વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજ આણંદ અને વડોદરાને જોડે છે, જે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીના ટ્રાફિક માટે મહત્વનો હતો.આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે, જ્યારે બ્રિજ પરથી બે ટ્રક, બે કાર, એક રિક્ષા, અને એક પિકઅપ વાન મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં.એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે તેમજ નદીમાં ગરકાવ વાહનોને બહાર કાઢવાની કામગીરી આજ સવારથી કરવામાં આવી રહી છે. વાહનો બહાર નીકળવા માટે નદીના કાંઠે રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

દુર્ઘટનાની તપાસ માટે છ સભ્યોની કમિટી રચવામાં આવી છે જે સ્થળ પર ઉપસ્થિત રહી જરૂરી તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, અને બચાવ ટીમો ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. એક ટ્રક બ્રિજની ધાર પર અટકી ગઈ હતી, જેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા સહિતના અધિકારીઓ/પદાધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત છે.