Entertainment

લગ્નના 15 વર્ષે આમિર અને કિરણ અલગ થયા, સહમતિથી લીધા છૂટાછેડા

બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) ના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે પત્ની કિરણ રાવ સાથે પરસ્પર સહમતિથી છૂટાછેડા (Divorce) લઇ રહ્યા છે. બંનેએ 28 ડિસેમ્બર 2008ના રોજ લગ્ન કર્યા હતા. 15 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. છૂટાછેડા પર આમિર (Aamir Khan) અને કિરણ રાવે ઓફિશિયલ સ્ટેટમેંટ પણ જાહેર કરી દીધું છે.

‘આ 15 વર્ષ સુંદર રીતે સાથે પસાર કર્યા દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યા અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરેન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન નક્કી કર્યો હતો અને હવે અમે આ અલગ થવાની આ વ્યવસ્થાને નક્કર સ્વરૂપ આપી રહ્યાં છીએ. અમારા દીકરા આઝાદને અમે બહુ પ્રેમથી ઉછેર્યો છે. તેના માટે હવે અમે કો-પેરન્ટ્સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું. અમે ફિલ્મો અને અમારા ‘પાની ફાઉન્ડેશન’ સિવાય એ દરેક પ્રોજેક્ટમાં સાથે કામ કરીશું, જેમાં અમને રસ છે. અમારા મિત્રો અને સંબંધીઓનો આભાર, જેમણે અમને આ સમયમાં સતત સહકાર આપ્યો. તેમના સમર્થન વગર અમે આ નિર્ણય ના લઈ શકત. અમે અમારા શુભચિંતકો પાસેથી આશા રાખીએ છીએ કે તેઓ અમારા આ ડિવોર્સને એક અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત તરીકે સ્વીકારે.’

એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને જણાવ્યું હતું કે, કિરણ સાથે તેમની પહેલી મુલાકાત ‘લગાન’ ફિલ્મના સેટ પર થઈ હતી અને ત્યારે તે એક આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. આમિરે કહ્યું હતું કે, એક દિવસ કિરણનો ફોન આવ્યો અને અમારે 30 મિનિટ સુધી વાત થઈ. કિરણ સાથે વાત થયા પછી મને બહુ જ ખુશી થઈ. મારી ખુશીને હું ફીલ કરી શકતો હતો.

આ ફોન કોલ પછી મેં કિરણને ડેટ કરવાનું શરૂ કર્યું. અમે એકબીજાને 1-2 વર્ષ સુધી ડેટ કર્યાં અને સાથે પણ રહ્યાં. પછી મને લાગ્યું કે, હું કિરણ વગરના મારા જીવન વિશે વિચારી શકું એમ નથી. તેનામાં સૌથી સારી વાત એ છે કે, તે ખૂબ મજબૂત મહિલા છે. પછી મેં મારા સંબંધને નામ આપવાનું નક્કી કર્યું અને અમે લગ્ન કરી લીધાં.

Most Popular

To Top