પાચરાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનાં પરિણામ જોતાં થોડી બહોળા કેનવાસ પર સમગ્રતામાં વાત કરવાની જરૂર ભાસે છે માટે આ લેખશ્રેણી:
જેની કોઈ રાજકીય ગણના નહોતી, જેની એક સમયે ઠેકડી ઉડાડવામાં આવતી હતી, જેની ભારત વિશેની કલ્પનાને શેખચલ્લીના ખ્વાબ તરીકે જોવામાં આવતો હતો એ લોકો ભારતીય રાજ્ય (સત્તા નહીં, રાજ્ય. સત્તા કબજે કરવી અને રાષ્ટ્રને કબજે કરવું એ બેમાં જમીન-આસમાનનો ફરક છે.) પર કબજો કેવી રીતે કરી શક્યા? મેં મારા એક લેખમાં કનૈયાલાલ મુનશીને ટાંક્યા હતા. તેમણે આઝાદીની પહેલી વર્ષગાંઠ નિમિત્તે એક લેખમાં કહ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સત્તા પર કબજો જમાવશે તો દેશમાં સંપૂર્ણપણે ફાસિસ્ટ રાજ્ય આકાર લેશે, પણ એવી શક્યતા નહીંવત્ છે. સંઘ ફાસીવાદી છે અને તેનો વિજય એટલે રાષ્ટ્ર/રાજ્ય પર કબજો એ વાત મુનશી અને તેમના જેવા બીજા અનેક લોકો જાણતા હતા, પણ એવું શું હતું કે તેઓ એવી શક્યતા નહીંવત્ જોતા હતા? આખરી પરિણામની તો જાણ હતી, પાક્કી ખાતરી હતી, પણ સંભાવના નહીંવત્ લાગતી હતી.
મેં જે અભ્યાસ કર્યો છે એમાં બે વ્યક્તિ મેં એવી જોઈ છે જે એ સમયે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બાબતમાં સાવધાન હતી. એક જવાહરલાલ નેહરુ અને બીજા વિનોબા ભાવે. આમ તો ત્રણ કહી શકાય. પહેલા મહાત્મા ગાંધી, પણ તેમની સામેનો સંદર્ભ સંસદીય સત્તાકીય રાજકારણનો નહોતો. ગાંધીજીની નિસ્બત અહિંસક સમાજરચના માટેની અને સાધનશુદ્ધિ માટેની હતી. તેમણે કહ્યું છે અને વિનાયક દામોદર સાવરકરનું તો નામ લઈને કહ્યું છે કે તેઓ હિંસામાં માને છે, એ પણ વળી સમી છાતીએ (બહાદૂર ક્રાંતિકારીઓની માફક) પોતે હિંસા કરવામાં માનતા નથી, પણ પાછળ રહીને હિંસા કરાવે છે અને સાધનશુદ્ધિમાં માનતા નથી. આ વાત તેમણે ૧૯૦૯માં મદનલાલ ઢીંગરાએ કર્નલ વાઈલીનું લંડનમાં ખૂન કર્યું ત્યારે ‘ઇન્ડિયન ઓપિનિયન’માં લેખ લખીને કહી હતી અને પછી પણ બે-ચાર વાર કહી છે.
જવાહરલાલ નેહરુએ તો સંઘને ફાસિસ્ટ સંગઠન તરીકે અનેકવાર ઓળખાવ્યું છે. ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ કારણ કે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો સંઘ સાથે એ સમયે સીધો સંબંધ નહોતો એવું માનનારા કોંગ્રેસમાં અનેક લોકો હતા અને એ વાત સાચી પણ હતી. પરંતુ આ સિવાય પણ એક કારણ હતું. કોંગ્રેસની અંદરના જમણેરી નેતાઓને એમ લાગતું હતું કે આ સંગઠન ત્રણ રીતે કામની છે. એક તો તેઓ મુસ્લિમ કોમવાદને અંકુશમાં રાખી શકે એમ છે. બીજુ વખત આવ્યે તેઓ સામ્યવાદ અને સામ્યવાદીઓને ખાળવામાં મદદરૂપ થઈ શકે એમ છે અને ત્રીજુ તેઓ કોંગ્રેસની અંદર સમાજવાદી વિચારો ધરાવનારા ડાબેરી નેતાઓની વગ ઘટાડવામાં ઉપયોગી થઈ શકે એમ છે. કોઈકને મુસ્લિમ કોમવાદનો ભય હતો, કોઈકને સામ્યવાદનો ભય હતો અને કોઈકને કોંગ્રેસ સમાજવાદનો માર્ગે અપનાવે એ વાતનો ભય હતો. મોટાભાગના લોકોને આ ત્રણેય ભય એક સાથે સતાવતો હતો અને એ દરેક લોકોને એક વાતની તો ખાતરી હતી કે આ ગાંડીઘેલી વાતો કરનારી સંગઠન ક્યારેય સત્તા સુધી પહોંચી શકે એમ નથી. હિન્દુ ઝનૂની બની જ ન શકે. તેમની કલ્પનાનું ભારત હિન્દુ પીંડને માફક આવે એવું નથી. કનૈયાલાલ મુનશીએ તો ઉપર ટાંક્યો એ લેખમાં લખ્યું પણ હતું કે આ સંગઠન સામ્યવાદને ખાળવામાં મદદરૂપ થઈ શકે એમ છે. મુનશીએ તેમને “A Friend In Need” તરીકે ઓળખાવ્યા હતા. હા, એક વાતની ખાતરી હતી કે ન કરે નારાયણ અને જો તેઓ સત્તા પર કબજો કરે તો ફાસીવાદી શાસન અવશ્યંભાવી છે.
સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા એમ. એસ. ગોલવલકરને સલાહ આપી હતી કે સંઘ કોંગ્રેસમાં જોડાઈ જાય. તેમનો ઈરાદો કોંગ્રેસની અંદરના ડાબેરીઓનો પ્રભાવ ખાળવાનો હતો. તેમણે એવી પણ સલાહ આપી હતી કે આ સારું તેમણે જવાહરલાલ નેહરુને રાજી કરવા જોઈએ. ગોલવલકર સાહેબે એવો પ્રયાસ કર્યો પણ હતો. તેમણે પોતાના નામે સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં નેહરુની પ્રસંશા કરતા લેખો લખ્યા હતા. એક બે નહીં, શ્રેણીબદ્ધ. આહા! નેહરુના આટલા અને આવા વખાણ તો તેમનાં માતાપિતાએ પણ નહીં કર્યા હોય! ભારતનો પનોતો પુત્ર, ગરીબોની આંખોનું નૂર અને બીજું શું નહીં!
નેહરુ પીગળ્યા નહોતા. તેમણે ઘસીને કોંગ્રેસમાં જોડાવાની ના પાડી દીધી. સંઘ ફાસીવાદી સંગઠન છે અને ફાસીવાદી કમજોર હોય તો પણ જોખમી છે એ નેહરુ જાણતા હતા અને એમ એકથી વધુ વખત કહ્યું પણ હતું. હિટલર અને તેનો પક્ષ પણ એક સમયે કમજોર હતા. ઝેરનાં પારખાં કરવાના ન હોય. નજીકના ભૂતકાળમાં જર્મની અને ઇટલીએ આનાં પારખાં કર્યાં અને પરિણામ જગતની સામે છે. ભારતમાં જવાહર નેહરુ એક એવા નેતા હતા જેઓ વિશ્વિક દૃષ્ટિકોણ (વર્લ્ડ વિઝન) ધરાવતા હતા. બીજા પણ એવા નેતા હતા, પરંતુ નેહરુનો વૈશ્વિક તેમ જ સાંગોપાંગ ઐતિહાસિક દૃષ્ટિકોણ દૃઢ હતો. આવા નેતાઓ તાત્કાલિક લાભાલાભથી દૂરનું જોઈ શકતા હોય છે. નેહરુએ કહ્યું હતું કે ફાસીવાદી ગમે એટલો કમજોર હોય અને દુશ્મનને ખાળવામાં ગમે એટલો ઉપયોગી હોય તેને આંગળી ન અપાય.
બીજા અને ગાંધીજીને ગણો તો ત્રીજા વિનોબા ભાવે. દિલ્હીમાં ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિનોબા સેવાગ્રામ આશ્રમમાં હતા. તેમણે એ દિવસોમાં રોજ સાંજે ગાંધીજી વિષે અને ગાંધીજીની કલ્પનાના વૈશ્વિક સમાજ વિષે પ્રવચનો આપ્યાં હતાં. એ પ્રવચનો મનનીય હતાં. વિનોબાનો દૃષ્ટિકોણ નેહરુ જેવો વૈશ્વિક માનવતાવાદી નહોતો, પણ હિન્દુ દાર્શનિક માનવતાવાદી હતો. તેમણે કહ્યું હતું કે સંઘની વિચારધારા હિન્દુ પરંપરા સુસંગત નથી, પણ વિસંગત છે. તેઓ હિન્દુનો પીંડ બદલવા માગે છે. તેઓ હિન્દુ માનસ બદલવા માગે છે. તેઓ જન્મજાત ઉદારમતવાદી હિન્દુને સંકીર્ણ બનાવવા માગે છે. તેઓ હિન્દુને હિંસક બનાવવા માગે છે. તેમની પ્રેરણા વેદ ઉપનિષદ નથી, પણ પશ્ચિમની વિચારધારા છે. ગાંધીજીની હત્યા એ એજન્ડાના ભાગરૂપે કરવામાં આવી છે, કારણ કે ગાંધીજી પરિપક્વ હિન્દુ પરંપરાનું ફળ છે અને નવા યુગનું બીજ છે. તેમણે તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું સેવાગ્રામથી નાગપુરનું અંતર બહુ ખાસ નથી, માટે સાવધાન રહેવાની જરૂર છે.
તેમણે એ વખતે તો નહીં, પણ અન્યત્ર એમ પણ કહ્યું હતું કે જે દેશે ઇતિહાસમાં ક્યારેય અખંડતા જોઈ નથી, જે દેશનું અનેક પ્રયત્નો પછી પણ કોમી વિભાજન થયું, જે દેશમાં વિવિધતાઓનો પાર નથી, જે દેશમાં ઊચનીચની નિસરણી કલંકરૂપ છે એ દેશનું પ્રજાસત્તાક લોકતાંત્રિક અને આધુનિક દેશમાં રૂપાંતર કરવું એ રાજકીય