SURAT

આ ટ્રેનમાં બેસવા માટે સુરત રેલવે સ્ટેશન પર 24 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે!

સુરત(Surat): કોસ્મોપોલિટીન સિટી સુરત શહેરમાં રોજગાર અર્થે મોટી સંખ્યામાં યુપી-બિહારના (UP Bihar) લોકો વસવાટ કરે છે. દર વર્ષે દિવાળી અને હોળી પર આ લોકો પોતાના વતન જતા હોય છે. તેથી દિવાળી (Diwali) અને હોળીમાં (Holi) સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર ભારે ભીડ જામતી હોય છે.

ગયા વર્ષે દિવાળીમાં ભીડના લીધે દોડધામ થતાં 1 મુસાફરે (Passanger) જીવ ગુમાવ્યો હતો, ત્યાર બાદથી સુરત રેલવે તંત્ર સતર્ક થઈ ગયું છે. આ વખતે હોળી પહેલાં પણ સુરત રેલવે સ્ટેશન પર ખૂબ ભીડ જામી છે. 24 કલાક સુધી ટ્રેનમાં બેસવાનો વારો આવતો નથી, તેના લીધે લોકો હેરાન થઈ રહ્યાં છે. જોકે, કોઈ અનહોનિ નહીં બને તે માટે સુરત રેલવે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ દ્વારા લાઈનમાં ઉભા રાખી મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

હોળીના તહેવાર આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે યુપી-બિહારના લોકો પોતાના વતન જવા માટે ઉતાવળા બન્યા છે, તેના પગલે સુરતથી યુપી-બિહાર જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં (TaptiGangaExpressTrain) બુકિંગ ફુલ થઈ ગયા છે. લોકો જનરલ ડબ્બામાં બેસી પણ વતન જવા તૈયાર છે, તેના લીધે સુરત રેલવે સ્ટેશન પર ગઈકાલે શુક્રવારથી ભારે ભીડ જામી છે. લોકો ટ્રેનના સમયથી 24 કલાક પહેલાં જ રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે. ટ્રેનમાં બેસવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા છે.

સુરતમાં મજૂરી કામ કરતો કુંદનસિંહ વતન ભાગલપુર જવા માટે 24 કલાક પહેલાં સુરત રેલવે સ્ટેશને પહોંચી ગયો હતો. કુંદનસિંહે કહ્યું કે, 24 કલાકથી લાઈનમાં ઉભા છે. તેમ છતાં સીટ મળતી નથી.

હોળી માટે 571 હોળી સહિત 1098 સ્પેશ્યિલ ટ્રેન દોડાવાઈ
દિવાળી જેવી ઘટના ન બને અને મુસાફરોને યોગ્ય સીટ મળી જાય તે માટે હોળી અને ધૂળેટીના તહેવાર માટે સ્પેશ્યિલ 571 ટ્રેનો વિવિધ રૂટ પર દોડાવવામાં આવી છે. જેથી પેસેન્જરોને વધારાની 30 લાખ સીટનો ફાયદો મળે. તેમ છતાં વિવિધ રેલવે સ્ટેશન પર ભીડ થઈ રહી છે. કોઈ દુર્ઘટના ન બને તે માટે રેલવે તંત્ર દ્વારા યાત્રીઓની સુવિધા મામલે મોનિટરિંગ કરાઈ રહ્યું છે.

Most Popular

To Top