Columns

અમેરિકા જેવી મહાસત્તા પણ ઈરાનમાં સત્તાપલટો કરાવવામાં કેમ નિષ્ફળ પુરવાર થઈ?

ઈરાન સામેનું યુદ્ધ શરૂ કરતી વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધાર્યું હતું કે તેઓ વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ સત્તાપલટો કરાવી શકશે, જેને કારણે ચપટી વગાડતાં યુદ્ધનો અંત આવી જશે. યુદ્ધના પહેલા જ દિવસે અમેરિકા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેનીની હત્યા કરવામાં સફળ થયું હતું. અમેરિકાની ધારણા હતી કે ખામેનીની હત્યાને પગલે ઈરાનનું વહીવટીતંત્ર ભાંગી પડશે, પ્રજા બળવો કરશે અને તેની કઠપૂતળી જેવી સરકારની તહેરાનમાં સ્થાપના કરી શકાશે, પણ અમેરિકાની ગણતરી ઊંધી વળી ગઈ છે.

આયાતોલ્લાહ ખામેનીના મરણ પછી તેમના કરતાં પણ વધુ કટ્ટરતા ધરાવતા તેમના પુત્ર મોજતબા ખામેની સત્તા પર આવ્યા છે અને તેમણે બમણા ઝનૂન સાથે લડાઈ ચાલુ રાખી છે. આ યુદ્ધ દ્વારા ઈરાનમાં સત્તાપરિવર્તન કરાવવાનો અમેરિકાનો ઇરાદો સફળ થયો નથી. તેના બદલે ઈરાન દ્વારા કરવામાં આવેલા વળતા હુમલામાં મધ્ય-પૂર્વમાં આવેલાં અમેરિકાનાં લશ્કરી થાણાંઓને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થયું છે. અમેરિકા પાસે શસ્ત્રોનો જથ્થો ખૂટી જવાની તૈયારીમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ ખતમ કરવા માગે છે, પણ ઈરાન તેના માટે તૈયાર નથી. ઈરાનના સત્તાતંત્રમાં એવી કઈ તાકાત છે કે અમેરિકા જેવી મહાસત્તા પણ ઈરાનમાં સત્તાપરિવર્તન કરાવી શકતી નથી?

ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિને ચાર દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આ સમય દરમિયાન ઈરાનની પાવર સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે ટકાઉ રહે છે અને તેને સરળતાથી તોડી  શકાય તેમ નથી. ઈરાનની રાજાશાહીને દૂર કર્યા પછી ઇસ્લામિક રિપબ્લિકે ધીમે ધીમે એક એવું રાજકીય માળખું બનાવ્યું છે, જે મોટામાં મોટા આંચકાઓનો પણ સામનો કરી શકે છે. તેમાં કડક રીતે નિયંત્રિત સંસ્થાઓ, વૈચારિક તાલીમ, સ્માર્ટ સંકલન અને વિરોધી દળોનું વિભાજન સામેલ છે. ઈરાનનું સત્તાતંત્ર હાઇડ્રા જેવું છે. તમે એક માથું કાપી નાખો છો તો નવું માથું ઊગે છે. ઈરાનમાં એક વ્યક્તિ પર કેન્દ્રિત સરમુખત્યારશાહીને બદલે બહુસરમુખત્યારશાહી છે.

નિષ્ણાતો કહે છે કે ટ્યુનિશિયા, ઇજિપ્ત અને સીરિયા જેવા પ્રદેશના નેતાઓને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા, પણ ઈરાન બાહ્ય આંચકાઓ સામે વધુ સ્થિતિસ્થાપક રહ્યું છે. આનું કારણ તેનું વિચારો આધારિત સુરક્ષા માળખું છે. ઈરાનની સત્તા ધાર્મિક સંસ્થાઓ, સશસ્ત્ર દળો અને અર્થતંત્રના મોટા ભાગો સહિત અનેક કેન્દ્રોમાં વિભાજિત છે. આનાથી એક વ્યક્તિની સરમુખત્યારશાહીની સરખામણીમાં રાજકીય સિસ્ટમને ઉથલાવી નાખવી વધુ મુશ્કેલ બને છે. ઈરાનમાં સત્તા ધરાવતી મુખ્ય સંસ્થાઓમાં ગાર્ડિયન કાઉન્સિલનો સમાવેશ થાય છે, જે કાયદાઓને વીટો કરી શકે છે અને ચૂંટણી માટે ઉમેદવારોની ચકાસણી કરી શકે છે.

