Comments

સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહેલા BJP માટે કર્ણાટકની ચૂંટણીમાં હુકમનો એક્કો સાબિત થયેલું બજરંગ દળ શું છે? કેમ તેની સ્થાપના કરવામાં આવી હતી?

જુ તો 2019થી સત્તામાં આવેલા BJPને કર્ણાટકમાં બેરોજગારી, મોંઘવારી અને ગરીબીએ સત્તાવિરોધી લહેરને કારણે મુશ્કેલીમાં મૂકી દીધો હતો. એવું લાગતું હતું કે આજે કર્ણાટકમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં BJPને ભારે પડશે પણ દર વખતની જેમ છેલ્લી ઘડીએ કોંગ્રેસે એક એવો વિવાદ છેડી દીધો જેને કારણે BJPને બેઠાં-બેઠાં હાથમાં લાડવો મળી ગયો હતો. કોંગ્રેસે વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની યુવા પાંખ બજરંગ દળની તુલના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI) સાથે કરતાં BJPના નેતાઓ રીતસર આ મુદ્દે તૂટી પડ્યા હતા. એવો માહોલ અચાનક ઊભો થઈ ગયો જાણે બજરંગબલી BJPની મદદે આવી ગયા હોય!

BJPના નેતાઓ PFIને એક ઉગ્રવાદી સંગઠન ગણાવે છે, જેના પર કેન્દ્ર સરકાર દ્વારા પહેલાંથી જ આખા દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોંગ્રેસે બજરંગ દળને પોતાના મેનીફેસ્ટોમાં PFIની સાથે ગણાવી BJPને સંવેદનશીલ મુદ્દો આપી દીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં દરરોજ 3થી 4 રેલીઓ કરી હતી. આ રેલીઓમાં તેઓએ પોતાની પાર્ટીના વિકાસની વાત કરવાના બદલે હનુમાન અને બજરંગ દળ પર ફોકસ કર્યું હતું. બજરંગ દળના મુદ્દાને BJPએ જે રીતે ચૂંટણી મેદાનમાં ખેંચીને મૂકી દીધો હતો એ જોતાં લાગી રહ્યું છે કે આ મુદ્દો કોંગ્રેસને ચૂંટણીમાં નુકસાન કરશે.

જે દળને લઈને એટલી મોટી રાજકીય રામાયણ શરૂ થઈ છે એ બજરંગ દળ ખરેખર શું છે? BJP સહિત હિંદુત્વની વિચારધારા સાથે સંકળાયેલા સંગઠનોના વિરોધ અને કોંગ્રેસ તરફથી આવી રહેલા નિવેદનો વચ્ચે સામાન્ય લોકોમાં તે તમામ મામલા ખ્રિસ્તી મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને તેના બે સંતાનોને સળગાવવાથી લઈને ગૌરક્ષાના નામે અનેક લોકોની હત્યા અને ગયા મહિને બિહાર શરીફમાં થયેલા રમખાણો વિશે ચર્ચા ફરી શરૂ થઈ છે, જેમાં બજરંગ દળ સાથે જોડાયેલા લોકોના કથિત સંડોવણીના આરોપો લાગ્યા હતા.

જો કે, ગ્રેહામ સ્ટેન્સ અને તેના પુત્રોની હત્યાના કેસમાં D.P.વાધવા કમિશને તેના અહેવાલમાં બજરંગ દળ સંગઠનની સીધી સંડોવણીને નકારી કાઢી હતી.  પહેલા એ જાણીએ કે આ બજરંગ દળ છે શું? અને તેની સ્થાપના કઈ પરિસ્થિતિઓ વચ્ચે થઈ હતી? બજરંગ દળની સત્તાવાર વેબસાઈટ અનુસાર, સંગઠનની સ્થાપના 8 ઓક્ટોબર, 1984ના રોજ અયોધ્યામાં કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની તત્કાલીન સરકારે તે સમયે શ્રીરામ જાનકી રથયાત્રાને સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યાર બાદ સંતોના આહવાન પર વિશ્વ હિંદુ પરિષદે ત્યાં હાજર યુવાનોને યાત્રાની સુરક્ષાની જવાબદારી સોંપી હતી.

