Comments

સત્તાપલટામાં સુરતના મતદારોની ભૂમિકા?

ત્રણ  મહિના પહેલાં આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને તેમની નવલકથા ‘ગુજરાતનો નાથ’ યાદ કરીને એક મહત્ત્વનો સવાલ કર્યો હતો! ગુજરાતનો નાથ કોણ બનશે? ‘ગુજરાતનો નાથ’ નવલકથા અને ગુજરાતની સ્થિતિ વચ્ચેની સમાનતાની વાત કરી હતી અને તે આજે શોધવાની મુશ્કેલ નથી. કનૈયાલાલ માણેકલાલ મુન્શી (૧૮૮૭-૧૯૭૧) અને ગુજરાત માટે ‘અસ્મિતા’ શબ્દનો પ્રયોગ કર્યો હતો અને નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે પહોંચ્યા ત્યારથી આ શબ્દનો છૂટથી ઉપયોગ થાય છે અને ચર્ચા થાય છે. અમે એવું પણ કહ્યું હતું કે દિલ્હીમાં એવું માનવામાં આવે છે કે ગુજરાતની વધુ પ્રગતિ માટે હવે કોણ નાથ બનશે? ગુજરાતમાં પ્રવાહી પરિસ્થિતિ હોવાની લાગણી મોદી અને ભારતીય જનતા પક્ષ માટે સારી ન હતી. વહેલા-મોડા કંઇક તો કરવું પડે તેવું હતું જ. આખરે આપણને જવાબ મળી ગયો – આશ્ચર્યથી મોં પહોળું રહી જાય તેવો ભૂપેન્દ્ર પટેલ. પહેલી જ વાર ધારાસભામાં ગયેલા ભૂપેન્દ્ર પટેલને મોદીએ ગુજરાતનો નાથ બનાવ્યા.

ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભારે બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે મધ્યપ્રદેશના રાજયપાલ બનતાં ખાલી પડેલી બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતા. હવે ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લડાશે. ભૂપેન્દ્ર પટેલે ૨૦૧૦ માં અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટાઇને પહેલી મોટી ચૂંટણી જીતી હતી. પછી તો તેમની ચડતી થવા માંડી. કોર્પોરેટર તરીકેની પહેલી જ મુદતમાં તે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બન્યા. એ ખૂબ સ્પષ્ટ થઇ ગયું છે કે મોદીએ પોતાના પક્ષના નેતાઓ અને ગુજરાતના મતદારોને સ્પષ્ટ અંદેશ આપવા માટે ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પક્ષના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે. મુખ્ય પ્રધાનપદ માટે પસંદ કરવા મોદી પાસે ઘણા ધારાસભ્યો હતા, પણ ભૂપેન્દ્ર પટેલની જ કેમ પસંદગી કરી?

આપણને એવું કહેવામાં આવ્યું છે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ઔડાના અધ્યક્ષ તરીકે પટેલની વિવાદરહિત કામગીરી જોઇ મોદીએ તેમની મુખ્ય પ્રધાન તરીકે પસંદગી કરી છે. બોપલ-ધુવા વિસ્તાર ૨૦૨૦ માં અમદાવાદ મહાનગરપાલિકામાં ભળી ગયો તે પહેલાં ઔડાની હકૂમત હેઠળ હતો અને પટેલે તેના ઘણા પ્રોજેકટો પર દેખરેખ રાખી હતી. પટેલ સામે કોઇ મોટો વિવાદ સંકળાયેલો નથી તેની મોદીનાં મન પર ઊંડી છાપ પડી છે.બીજો મોટો પ્રશ્ન એ છે કે મોદીએ અત્યારે જ દરમ્યાનગીરી કરવાનું કેમ પસંદ કર્યું? દિલ્હીનાં વર્તુળો કહે છે કે મુખ્ય પ્રધાનની બદલીથી ગૃહપ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં નવાં સમીકરણ મંડાય છે. રૂપાણી અમિત શાહની પસંદગી હતા. મોદીએ નકકી કર્યું કે ભારતીય જનતા પક્ષની ગુજરાતમાં છબી સુધારવા રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલ માટે માર્ગ કરી આપવો જોઇએ. એનો અર્થ એ પણ થાય કે મોદી ભૂપેન્દ્ર પટેલ પાસે રૂપાણી કરતાં અલગ રીતે કામ કરવાની અપેક્ષા રાખે છે. આ પરિવર્તનનું આ બીજું પરિમાણ છે.

