Gujarat

અમદાવાદ ફાયર બ્રિગેડે બે મહિનામાં 200 થી વધુ લોકોની જિંદગી બચાવી

અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) ફાયર (Fire) વિભાગને વર્ષ ૨૦૨૩માં ફાયર અને રેસ્ક્યુ સહિતના ૪૬૨ ફાયર કોલ આવ્યા હતા, જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 200થી વધુ લોકોના જીવ બચાવાયા છે. આમ, અમદાવાદના ફાયર વિભાગે અમદાવાદની હદ તેમજ હદની બહાર આવેલા કોલમાં પણ બચાવ કામગીરી કરી છે.

આ અંગે ઇન-ચાર્જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન પી. મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે, ‘અમદાવાદ મનપાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અંતર્ગત હાલમાં કુલ ૧૭ ફાયર સ્ટેશનો કાર્યરત છે. જ્યારે અન્ય ફાયર સ્ટેશનો જેમ કે ગોતા, બોપલ તેમજ સાયન્સ સિટી રોડ પરની ચોકીઓને આગળ વધારવાની કામગીરી પ્રગતિમાં છે. વર્ષ ૨૦૨૩મા ૧ જાન્યુઆરી ૨૦૨૩થી 23 ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને ૪૬૨ ફાયર કોલ મળ્યા હતા. જેમાં અદાજિત ૨૦૦થી વધુ લોકોની જિંદગી બચાવવાની કામગીરી કરવામાં આવી છે.

મિથુન પી. મિસ્ત્રીએ વધુમાં કહ્યું હતુ કે, ફાયર ફાઈટર્સની કામગીરીમાં આગ કાબૂમાં લેવા ઉપરાંત તબીબી સેવા, માનવો, પશુ – પક્ષીઓના જીવ બચાવવા, પર્યાવરણ બચાવવા સહિતની નાના-મોટી આકસ્મિક અને માનવસર્જિત તમામ ઘટનામાં બચાવ કામગીરી કરવાની હોય છે. લિફટમાં ફસાયેલા, ગેસ ગળતરથી ગૂંગળામણ અનુભવતા, આગને કારણે ફસાયેલા કે પછી મોબાઈલ ટાવર ઉપર ચડી ગયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની પણ કામગીરી કરે છે. અમદાવાદની ફાયર વિભાગની ટીમ અનેકો વાર નાની-મોટી કોઈપણ ઘટના બને ત્યારે ખડે પગે નાગરિકોની સેવા કરતી આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કુલ ૧૭ ફાયર સ્ટેશનોમાં મિની ફાયર ફાઇટર ઉપલબ્ધ છે, જે શહેરની નાની પોળોમાં જઇને બચાવની કામગીરી કરવા સજ્જ છે. આ સાથે ૨૦ હજાર લિટરની મોટી ગાડીઓ પણ ફાયર વિભાગ પાસે ઉપલબ્ધ છે. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની અમદાવાદની હદ વિસ્તારમાં તેમજ હદ બહારના વિસ્તારની કામગીરી પણ ફાયર ફાઇટર્સ દ્વારા કરવામાં આવે છે. અગાઉના વર્ષોમાં બિહાર સુધી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા કામગીરી કરવામાં આવી છે.

Most Popular

To Top