આનાથી કોઈ પણ એક જૂથ માટે રાજ્ય સામે ગંભીર પડકાર ઊભો કરવાનું વધુ મુશ્કેલ બને છે. ઈરાનને વ્યાપકપણે એક સરમુખત્યારશાહી માનવામાં આવે છે, પરંતુ નાગરિકોને રાષ્ટ્રપતિની ચૂંટણી સહિત કેટલીક ચૂંટણીઓમાં મતદાન કરવાની પ્રતીકાત્મક તક મળે છે. આ પ્રક્રિયા કડક રીતે નિયંત્રિત રહે છે. ઉમેદવારોની ચકાસણી ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે અને લાયકાતના માપદંડોમાં ઇસ્લામિક રિપબ્લિક પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે.

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નિયમિત સેનાની સાથે કામ કરે છે અને ઘણી વાર તેને સિસ્ટમની કરોડરજ્જુ માનવામાં આવે છે. જો રાજકીય સંસ્થાઓ સિસ્ટમનું માળખું બનાવે છે, તો સુરક્ષા દળોને તેની તાકાત માનવામાં આવે છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ તેની લશ્કરી ભૂમિકા ઉપરાંત એક રાજકીય અને આર્થિક શક્તિ પણ બની ગઈ છે. તેનાં વ્યાપક વ્યાપારિક હિતો છે અને તે બાસીજ લશ્કર નામના એક સ્વયંસેવક અર્ધલશ્કરી દળ દ્વારા પોતાનો પ્રભાવ પાડે છે. નોંધપાત્ર રીતે, વારંવાર અશાંતિ છતાં સુરક્ષા દળો એક થયાં છે. આનું કારણ વૈચારિક વફાદારી છે. શહાદતની આ સંસ્કૃતિ, જે શિયા સમુદાય અને હમાસ અને હિઝબુલ્લાહ જેવાં સંગઠનોમાં દેખાય છે, તેને લગભગ કામનો એક ભાગ માનવામાં આવે છે.

ઈરાનના નાયબ સંરક્ષણ પ્રધાન રેઝા તલૈનિકે તાજેતરના એક ટી.વી. ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દરેક IRGC કમાન્ડર પાસે ત્રણ સ્તરે એક-એક અનુગામી હોય છે, જેથી જો એક કમાન્ડર માર્યો જાય તો તેનું સ્થાન લેવા ત્રણ ઉત્તરાધિકારી તૈયાર હોય છે. તેવી જ રીતે રાજકીય નેતાગીરીનું છે. જો એક ટોચનો નેતા માર્યો જાય તો તેનું સ્થાન લેવા માટે ત્રણ વારસદારો તૈયાર કરવામાં આવે છે. તેથી ખાતરી કરી શકાય છે કે રાજકીય સિસ્ટમ કાર્યરત રહેશે. જો ઈરાનની રાજકીય સિસ્ટમ ટકી રહેશે તો ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બની જશે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ રાજકીય સિસ્ટમને એક તાંતણે બાંધી રાખવાનું કામ કરે છે.

ઈરાનના અર્થતંત્રનો મોટો હિસ્સો રાજ્ય સાથે જોડાયેલાં સંગઠનો દ્વારા નિયંત્રિત છે, જેમાં બોન્યાદનો પણ સમાવેશ થાય છે. આ સંગઠન ચેરિટી ટ્રસ્ટ છે, જે સમય જતાં અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં હજારો કંપનીઓનું માલિક બન્યું છે. આ નેટવર્ક શાસન પ્રત્યે વફાદાર જૂથોને નોકરીઓ અને કરારોનું વિતરણ કરે છે. IRGCનું વ્યાપાર સામ્રાજ્ય, જેમાં ખાતમ અલ-અંબિયા સમૂહનો સમાવેશ થાય છે, તે વેપારની આ આશ્રયદાતા પ્રણાલીને વધુ મજબૂત બનાવે છે.