બીજી તરફ રાજકીય પંડિતો કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 1980ના દાયકામાં ફરી હિંદુત્વ વિચારધારાના વિસ્તરણને વેગ આપ્યો હતો. અલબત્ત, તેમના માટે 1964માં રચાયેલું VHP એક રીતે 80ના દાયકામાં બજરંગ દળને મેદાનમાં લાવીને પુનર્જીવિત થયું હતું. આ દરમિયાન રામ મંદિર આંદોલને વેગ પકડ્યો હતો અને 1984માં બજરંગ દળની સત્તાવાર સ્થાપના થઈ હતી. રામમંદિર આંદોલનમાં તેની ભૂમિકાનો સંસ્થાની વેબસાઇટ પર વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેબસાઈટ અનુસાર, બજરંગ દળની રચના ઉત્તર પ્રદેશના યુવાનોમાં જાગૃતિ લાવવા અને રામજન્મભૂમિ આંદોલનમાં તેમની ભાગીદારી વધારવા માટે કરવામાં આવી હતી. આ સાથે રામશિલા પૂજન, કારસેવા, શિલાન્યાસ વગેરેમાં તેમની ભાગીદારીનો ઉલ્લેખ છે.

પૂર્વ RSS પ્રચારક વિનય કટિયાર બજરંગ દળના પ્રથમ રાષ્ટ્રીય સંયોજક તરીકે ચૂંટાયા હતા. એ વખતે એવું કહેવાયું હતું કે શરૂઆતમાં અયોધ્યા આંદોલનને ધ્યાનમાં રાખીને જ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી અને સંગઠનની સ્થાપનાને લઈને અલ્હાબાદ (હાલ પ્રયાગરાજ)માં VHPની બેઠક યોજાઈ હતી. તે બેઠકમાં તત્કાલીન VHP વડા અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, ઠાકુર ગુંજન સિંહ, મહેશ નારાયણ સિંહ અને RSS અને VHPના જિલ્લા સ્તરીય અધિકારીઓએ હાજરી આપી હતી.

શરૂઆતમાં અયોધ્યા ચળવળ સુધી મર્યાદિત, બજરંગ દળનું અખિલ ભારતીય સંગઠનાત્મક સ્વરૂપ વર્ષ 1993માં નક્કી કરવામાં આવ્યું હતું, જે પછી તે વિસ્તર્યું અને 1994 સુધીમાં તે દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટક સુધી પહોંચી ગયું હતું. એવું પણ કહેવાય છે કે – અશોક સિંઘલે પોતે પ્રમોદ મુથાલિકને બોલાવીને રાજ્યમાં બજરંગ દળનું એક યુનિટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું અને તેમને કર્ણાટકના સંયોજક બનાવ્યા હતા.

BJPએ 1989માં પાલનપુરમાં રામ મંદિરના નિર્માણને મુખ્ય મુદ્દો બનાવીને ઠરાવ પસાર કર્યો હતો. ISS એક મોટા પરિવાર જેવું છે અને જે રીતે પરિવારમાં અલગ-અલગ લોકો પર જવાબદારીઓ હોય છે, તેવી જ રીતે સંસ્થાઓને અલગ-અલગ કાર્યો આપવામાં આવે છે. વર્ષ 1990માં જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની 10,000 km લાંબી રથયાત્રા કાઢી ત્યારે તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર બે વ્યક્તિ હતી એક – નરેન્દ્ર મોદી અને બીજા પ્રવીણ તોગડિયા.  બજરંગ દળ, VHP અને BJP વચ્ચે એક પ્રકારની પ્રવાહિતા છે.

વિનય કટિયાર ઘણી વખત અયોધ્યાથી BJPના સાંસદ રહી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના વર્તમાન નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ VHP-બજરંગ દળ સાથે સંકળાયેલા છે. બીજી તરફ બજરંગ દળનું કહેવું છે કે તેમનું સંગઠન કોઈની વિરુદ્ધ નથી પરંતુ હિંદુઓને પડકારનારા અસામાજિક તત્ત્વોથી બચાવવા માટે છે. રામમંદિર ચળવળની સફળતા વચ્ચે, બજરંગ દળે સાંસ્કૃતિક સતર્કતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમ કે M.F.હુસૈનના પેન્ટિંગ પરનો હોબાળો જેના કારણે તેમને દેશ છોડવાની ફરજ પડી, પબ પર હુમલા, વેલેન્ટાઈન ડેનો વિરોધ વગેરે.