સુરતનાં મતદારોએ મોદી ભૂમિકા ભજવી હોઇ શકે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતનાં મતદારોએ મોદીને ટકોરો માર્યો હોઇ શકે. ભારતીય જનતા પક્ષનાં કેટલાંક જૂથોએ પણ આ દિશામાં વિચારવામાં મદદ કરી હોઇ શકે. એ સાચું છે કે કોરોનાના વિસ્ફોટ સાથે રૂપાણીને સમસ્યાઓ થવા માંડી હતી અને મોટા પડકાર આવીને ઊભા હતા, પણ ભારતીય જનતા પક્ષનાં આંતરિક વર્તુળો કહે છે કે કોરોના કરતાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીએ દિલ્હીની નેતાગીરીને હચમચાવી દીધી.

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના અસરકારક વિકલ્પ બનવાની સ્થિતિમાં કોંગ્રેસ નથી, પણ આમ આદમી પક્ષને બુદ્ધિની ખૂબ તક દેખાય છે. મોદીને ભારતીય જનતા પક્ષ માટે લાંબા ગાળે તકલીફ થવાની ગંધ આવી ગઇ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ – આપ ગુજરાતના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસનો હિસ્સો ગળી જઇ ૧૨૦ બેઠકોમાંથી ૨૭ બેઠકો મેળવી ગયો. તેનાથી ભારતીય જનતા પક્ષ પણ ઉપરતળે થઇ ગયો હતો. ત્યાર પછી આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે બે વાર આવી ગયા.

આપણે જાણીએ છીએ કે ગુજરાત બે પક્ષોનું રાજય છે અને સત્તા કોંગ્રેસ અને ૧૯૯૯ થી સત્તા પર રહેલા ભારતીય જનતા પક્ષ વચ્ચે આવ-જા કરે છે. આ બે પક્ષો ઉપરાંત વિધાનસભામાં  ભારતીય આદિવાસી પક્ષ અને એક ધારાસભ્ય નેશનલિસ્ટ કોંગ્રેસ પક્ષ અને એક અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ માવાણી છે. મોદીના જાદુ અને મુખ્ય પ્રધાન તરીકેની તેમની કામગીરીને કારણે ભારતીય જનતા પક્ષ વારંવાર સત્તા પર ચૂંટાઇ આવે છે. શાસનવિરોધી લાગણીનો આપને ફાયદો મળે તેમ તો મોદી નહીં જ ઇચ્છે.

બધા એ પણ જાણે છે કે કુલ મતદારોના ૧૪% હિસ્સો ધરાવતા પટેલોની છેલ્લા કેટલાક વખતથી અવગણના કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી મોદી તેમને પણ ઠંડા પાડી રહ્યા છે. આખરે તો પટેલો ભારતીય જનતા પક્ષની મજબૂત મતબેંક છે. અનામત માટેની તેમની માંગણીથી ભારતીય જનતા પક્ષ સાથેના તેમના સંબંધોમાં કચરું પડયું? હાર્દિક પટેલની આગેવાની હેઠળના અનામત આંદોલને ૨૦૧૭ ની ચૂંટણીમાં કોંગ્રેસને ખાસ્સી મદદ કરી. પટેલ સમુદાયને કોંગ્રેસને ઉકરડે ફેંકવા અને આપની આંગળી છોડવા સમજાવી શકાય તો ગુજરાતના રાજકારણમાં ફરી વળાંક આવે. મોદીએ આ કામ માટે ભૂપેન્દ્ર પટેલ પર મોટો મદાર રાખ્યો છે અને તેઓ ગુજરાતમાં પહેલાં કરતાં વધુ રસ લેશે તેવી સંભાવના વધે છે. લોકોએ તો એ જ જોવાનું છે કે ભૂપેન્દ્ર પટેલના રાજમાં હવે પછીના ૧૫ મહિનામાં વધુ સારું શાસન મળશે કે નહીં. આખરે તો મોદી બધું જુએ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top