ભાસ્કરવિઠ્ઠલ વાડામાં મારામારી બાદ અફરાતફરીનો માહોલ, ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખસેડાયા, વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં
વડોદરા તા.19
વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કરવિઠ્ઠલ વાડામાં બે પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર મારામારીને કારણે ભારે હંગામો સર્જાયો હતો. નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બની જતા બંને પક્ષ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
મારામારી દરમિયાન પથ્થરમારો પણ થયો હતો, જેના કારણે વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મારામારી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાવપુરાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, નજીવી બોલાચાલી બાદ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.