જેના કારણે તેમની બદનામી પણ થઈ હતી પરંતુ કેટલાંક વર્તુળોમાં તેમને સમર્થન પણ મળ્યું હતું. કર્ણાટકમાં છેલ્લે ચગેલા હિજાબના મામલામાં પણ બજરંગ દળનું નામ સામે આવ્યું હતું. હવે એ સમજીએ કે, કોંગ્રેસે કઈ રીતે BJPને બજરંગ દળનો મુદ્દો ધરી દીધો હતો? કર્ણાટકની ગરમાગરમ ચૂંટણીની મોસમમાં BJP માટે ‘કરો યા મરો’નો માહોલ હતો. BJP કોંગ્રેસ પાર્ટીને ઘેરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી હતી. એવામાં કોંગ્રેસે સરકારમાં આવશે તો, પોતાના ચૂંટણી ઢંઢેરામાં ‘બજરંગ દળ’ પર પ્રતિબંધ મૂકવાનું આડકતરું વચન આપ્યું છે.

બજરંગ દળ પર પ્રતિબંધના મુદ્દાને BJPએ જોરશોરથી ઊઠાવ્યો હતો. કોંગ્રેસ પર રીતસર શબ્દોના હુમલાઓ શરૂ કરી દીધા હતા. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ હુમલાનું નેતૃત્વ કર્યું હતું. બજરંગ દળના મુદ્દાને કારણે 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારે જોર પકડ્યું હતું. કોંગ્રેસે વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની યુવા પાંખ બજરંગ દળની તુલના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે કરતાં BJPના નેતાઓ રીતસર આ મુદ્દે તૂટી પડ્યા હતા. મધ્ય પ્રદેશના જબલપુરમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોંગ્રેસવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને નેતાઓના પૂતળા બાળવામાં આવ્યા હતા.

આ સિવાય તેલંગાણા, ઉત્તરાખંડ અને કેટલાક અન્ય રાજ્યોમાંથી પણ વિરોધ પ્રદર્શનના અહેવાલો હતા. કર્ણાટકમાં આપેલા ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આ કથિત પગલાને ‘બજરંગબલી બોલનારા તમામને તાળામાં બંધ કરવાનો કોંગ્રેસનો સંકલ્પ’ ગણાવ્યો હતો. BJPના નેતાઓ PFIને એક ઉગ્રવાદી સંગઠન ગણાવે છે, જેના પર કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી જ આખા દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોંગ્રેસે બજરંગ દળને PFI જેવું ગણાવતા વિવાદ વણસ્યો હતો.

કોંગ્રેસે મેનીફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધની વાત કહી ત્યાર પછીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં પોતાની દરેક રેલીમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ રેલીઓમાં તેઓએ પોતાની પાર્ટીના વિકાસની વાત કરવાને બદલે હનુમાન અને બજરંગ દળ પર ફોકસ કર્યું હતું. બજરંગ દળના વિવાદ પહેલાં વડા પ્રધાન મોદીએ 29 એપ્રિલે તેમના તોફાની પ્રચારની શરૂઆતથી જ કોંગ્રેસના નેતાઓના કેટલાક વિવાદાસ્પદ નિવેદનોને મુદ્દો બનાવ્યો હતો, જેમાં 10 દિવસમાં રાજ્યમાં 30-35 જાહેર સભાઓ યોજાઈ હતી.

