SURAT

VIDEO: લાજપોર જેલમાં કેદ ભાઈને રાખડી બાંધતી વેળા બહેનની આંખ ભીંની થઈ

સુરત(Surat): આજે રક્ષાબંધનના (RakshaBandhan) પવિત્ર તહેવાર નિમિત્તે લાજપોર જેલમાં (Lajpor Jail) કેદ 3000 કેદીઓને (Prisoners) તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા વિશિષ્ટ આયોજન કરાયું હતું. જેલના સળિયા પાછળ કેદ ભાઈને રૂબરૂ રાખડી બાંધતી વખતે બહેનોની આંખો ભીની થઈ ગઈ હતી. જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. બદલામાં ભાઈઓ બહેન પર હેત વરસાવતા હોય છે. આજે દેશભરમાં અનેક ભાઈ બહેનો આ તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. પરંતુ જેલમાં કેદ ભાઈઓને આ નસીબ હોતું નથી. પરંતુ આજે લાજપોર જેલ પ્રશાસનના માનવતાવાદી વલણના લીધે કેદી ભાઈઓને રૂબરૂ મળી તેમની બહેનો રાખડી બાંધી શકી હતી.

ડીવાયએસપી ડી.પી. ભટ્ટે કહ્યું કે લાજપોર જેલમાં કેદ બંદીવાન ભાઈઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે વિશિષ્ટ આયોજન કરાયું હતું. બંદીવાન કેદીઓને અગાઉથી જ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાશે તેવી સૂચના અપાઈ હતી. તેમની બહેનો જેલમાં આવી રાખડી બાંધશે તે માહિતી આપી હતી. દરેક બહેન રૂબરૂમાં પોતાના ભાઈને રાખડી બાંધી શકે તેવું આયોજન કરાયું હતું. રક્ષાબંધન પર્વ નિમિત્તે 300 કેદીઓએ પોતાની બહેનો પાસે રાખડી બંધાવી હતી. ત્યારે જેલની અંદર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

વરસો પહેલાં રક્ષાબંધનના દિવસે સુરતમાં બનેલી હોડી ડૂબી જવાની દુર્ઘટનાને કારણે સુરતીઓ વાસી રક્ષાબંધન મનાવશે
સુરત: આ વખતે પણ રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો છે. મોટા ભાગના લોકોમાં એવો પ્રશ્ન છે કે, રક્ષાબંધનનો તહેવાર 30મી ઓગસ્ટે ઉજવાશે કે 31મી ઓગસ્ટે? કારણ કે, આ બંને દિવસે પૂર્ણિમા તિથિ છે. જ્યોતિષીઓનું માનવું છે કે, ભદ્રકાળ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 9:01 વાગ્યા પછી જ રાખડી બાંધો.

કેટલાક જ્યોતિષીઓનું એવું પણ માનવું છે કે, 31 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમા તિથિ સવારે 7:05 વાગ્યે સમાપ્ત થશે. આથી આ દિવસે સૂર્યોદયથી સવારે 7:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે. જો કે, સુરતવાસીઓ વરસોથી શરૂ થયેલી પરંપરા મુજબ વાસી રક્ષાબંધનની ઉજવણી કરશે. વરસો પહેલાં સુરતની તાપી નદીમાં રક્ષાબંધનના દિવસે હોડી ડૂબી જતાં ઘણા લોકોનાં મોત થયાં હતાં. જેના શોકમાં હજુ પણ સુરતીલાલાઓ રક્ષાબંધનના બીજા દિવસે રાખડી બાંધી ઉજવણી કરે છે.

પૂર્ણિમા તિથિ ક્યારે છે અને ભદ્રાની છાયા ક્યાં સુધી રહેશે?
30 ઓગસ્ટના રોજ સવારે 10:58થી પૂર્ણિમા તિથિ શરૂ થશે. આ વખતે ભદ્રા પણ શરૂ થશે. તેનો પડછાયો રાત્રે 9:01 વાગ્યા સુધી રહેશે. ગુરુવારે સવારે 7.05 વાગ્યા સુધી પૂર્ણિમાની તિથિ રહેશે. આવામાં 30 તારીખે કે પછી 31 તારીખે રાખડી બાંધવી ક્યારે યોગ્ય છે? આ વિષયને લઈ જ્યોતિષના મતે રક્ષાબંધનનો તહેવાર બંને દિવસે ઉજવી શકાય છે. પરંતુ ભદ્રકાળ સિવાય 30મીએ રાત્રે 9:01 વાગ્યા પછી રાખડી બાંધી શકાશે. પૂર્ણિમા તિથિ 30મીએ સવારે 10:58થી 31મીએ સવારે 7:05 સુધી રહેશે.

Most Popular

To Top