Comments

અગ્નિવીર : અમલ પહેલા-વિચાર પછી!

અગ્નિવીરના મામલે ફરી સરકારે પગલાં પહેલાં ભર્યાં અને વિચારણા પછીથી કરી, જે એક પ્રયોગ બની રહેવાનો હતો. ભરતીના બહુ નાના ભાગને સ્પર્શ કરવાનો હતો. તે અચાનક હાલની પ્રક્રિયા બની ગયો. આ યોજના અન્વયે પહેલાં 21 વર્ષથી વધુ ઉપરનાં જુવાનિયાઓને અરજી કરવા દેવાની હતી, પછી બેરોજગારો માટે અનામત જાહેર કરવાના હતા. અર્ધલશ્કરી દળમાં બેરોજગારો માટેની અગ્નિવીર યોજના આપણને એવું કહે છે કે જેમણે આ યોજના વિચારી તેમણે પૂરી વિચારણા જ નહોતી કરી.

  હિંસા લગભગ આગાહી કરી શકાય તેવી જ હતી. રેલવેમાં ભરતી માટેની પ્રક્રિયામાં ઓડનું ચોડ થયું, ત્યારે આ જ વર્ષના પૂર્વાર્ધમાં આ જ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ સમયે સશસ્ત્ર દળોમાં ભરતી થવા માટેની તાલીમ લેતા અને (લાયક થવા માટે વધારે ઉંમર થઇ જવાના જોખમ ધરાવતા) યુવકોને મહામારીને કારણે 2 વર્ષ રાહ જોવડાવ્યા પછી હવે કહેવામાં આવે છે કે જે યોજના માટે તમે તાલીમ લીધી છે તે યોજના પૂરી થઇ ગઇ છે. આ યુવકોને કામે નહીં લગાડાય, કારણ કે કાયમ માટે ફૌજી તરીકે ઓળખાનાર અને માનભેર સેનામાંથી નિવૃત્ત તેમના પિતાઓ અને વડવાઓ સેનામાં હતા! તેમને કોન્ટ્રાકટ પર રાખવામાં આવ્યા હતા. તેમાંના મોટા ભાગનાને 4 વર્ષમાં ઘરે મોકલવામાં આવ્યા હતા.

સરકાર હિંસાના બનાવો માટે વિરોધ પક્ષોને ભાંડે છે, પણ આ આક્ષેપમાં કોઇ વિશ્વસનીયતા નથી. સમસ્યા પેદા થવાની છે એવી સરકારને ખબર હતી તેવી એક નિશાની એ વાત પરથી મળે છે કે વડાપ્રધાને આ યોજનાની કોઇ જાહેરાત નહોતી કરી કે ઉદ્‌ઘાટન નહોતું કર્યું. સંરક્ષણ પ્રધાન અને ત્રણે સેવાઓના વડાઓને આ યોજનાઓ વેચવા મોકલાયા હતા. નરેન્દ્ર મોદીના વફાદારો કહેશે કે એમાં કંઇ જ ખોટું નથી અને એ રીતે જ તેની જાહેરાત થવી ઘટે, પણ 2014 થી આ રીતે નથી બની રહ્યું. કંઇ પણ મહત્ત્વનું હોય ત્યાં એક જ વ્યકિત કેમેરા સામે આવીને કહે છે કે કંઇક મહાન અને નવું બની રહ્યું છે. 225 વર્ષ જૂની ભરતીની પ્રક્રિયાને ફોક કરી રાતોરાત નવી પધ્ધતિ દાખલ કરવાની જાહેરાત મોદીએ જ કરવાની હોય.

આમ અગ્નિવીર પણ ખેડૂત કાયદાઓ અને નાગરિકના સુધારાધારા અને નોટબંધી તેમજ લોકડાઉન સાથેની યાદીમાં જોડાય છે. જેમાં સરકારે જાહેરાત પહેલાં કરી હોય અને વિચારણા પછીથી કરી હોય. ખેડૂત કાયદાઓ અને નાગરિકતા સુધારાધારા પ્રતિકારને કારણે પાછા ખેંચાયા હતા કે અભેરાઇએ મૂકાયા હતા એટલે પ્રશ્ન નથી રહેતો. મારા મતે અગ્નિવીર યોજના પણ બૂઝાઇ જશે, કારણ કે આ રીતના હિંસક વિરોધ લાંબો સમય નથી ચાલતા. પોતાનો આક્રોશ દર્શાવતા યુવકો થાકી હારીને પોતાના ઘરે પાછા ફરશે.

આપણે નોકરીના પ્રશ્ને 2015 માં ગુજરાતમાં પાટીદાર આંદોલન જોયું છે. શરૂઆતમાં જે લોકઆંદોલન લાગતું હતું તે થોડા દિવસમાં શમી ગયું. હકીકતમાં નોકરીમાં અનામત માટેની તેમની કોઇ માંગ પૂરેપૂરી સંતોષાઇ ન હતી. જેનો અંત વિજયમાં આવ્યો છે, તેવા ખેડૂત કાયદા વિરોધી અને નાગરિકતા સુધારાધારા સામેના આંદોલનની જેમ તે લાંબા ગાળાની લોક ચળવળ બની રહી છે. અગ્નિવીર યોજનાથી ભડકી ઊઠેલા યુવાનો માટે શાંતિપૂર્ણ અને લાંબા ગાળાનો વ્યૂહ લેવાનું બહેતર બની રહેશે, પણ તેમની પાસે સુઆયોજિત નેતૃત્વ નહોતું અને આવા કોઇ વિધિસરના જૂથ નથી હોતા.

હકીકત એ છે કે બેરોજગારી અથવા બેકારીને વ્યકિતગત રીતે શરમજનક ગણવામાં આવે છે. આથી કામ નહીં મેળવી શકતા જૂથને અન્યોની સાથે પારખી ગતિપાત્ર કરવાનું સહેલું નથી. તેઓ સામાન્ય રીતે સાથે નથી આવતા. આથી તેઓ શાંતિમય આંદોલન કરવાને બદલે આક્રોશ વ્યકત કરે જ છે. મને લાગે છે કે આ ઘટના પણ આપણી પાછળ આવી જશે અને સરકાર અગ્નિવીર અમલી બનાવી શકશે. આ યોજનાના લાભ ઓછા પૈસા ખર્ચવાના અને ગેરલાભ વિનાશક છે. બેરોજગારી સહેલાઇથી નાશ પામે એવી સમસ્યા નથી.

સરકારે આ મહિને જાહેર કરેલી માહિતી મુજબ સરકાર પોતે રોજગારીનું પ્રમાણ વધારવાને બદલે ઘટાડી રહી છે. 17 % ગૃહિણીઓ છે જેને પૈસા નથી અપાતા. ઇતિહાસમાં પહેલી વાર એવું બને છે કે લોકો ઉત્પાદન અને સેવાઓનું ક્ષેત્ર છોડી ખેતીવાડી તરફ વળી રહ્યા છે. CMIE પણ કહે છે કે 15 વર્ષથી વધુ વયના 40 કરોડ લોકો કામની શોધમાં છે. નવા ભારતમાં નોકરી નથી અને સેનાની ભરતીના મામલે આવો આક્રોશ વધુ મોટી સમસ્યાનું પ્રતીક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top