ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં તેઓ યજમાન ટીમ સામે ત્રણ ODI અને પાંચ T20 મેચ રમશે. ODI શ્રેણીની પહેલી મેચ રવિવાર તા. 19 ઓક્ટોબરના રોજ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં શુભમન ગિલ ODI ક્રિકેટમાં કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે. શુભમન ગિલની ODI ટીમના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની જગ્યાએ પસંદગી કરાઈ છે.
શુભમન ગિલ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે પ્રથમ વનડે પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ગિલે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમને રોહિત શર્મા કે વિરાટ કોહલી સાથે કોઈ મતભેદ નથી. તેમણે ઉમેર્યું હતું કે બહાર ચાલતી ચર્ચાઓ છતાં ટીમમાં બધું પોઝિટિવ રહે છે.
શુભમન ગિલે કહ્યું, બહાર ગમે તે ચાલી રહ્યું હોય અમારી વચ્ચે કંઈ બદલાયું નથી. બધું એ જ છે. રોહિત ભાઈ ખૂબ મદદરૂપ છે, પોતાના અનુભવો શેર કરે છે. જો તેઓ કેપ્ટન હોત તો આ વિકેટ પર શું કરત તે અંગે હું તેમની પાસેથી સૂચનો માંગું છું. મને અન્ય ખેલાડીઓના મંતવ્યો સાંભળવા ગમે છે.”
રોહિત અને વિરાટ મારા આદર્શ છે
શુભમન ગિલ શુભમન ગિલે કહ્યું કે બાળપણથી જ તે વિરાટ કોહલી અને રોહિત શર્માને પોતાના આદર્શ માનતો આવ્યો છે. શુભમન કહે છે, “જ્યારે હું નાનો હતો, ત્યારે વિરાટ ભાઈ અને રોહિત ભાઈ મારા આદર્શ હતા. તેમણે જે પ્રકારની રમત અને ભૂખ બતાવી તેનાથી મને ખૂબ પ્રેરણા મળી. આવા મહાન ખેલાડીઓની કેપ્ટનશીપ કરવી અને તેમની પાસેથી શીખવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.”
રોકો વ્હાઈટ બોલ ક્રિકેટના બેસ્ટ પ્લેયરઃ ગિલ
શુભમન ગિલે એમ પણ કહ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશ્વના શ્રેષ્ઠ વ્હાઇટ-બોલ ક્રિકેટર છે અને તેમનો અનુભવ ટીમ માટે અમૂલ્ય છે. શુભમનએ કહ્યું, “વિરાટ અને રોહિત બંનેનો અનુભવ અને કૌશલ્ય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારા બંને સાથે ખૂબ સારા સંબંધો છે. હું ઘણીવાર તેમની સલાહ લઉં છું. તેઓ હંમેશા પોતાના વિચારો ખુલ્લેઆમ શેર કરે છે. મને ખાતરી છે કે આ શ્રેણીમાં ઘણી તકો હશે જ્યાં હું તેમની પાસેથી શીખી શકું છું. જો હું મારી જાતને મુશ્કેલ પરિસ્થિતિમાં જોઉં છું, તો હું તેમની સલાહ લેવામાં અચકાવું નહીં.”
કેપ્ટનશીપ અંગે ગિલે શું કહ્યું?
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં બે મેચની ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝનો વ્હાઇટવોશ કર્યો હતો. શુભમનનો કેપ્ટન તરીકે આ પહેલો શ્રેણી વિજય હતો. શુભમને કહ્યું કે અત્યાર સુધી તેણે મેળવેલો અનુભવ ભવિષ્યમાં તેને મદદ કરશે.
શુભમને કહ્યું, તે ખૂબ જ રોમાંચક છે. એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોના વારસાને આગળ ધપાવવો મારા માટે ગર્વની વાત છે. મેં અત્યાર સુધી તેમની પાસેથી ઘણું શીખ્યું છે. અમે ઘણી વખત ચર્ચા કરી છે કે ટીમને કેવી રીતે આગળ લઈ જવું અને કેવા પ્રકારનું વાતાવરણ બનાવવું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે જણાવ્યું હતું કે પર્થનું ઓપ્ટસ સ્ટેડિયમ પહેલી વનડે માટે ભરેલું રહેવાની અપેક્ષા છે.
અહેવાલો દર્શાવે છે કે આવતીકાલે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો હશે. ભરેલા સ્ટેડિયમની સામે ભારત સામે રમવું અમારા ખેલાડીઓ માટે એક શાનદાર અનુભવ હશે,” માર્શે કહ્યું.