World

પહેલગામ હુમલા મામલે યુએનના રિપોર્ટથી પાકિસ્તાનનો ફરી એકવાર દુનિયા સમક્ષ પર્દાફાશ થયો

ગઈ તા. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. હવે આ મામલે સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલમાં ફરી એકવાર પાકિસ્તાનનો પર્દાફાશ થયો છે.

યુએન સુરક્ષા પરિષદની પ્રતિબંધ દેખરેખ ટીમે જણાવ્યું હતું કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલગામ હુમલાની બે વાર જવાબદારી સ્વીકારી હતી અને હુમલા સ્થળની તસવીરો પણ જાહેર કરી હતી. આ ટીમે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ હુમલો પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સમર્થન વિના થઈ શક્યો ન હોત.

યુએનએસસીમાં ISIL (દાએશ) અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનોનું નિરીક્ષણ કરતી ટીમે 36મો રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 22 એપ્રિલે પાંચ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક પર્યટન સ્થળ પર હુમલો કર્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે જ દિવસે TRF એ આ હુમલાની જવાબદારી લીધી હતી અને હુમલાના સ્થળની તસવીર પણ જાહેર કરી હતી. TRF એ બીજા દિવસે આ હુમલાની જવાબદારી પણ લીધી હતી.

જોકે, 26 એપ્રિલે TRF પોતાના દાવાથી પાછળ હટી ગયું.ત્યારથી TRF એ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી કે અન્ય કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લશ્કરની મદદ વગર આ હુમલો થઈ શક્યો ન હોત. લશ્કર અને ટીઆરએફ વચ્ચે જોડાણ છે. આ હુમલો ટીઆરએફ દ્વારા કરવામાં આવ્યો હતો, જે લશ્કરનો પર્યાય છે.

તમને જણાવી દઈએ કે આ મહિને અમેરિકાએ TRF ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. આ વર્ષે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.

Most Popular

To Top