Gujarat

કોરોના સામેની લડતમાં તબીબો જ સેનાપતિ છે, તેમના સહયોગથી જ આ જંગ જીતી શકીશું : રૂપાણી

કોરોના સામેના જંગમાં રાજ્યમાં તબીબો જ મુખ્ય સેનાપતિ છે અને તેમના સહયોગથી જ આ જંગ જીતી શકીશું તેમ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું. રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે હોસ્પિટલ, બેડ અને અન્ય સંસાધનોની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. આવા સમયે રાજ્યના ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ શાખાના તબીબો કોરોના મહામારી સામેની લડતમાં વહીવટી તંત્ર સાથે જોડાય તે સમયની માંગ છે.

રૂપાણીના અધ્યક્ષસ્થાને શુક્રવારે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્ય સાત શહેરોના ઈન્ડિયન મેડિકલ એસો.ના પ્રમુખ-હોદ્દેદારો સાથે કોરોના નિયંત્રણ અંગે ઇ-સંવાદ યોજાયો હતો.તેમણે જણાવ્યું હતું કે હાલના કપરા સમયમાં જ્યાં જરૂર પડે ત્યાં જિલ્લા કલેકટર-કમિશનરના નેજા હેઠળ તમામ ખાનગી તબીબો કોરોના દર્દીની સારવાર માટે વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. કોરોના મહામારી સામેની લડતમાં તબીબો જ સેનાપતિ છે અને તેમના સહયોગથી જ આ જંગ જીતી શકીશું, તેમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લામાં કોવિડ બેડની સંખ્યામાં વધારો કરવા અને તંત્રને મદદરૂપ થવા પ્રાઇવેટ નર્સિંગ હોમ કોરોનાના દર્દીઓ માટે પથારી અનામત રાખે તે ઇચ્છનીય છે.તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આગામી સંભવિત પરિસ્થિતિઓનું આંકલન કરી કાર્યરીતિ-નીતિ ઘડી રહી છે. માનવ સંસાધનની માંગને પહોંચી વળવા આરોગ્ય ક્ષેત્રે આવશ્યક તમામ ભરતીઓ કરવાની જિલ્લા વહીવટી તંત્રને છુટ આપી છે. સરકારે આરોગ્ય વિભાગની હોમીયોપેથી, આયુર્વેદિક જેવી તમામ શાખાના આરોગ્ય કર્મી- તબીબોને કોવિડ દર્દીઓની સારવારમાં જોડ્યા છે ત્યારે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનની ભૂમિકા પણ એટલી જ મહત્વની બની જાય છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે શુક્રવારે IMAના સભ્યો સાથેના ઇ-સંવાદમાં જણાવ્યું હતું કે, રાજ્યભરના IMAના તબીબો ફેમિલી ડૉક્ટરની જેમ ટેકનોલોજીના માધ્યમથી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કોરોનાના દર્દીનું કાઉન્સિલીંગ-સારવાર કરે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. આપણે કોરોનાના દર્દીને ફોન ઉપર કે વીડિયો કોલના માધ્યમથી તેની સાથે વાતચીત કરીને સારવાર આપી શકીએ અને જરૂર જણાય તો જ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપીએ આમ કરવાથી સામાન્ય લોકોમાં કોરોનાનો ડર ઓછો થશે.


આપણે ફેમિલી ડૉક્ટરની ભૂમિકા ભજવીશું તો જ કોરોનાની પરિસ્થિતિને સંયુક્ત પ્રયાસોથી નિયંત્રણમાં લાવી શકીશું. આપણે ખાનગી પ્રેક્ટિસની સાથે સાથે સરકારી હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓનું કાઉન્સિલીંગ કરતા રહેવું જોઇએ તો કોઇનો જીવ બચાવી શકીશું તેમ તેમણે ઉમેર્યું હતું.

બેઠકની શરૂઆતમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં કોરોના સંક્રમણ અને આરોગ્ય માળખાની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત આંકડાકીય વિગતો આપતું પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં તેમણે રાજ્યમાં છેલ્લા એક મહિનામાં કોરોના ટેસ્ટની સંખ્યા ૪૬ હજારથી વધારીને ૧.૫૯ લાખ થઇ હોવાનું, બેડની સંખ્યામાં ૩૪ હજારનો વધારો, ચાર લાખ રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ અને અત્યાર સુધી વેક્સિનના એક કરોડ ડોઝ અપાયા હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top