નિષ્ણાતો કહે છે કે પશ્ચિમી પ્રતિબંધોએ ઈરાનની વ્યાપક અર્થવ્યવસ્થાને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ બોન્યાદ નેટવર્ક મુખ્ય ઉચ્ચ વર્ગનું રક્ષણ કરે છે અને શાસનના અસ્તિત્વમાં તેમનાં હિતોનું રક્ષણ કરે છે. આ સિસ્ટમ એટલી મજબૂત છે કે તેમાં લગભગ કોઈ પક્ષપલટો જોવા મળતો નથી. ઈરાનનાં સંરક્ષણનું તંત્ર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના હાથમાં છે, રાજકીય તંત્ર રાષ્ટ્રપતિના હાથમાં છે, તેમ આર્થિક તંત્ર બોન્યાદ નામના ચેરિટી ટ્રસ્ટના હાથમાં છે. આ ત્રણેય તંત્રોને વિકેન્દ્રિત રાખવામાં આવ્યાં છે. ઈરાનના ૩૯ પ્રાંતોમાં તેનું વિભાજન કરવામાં આવ્યું છે. દરેક પ્રાંતનું તંત્ર સ્વાયત્ત છે. આ કારણે તેના પર હુમલો કરવાનું કામ કઠણ પુરવાર થાય છે.

ઈરાનની સત્તાનું ચોથું પણ સૌથી મહત્ત્વનું કેન્દ્રબિંદુ ધાર્મિક વિચારધારા અને ધર્મગુરુઓ છે. ઈરાનના શાસનનો પાયો જ ધર્મ છે. ધર્મ પણ સત્તા જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ પછી ધાર્મિક, રાજકીય અને શૈક્ષણિક સંસ્થાઓનું એક મજબૂત નેટવર્ક રચાયું છે, જે હજુ પણ સરકારની વિચારસરણીને પ્રભાવિત કરે છે. તે ખૂબ જ જૂનું અને ખૂબ જ શક્તિશાળી વૈચારિક, અમલદારશાહી અને વહીવટી માળખું છે, જે સિસ્ટમને મજબૂત બનાવે છે. આ ધાર્મિક વિચારધારા ઈરાનની એકતાનો વાસ્તવિક પાયો બને છે.

ઐતિહાસિક રીતે ઈરાનનો વિરોધ પક્ષ વિભાજિત રહ્યો છે. તેમાં સુધારાવાદી, રાજાશાહી તરફી, ડાબેરી જૂથો, રાષ્ટ્રીય પ્રતિકાર પરિષદ જેવી વિદેશી ચળવળો અને અનેક આદિવાસી સંગઠનોનો સમાવેશ થાય છે. ઇસ્લામિક ક્રાંતિ પછી રાજકીય પક્ષો બનાવવાની ચર્ચા બાજુ પર રાખવામાં આવી હતી. ઈરાનમાં મધ્યવાદી જૂથોને કટ્ટરપંથી જૂથો દ્વારા હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં છે, બદનામ કરવામાં આવ્યાં છે અથવા કેદ કરવામાં આવ્યાં છે. તાજેતરનાં વર્ષોમાં ઈરાનની રાજકીય સિસ્ટમ સામે ઘણાં મોટાં વિરોધ પ્રદર્શનો થયાં છે, જેમ કે ૨૦૦૯ની ગ્રીન મૂવમેન્ટ અને ૨૦૨૨માં મહસા અમીનીના મૃત્યુ પછી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો. આ વિરોધ પ્રદર્શનોમાં કેન્દ્રીય નેતૃત્વનો અભાવ હતો અને તેમને રાજ્યના ગંભીર દમનનો સામનો કરવો પડ્યો હતો.  વર્તમાન શાસન તમામ વિરોધને કડક હાથે ડામી દેવામાં સફળ થયું જણાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top