Sports

ભારતીય હોકીની જર્સીનો રંગ બદલવાના નિર્ણય પર વિવાદ, અધ્યક્ષ દિલીપ તિર્કીએ માંગી વિગતવાર સ્પષ્ટતા

ભારતીય હોકી ટીમની દાયકાઓથી ઓળખ બની રહેલી પરંપરાગત નીલી જર્સીને બદલીને કેસરિયા રંગની જર્સી અપનાવવાના નિર્ણયને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. અહેવાલો અનુસાર, 15 ઓગસ્ટથી પુરુષ અને મહિલા બંને રાષ્ટ્રીય ટીમોને નવી જર્સી પહેરાવવાની તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ તિર્કીએ સમગ્ર નિર્ણય પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવી વિગતવાર સ્પષ્ટતા માગી છે.

જર્સી બદલવાના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ

અહેવાલ મુજબ, હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ તિર્કીએ મહાનિર્દેશક કમાન્ડર આર.કે. શ્રીવાસ્તવને પૂછ્યું હતું કે જર્સી બદલવાનો નિર્ણય કઈ પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યો હતો. જવાબમાં શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આવા ‘ઓપરેશનલ નિર્ણયો’ અગાઉ પણ કાર્યકારી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતા નહોતા. જો કે, આ જવાબથી અસંતોષ વ્યક્ત કરતાં તિર્કીએ પોતાના તમામ પ્રશ્નોના મુદ્દાવાર જવાબ આપવા જણાવ્યું છે.

‘હોકી ઇન્ડિયા માત્ર સંરક્ષક છે’

દિલીપ તિર્કીએ પોતાના પત્રમાં લખ્યું છે કે હોકી ઇન્ડિયા ભારતીય હોકીનો માલિક નથી, પરંતુ દેશની આ રમતગમતની વારસાનો માત્ર સંરક્ષક અને ટ્રસ્ટી છે. તેમણે જણાવ્યું કે માત્ર સામાન્ય સ્પષ્ટતા અથવા દાવાઓથી કાર્યકારી બોર્ડ પોતાની બંધારણીય જવાબદારીઓ નિભાવી શકશે નહીં. નિર્ણય પ્રક્રિયા સંબંધિત દરેક મુદ્દાનો દસ્તાવેજી આધાર સાથે જવાબ આપવો જરૂરી છે. તિર્કીએ મહાનિર્દેશકને 4 ઓગસ્ટ 2026ના રોજ દિવસ પૂર્ણ થાય તે પહેલાં જવાબ આપવા કહ્યું હતું.

મુદ્દો માત્ર રંગનો નથી

તિર્કીએ સ્પષ્ટ કર્યું કે વિવાદનો મુદ્દો માત્ર જર્સીના રંગ અથવા ડિઝાઇનનો નથી.

તેમના જણાવ્યા મુજબ મુખ્ય પ્રશ્નો આ છે:

  • નિર્ણય લેવાનો અધિકાર કોના પાસે હતો?
  • નિર્ણય પહેલાં કોની સલાહ લેવામાં આવી?
  • હોકી ઇન્ડિયાની વહીવટી પ્રક્રિયાનું પાલન થયું કે નહીં?
  • સંસ્થાકીય નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું કે નહીં?

ખેલાડીઓની તૈયારી અંગે પણ પૂછ્યા પ્રશ્નો

તિર્કીએ જણાવ્યું કે કાર્યકારી બોર્ડમાં અનેક પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ઓલિમ્પિયન સામેલ છે, જેમનો અનુભવ મહત્વપૂર્ણ છે. તેમણે પૂછ્યું કે જર્સી બદલવાથી ખેલાડીઓના આત્મવિશ્વાસ, માનસિક એકાગ્રતા, તૈયારી અને પ્રદર્શન પર શું અસર પડી શકે તે અંગે કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે નહીં. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે પુરુષ હોકી ટીમના ખેલાડીઓને વર્લ્ડ કપ પહેલાં જર્સી બદલવાના નિર્ણય અંગે મીડિયાના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. આવી પરિસ્થિતિનો ખેલાડીઓની માનસિક તૈયારી પર શું પ્રભાવ પડશે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કે નહીં, તેની પણ સ્પષ્ટતા માગવામાં આવી છે.

ફૈસલાની સંપૂર્ણ વિગતો માગી

દિલીપ તિર્કીએ મહાનિર્દેશક પાસેથી નીચેની માહિતી પણ માગી છે:

  • જર્સી બદલવાનો અધિકાર અને મંજૂરી કોના દ્વારા આપવામાં આવી?
  • સમગ્ર નિર્ણય પ્રક્રિયાની સમયરેખા.
  • નિર્ણયમાં સામેલ તમામ અધિકારીઓના નામ, હોદ્દા અને ભૂમિકા.
  • આ મુદ્દે થયેલી આંતરિક ચર્ચાની નકલો.
  • ખેલાડીઓ અને અન્ય અધિકારીઓ પાસેથી લેવામાં આવેલી સલાહના દસ્તાવેજી પુરાવા.
  • નવી જર્સીની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાય પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો.

પૂર્વ ખેલાડીઓએ પણ વ્યક્ત કર્યો વિરોધ

અહેવાલો અનુસાર, હોકી જગતના અનેક દિગ્ગજો અને ચાહકોએ પણ આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા છે. 7 પૂર્વ ભારતીય કેપ્ટનો, ઓલિમ્પિક પદક વિજેતાઓ અને વર્લ્ડ કપ વિજેતા ટીમોના પૂર્વ કેપ્ટનોએ દાયકાઓ જૂની નીલી જર્સીને બદલીને કેસરિયા જર્સી અપનાવવાની જરૂરિયાત અને તેના ઔચિત્ય અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. હાલ આ મુદ્દે હોકી ઇન્ડિયાની અંદર નિર્ણય પ્રક્રિયાને લઈને ચર્ચા વધુ તેજ બની છે.

Most Popular

To Top