સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના નાયબ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ અચાનક મુલાકાત લઈ હોસ્પિટલની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ, સફાઈની સ્થિતિ અને તૂટી ગયેલી સુવિધાઓ અંગે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
મુલાકાત દરમિયાન નાયબ આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના વિવિધ વોર્ડ, બાથરૂમ અને અન્ય વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દીઓને મળતી મૂળભૂત સુવિધાઓ સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. ખાસ કરીને વોર્ડના બાથરૂમ સ્વચ્છ અને વ્યવસ્થિત રહે તે અંગે સત્તાધીશોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલની કેટલીક જગ્યાઓ પર ટાઇલ્સ ઉખડી ગયેલી તેમજ જર્જરિત હાલતમાં જોવા મળતા તેમણે તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધરવા જણાવ્યું હતું. હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓમાં સુધારો લાવવા માટે સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. બાદમાં યોજાયેલી બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, આરએમઓ તેમજ પીડબલ્યુડી વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન પ્રફુલ પાનસુરીયાએ પોતાના આગવા અંદાજમાં અધિકારીઓને તાકિદ કરી હતી કે જો કોઈને સુરત સિવિલ હોસ્પિટલમાં કામ કરવાની ઇચ્છા ન હોય તો તેઓ રાજ્યની અન્ય જગ્યાએ ફરજ બજાવી શકે છે, પરંતુ દર્દીઓની સુવિધાઓ સાથે કોઈપણ પ્રકારનો સમાધાન સ્વીકારવામાં આવશે નહીં.ખાસ કરીને હોસ્પિટલમાં વારંવાર એર કન્ડિશનિંગ સિસ્ટમ બંધ રહેતી હોવાની ફરિયાદો તેમજ પીએમ રૂમમાં પણ આવી સમસ્યાઓ સામે આવતાં તેમણે અધિકારીઓને આડા હાથ લીધા હતા. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ તાત્કાલિક સુધારવા જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન તેમણે તાજેતરમાં શરૂ થયેલી લાયન્સ કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંની આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી.આ સમગ્ર મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના ચીફ આરએમઓ ડો. કેતન નાયક, નર્સિંગ યુનિયન ગુજરાતના પ્રમુખ ઇકબાલ કડીવાલા તેમજ વિવિધ વિભાગોના એચઓડી હાજર રહ્યા હતા. નાયબ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલ રાજ્યની મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થાઓમાંની એક છે અને આગામી સમયમાં પણ વિવિધ વિભાગોમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવશે. સાથે જ અગાઉ આપવામાં આવેલી સૂચનાઓ અને ટકોરનો અમલ થયો છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવશે.