એક કાકી નામ ઉષાબહેન. સ્વભાવ ગુસ્સાવળો અને વાતવાતમાં કોઈની પણ સાથે ઝઘડો કરી બેસે એવો અને ગુસ્સો આવે એટલે કોઈનાં નહીં. ન સામે કોણ છે તેનું ભાન રહે… ન તેઓ શું બોલે છે તેનો ખ્યાલ રહે, ન તેઓ કયાં છે તે પણ વિચારે… તેમનાં આવા સ્વભાવને કારણે લગભગ બધા તેમનાંથી દૂર ભાગે… ઘરમાં, સોસાયટીમાં, કુટુંબમાં બધા તેમની સાથે બહુ વાત ન કરે.
એક દિવસ ઉષાબહેનની મોટીબહેન તેમના ઘરે આવ્યા, કોઈ જૂની વાત પર ઉષાબહેન ઊકળી પડ્યા અને ઝઘડો કરવા લાગ્યા. મોટીબહેન ગુસ્સે થયા નહીં થોડીવાર સુધી તેમણે ઉષાબહેનને બોલવા દીધા પછી એક જ વાક્ય બોલ્યા, ‘ઉષા, તારા આવા સ્વભાવ અને આવી બોલવાની રીતને લીધે જ કોઈ તારી સાથે સબંધ રાખતું નથી.’ આ વાત સાંભળી ઉષાબહેન વધુ ગુસ્સે થયા અને જોર જોરથી રડવા લાગ્યા, ‘હું જ ખરાબ છું… બધાને મારું જ બોલવાનું ખટકે છે… સાચું કહું છું… એટલે સાંભળવું કોઈને ગમતું નથી.’
મોટીબહેન જરાય ઉશ્કેરાયા વિના બે કપ કોફી બનાવીને આવ્યા અને ઉષાબહેનના ઘરના ટેરેસ ગાર્ડનમાં કોફી ટેબલ પર બે કપ કોફી મૂકી અને ઉષાબહેનને ત્યાં લઈને આવ્યા અને બોલ્યા, ‘ઉષા, શાંત થઇ જા… કોફી પી… અને મારી વાત શાંતિથી સાંભળ, જો તને બાગકામનો શોખ છે. ઘરની ટેરેસ પર તે કેટલા સરસ ફૂલ છોડ ઉગાડ્યા છે. જમીન સારી હોય, ફળદ્રુપ હોય, તેમાં ખાતર પણ સારું જ નાખીએ પણ જો પાણી ખરું હોય તો શું થાય?’
ઉષાબહેન બોલ્યા, ‘પાણી ખારું હોય તો છોડ બરાબર વિકસે નહીં અને તેની પર ફૂલ ખીલે નહીં.’ મોટીબહેને વાતનો દોર સાંધતા કહ્યું, ‘બરાબર વાત છે તારી અને જેમ ફૂલછોડની સાચી રીતે અને સારી રીતે માવજત કરીએ તો જ તે વિકસે અને ખીલે એવું જ સબંધોનું છે. તારો ભાવ સારો હોય.. વાત સાચી હોય… તારો આશ્ય અને કર્મ પણ સારા જ હોય પણ તારું વર્તન ખરાબ અને વાણી કડવી હોય તો સબંધ તૂટી જાય… ટકે નહીં… વિચાર તારા સારા જ છે તો વર્તન ખરાબ શું કામ કરે છે?
કોઈ તારી જોડે જરાક ખરાબ રીતે બોલે કે ન બોલે તો પણ તું કાગ નો વાઘ કરી કેટલું મોટું સ્વરૂપ આપી ખરાબ વર્તન કરે છે.. ન બોલવાનું બોલે છે એટલે તારા સબંધ કોઈ સાથે ટકતા નથી. તું વિચાર કરી જો તું નાની વાત પર ગુસ્સે થઈને જેટલું ખરાબ વર્તન કરે છે એવું કોઈ તારી સાથે કરે તો! જો તારી વાણી મધુર અને વર્તન હશે તો જ તારા સબંધ બધા સાથે મહેકશે એટલું યાદ રાખજે.’ મોટીબહેને નાનીબહેનને તેની ભૂલ સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.