Dakshin Gujarat

વાપી રેલવે ઓવરબ્રિજ બુધવારે રાતથી વાહન વ્યવહાર માટે બંધ

વાપી: (Vapi) વાપી શહેરની વચ્ચે રેલવે ઓવરબ્રિજને (Railway Over Bridge) તોડીને નવો બ્રિજ બનાવવા માટે તમામ પ્રક્રિયા પુરી કરી હવે આગામી ૨૧ ડીસેમ્બરની રાત્રે બાર વાગ્યાથી હાલનો રેલવે ઓવરબ્રિજ વાહનોની અવરજવર માટે બંધ કરી તેને તોડવાની કામગીરી શરૂ કરાશે. આમ લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજને નવો બનાવવા માટે તંત્રએ શરૂ કરેલી પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં છે. આગામી ૨૧ ડીસેમ્બરે રાત્રે બાર વાગ્યાથી ૨૦ જૂન ૨૦૨૪ના રાત્રીના બાર કલાક સુધી આ બ્રિજનો વાહન વહેવાર બંધ (Closed) કરી તેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

વાપી શહેરમાં આવેલા હયાત રેલવે ઓવરબ્રિજને તોડવાનો હોવાથી હયાત બ્રિજ પરના ટ્રાફિકને ડાયવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)ની પેટા કલમ -1(બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણેઆ બ્રિજને સદંતર બંધ કરવાનો હોવાથી આ બ્રિજના ટ્રાફિકના મોટા વાહનો બલીઠા ફાટક ઉપરથી અવર જવર કરી શકશે. નાના વાહનો અન્ડર પાસ તથા રેલવે દ્વારા બનાવવામાં આવેલા નવા ફાટક, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ ઉપરથી અવર જવર કરી શકશે. ૨૧ ડીસેમ્બરે રાત્રે ૧૨ વાગ્યાથી રેલવે ઓવરબ્રિજને બંધ કરી દેવાશે.

અત્રે નોંધનીય છે કે, બ્રિજને બંધ કરવા પહેલા ડાયવર્ઝન સંબંધે ઘણી વિસંગતતા હોવાનું ધ્યાનમાં આવતા આ બાબતે સામાન્ય જનતાને તથા અન્ય પરિવહનમાં કોઈ હાલાકી ન પડે અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે લોકો પાસેથી વાંધા તેમજ સૂચનો મંગાવવામાં આવ્યા હતા. લોકોના વાંધા તેમજ સૂચનોને ધ્યાને લઈ યોગ્ય ડાઈવર્ઝન આપી શકાય તે માટે સબ ડિવિઝનલ પારડીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વાપી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ, ચીફ ઓફિસર વલસાડ- વાપી તેમજ રેલવે અને સંબંધિત વિભાગના અધિકારીઓની ટીમ બનાવી સૂચિત ડાયવર્ઝન સંબંધે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ ટીમના સૂચનો મુજબ વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ મળેલી સત્તાની રૂએ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ વલસાડની તા. 30-04-22ની દરખાસ્ત તથા સ્થળ મુલાકાત લેનાર ટીમના સૂચનો પ્રમાણે ડાયવર્જન આપી વાપીના હયાત રેલવે બ્રિજ પરથી આવતા જતા તમામ પ્રકારના વાહનોને આગામી તા.21-12-2022 ના મધ્યરાત્રીના 00:00 કલાકથી તા.20-06-2024 સુધી રાત્રિના 12:00 કલાક સુધી (બન્ને દિવસો સહિત) ના સમયગાળા સુધી બંધ કરવા માટે આદેશ આપ્યો છે.

વાહનોની અવરજવર ક્યાંથી થશે

  • તમામ પ્રકારના વાહનો એલ.સી.નં.81 બલીઠા ફાટક ઉપરથી આવન-જાવન કરી શકશે. પરંતુ સવારના 10:૦૦ થી 12:00 તથા સાંજે 5:00 થી 8:00 વાગ્યા દરમિયાન સ્કુલ બસ તથા એસ.ટી.બસ સિવાયના તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે.
  • વાપી પૂર્વ-પશ્ચિમ જવા તથા આવવા માટે નાના વાહનો (3.5 મીટરની ઉંચાઈ સુધીના) રેલ્વે અન્ડર પાસ તથા રેલ્વે દ્વારા બનાવવામાં આવેલ નવા ફાટક એલ.સી.-80, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ ઉપરથી આવન-જાવન કરી શકશે. તથા રેલ્વે અન્ડર પાસ (જુનું ગરનાળુ)માંથી માત્ર ટુ-વ્હીલર વાહનો આવન-જાવન કરી શકશે.
  • ને.હા.નં.48 ઉપર મુંબઈ–દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોહનગામ ફાટક (એલ.સી.-77) તથા નાહુલી અન્ડર પાસ (એલ.સી.નં- 78) આવન—જાવન કરી શકશે.
  • ને.હા.નં.48 ઉપર વલસાડ સુરત દમણ જવા તવા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોતીવાડા ઓવરબ્રિજ (એલ.સી.નં. 88) થી આવન-જાવન કરી શકશે.

Most Popular

To Top