેતિક રીતે પૃથ્વી પર માનવીના અસ્તિત્વ વિશે સંદેશ આપવામાં આવ્યો હતો.

માનવી સ્વરથી સૂર મિલાવી કેવું સંગીત પેદા કરે છે તે બતાવવા કિશોરી આમોનકર સહિતના ગાયકોના કંઠના નમૂનાની કોમ્પેકટ ડિસ્ક મોકલવામાં આવી હતી. 59 ભાષાઓમાં સંદેશા મોકલ્યા છે કે પરગ્રહની કોઇક વસાહતને આપણા અસ્તિત્વની ખબર પડે. આ અંતરિક્ષ યાન રવાના કરાયું ત્યારે અમેરિકાના પ્રમુખપદે જિમી કાર્ટર હતા. તેમનો સંદેશો પણ આમેજ કરાયો છે. પૃથ્વીની સોનાની રેકોર્ડ પર પૃથ્વીના જીવનના 115 ચિત્રો છે.

આમ તો બંને વોયેજરોનું આયુષ્ય 1972 સુધી રહે તે રીતે તેની રચના કરી હતી. નાસા હવે તેની કામગીરી 44 વર્ષ પછી બંધ કરે છે, છતાં કેટલાક નિષ્ણાતોનો અંદાજ છે કે આ બંને વોયેજરો હજી 2025 સુધી કે 2038ના દાયકા સુધી ટકે.
વોયેજર – 1 અત્યારે પૃથ્વીથી 23.3 અબજ Km દૂર છે. પ્રકાશની ઝડપે આ અંતર કાપતા 20 કલાક 33 મિનિટ લાગે. પ્રકાશની ઝડપ 1 સેકન્ડના 3 લાખ Km છે. વોયેજર – 2 19 અબજ Km એટલે કે પ્રકાશની ગતિને જતાં 18 કલાક લાગે. ઇજનેરોને વોયેજરો પર સંદેશો મોકલતા દિવસ લાગે છે. નાસા તેની કેટલીક કામગીરી બંધ કરી તેને 2030ના દાયકા સુધી કુદરતી જીવન આપવા માંગે છે.

નાસાના ભૌતિકશાસ્ત્રી પ્રો. રાલ્ફ મેકન્ટ કહે છે કે અમે 44.5 વર્ષ સુધી વોયેજર પાસે કામ લીધું. મતલબ કે તેના વોરંટી પીરિયડ કરતાં 10 ગણું! વોયેજરો કહ્યાગરા ખરા. તેને નાસાની નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી ચાલે છે. છતાં તેઓ માહિતી એકત્ર કરે છે! વોયેજરોનો જન્મ નાસાની જેટ પ્રલ્ઝમ લેબોરેટરીમાં થયો હતો. બંને એટલા ખાસ છે કે બંને હજી ડીપ સ્પેસ નેટવર્ક મારફતે સામગ્રી મોકલે છે. આ બંને વોયેજરોને મૂળ કામ તો ગુરુ અને શનિની તપાસ કરવાનું સોંપાયું હતું.

પછી આ બંનેએ યુરેનસ અને નેપ્ચ્યુનની પણ મુલાકાત લીધી હતી. અત્યારે આ બંને યાનોને સૂર્યમાળાની સૌથી વધુ નજીક જવાનું માન મળ્યું છે પણ અત્યારે તેમની કામગીરી ઘટી રહી છે. દર વર્ષે 4 વોટ પરિણામે અંતે વોયેજરોના સાધનો એક પછી એક બંધ કરવામાં આવી રહ્યા છે. પાછા આ સાધનો ચાલુ થાય પણ ખરા અને નહીં પણ થાય. બધો આધાર વીજળી પર છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન 175 વર્ષ એક હરોળમાં આવ્યા હતા ત્યારે તેમને તપાસી લેવામાં આવ્યા હતા.
વોયેજરોએ માનવજાતને ગુરુ અને શનિ અને તેમના ચંદ્રોના સૌથી નજીકથી દર્શન કરાવ્યા હતા, તે તેમની સૌથી મોટી સેવા છે.
– નરેન્દ્ર જોશી

Most Popular

To Top