પહેલા ખડગેએ પ્રધાનમંત્રીને ઝેરી સાપ કહ્યા! ત્રણ દિવસ પછી પ્રિયાંક ખડગે, જે કલબુર્ગી વિધાનસભા ક્ષેત્રમાં ચિત્તપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમણે PMને નાલાયક પુત્ર કહ્યા હતા. આ નિવેદનો પહેલાં કોંગ્રેસ રાજ્યના મૂળભૂત મુદ્દાઓ પર વાત કરી રહી હતી. અલબત્ત, એક પછી એક નિવેદનો બાદ કર્ણાટકમાં માહોલ બદલાયો હતો. એ વખતે જ એવો સવાલ થઈ રહ્યો હતો કે – શું કોંગ્રેસ આ ચૂંટણીમાં એવા જ વાતાવરણનો સામનો કરી રહી છે, જેવો PM મોદી વિશે મણિશંકર ઐયરની ‘ચાયવાલા’ ટિપ્પણી પછી સર્જાયો હતો? તમને યાદ હોય તો ઐય્યરની આ ટિપ્પણીએ BJPને એક હથિયાર આપ્યું હતું,

જેનો ઉપયોગ BJPએ મોટા પ્રચારમાં ફેરવવા માટે કર્યો હતો. ગુજરાતની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ મોદીને ‘મોતના સોદાગર’ ગણાવ્યા હતા, આ વખતે બજરંગ દળ અને બજરંગબલીમાં કોંગ્રેસ અટવાઈ ગઈ હતી! આ આશ્ચર્યજનક નિવેદનો ચૂંટણીપ્રચારના એવા સમયે આવ્યા હતા જ્યારે બેરોજગારી, મોંઘવારી અને ગરીબીએ માત્ર 2019થી રાજ્યમાં શાસન કરી રહેલા BJP વિરુદ્ધ સત્તાવિરોધી લહેરને મજબૂત બનાવી હતી.

આમ છતાં બજરંગ દળના મુદ્દાને BJPએ જે રીતે ચૂંટણીમેદાનમાં ખેંચીને મૂકી દીધો હતો, તેના લીધે સરકાર વિરોધી લહેર ફંટાઈ ગઈ હતી! એ પણ જાણી લો કે બજરંગ દળનો મુદ્દો કર્ણાટકની ચૂંટણીમાં કેવી રીતે આવ્યો?  કોંગ્રેસે તેના ચૂંટણીઢંઢેરામાં એવું કહ્યું હતું કે – કોંગ્રેસ પાર્ટી કોઈ પણ વ્યક્તિ અથવા સંગઠન કે જે જાતિ અથવા ધર્મના આધારે સમુદાયોમાં નફરત ફેલાવે છે તેની સામે નક્કર અને નિર્ણાયક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.

અમારું માનવું છે કે બંધારણ અને કાયદો સર્વોપરી છે અને કોઈ પણ વ્યક્તિ કે સંગઠન જેમ કે બજરંગ દળ, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અથવા અન્ય લોકો બહુમતી અથવા લઘુમતી વચ્ચે દુશ્મનાવટ અથવા દ્વેષ ફેલાવવા માટે તેનું ઉલ્લંઘન કરી શકે નહીં. અમે આવા કેસોમાં કાયદા મુજબ કડક પગલાં લઈશું, જેમાં પ્રતિબંધોનો અમલ કરવાનો સમાવેશ થાય છે. આ મુદ્દે બજરંગ દળના હોદેદારો એવું માને છે કે – કોંગ્રેસનું આ પગલું તુષ્ટીકરણથી આગળ વધવા અને મુસ્લિમોને ઉશ્કેરવા માટે છે.

સામે કોંગ્રેસના પાર્ટી પ્રવક્તા BJP-VHP-બજરંગ દળ વિશેના આરોપો બાબતે કહે છે કે – આ સંગઠનોને પૂછવું જોઈએ કે ‘‘શું તેઓ જાતિ કે સાંપ્રદાયિક રમખાણોની તરફેણમાં છે કે તેને રોકવા માંગે છે? વડા પ્રધાને બજરંગબલીને બજરંગ દળ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.  અમારા સંકલ્પ પત્રમાં અમે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડનારા અને શાંતિને ખલેલ પહોંચાડનારાઓ સામે કડક પગલાં લેવા પ્રતિબદ્ધ છીએ, એવું કહ્યું હતું.’’ જે હોય તે પણ દર વખતે આવા મુદ્દાઓમાં ફસાઈને કોંગ્રેસ BJPને સામેથી લાડવો આપી દે છે અને આ જ પરંપરા રહી છે.

Most Popular

To Top