Gujarat

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર – ૨૦૨૦ જાહેર કરાયા

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર – ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. રાજય સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરાની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી થઈ છે.વડોદરા જિલ્લાને ૨૦૧૯ માં રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ ગોલ્ડ કેટેગરી માં અને મેરીટ સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે.


જળ એજ જીવન મિશનના ભાગરૂપે જળ માટેની વિવિધ યોજનાઓના સમન્વયથી તથા ગુજરાત સરકારના સતત પ્રયત્નોથી વડોદરા વહીવટી તંત્રએ પંચ જળ સેતુ જેવા આગવા પ્રોજેક્ટનો સફળ અમલીકરણ કરેલ છે.પાણી એ જીવનનું મૂળ છે.ભારતમાં પાણીની વર્તમાનમાં દર વર્ષે ૧૧૦૦ બિલિયન ક્યુબિક મીટરની જરૂરિયાત છે. જેને વર્ષ ૨૦૫૦ સુધીમાં ૧૪૪૭ બિલિયન કયુબિક મીટર સુધી વધવાની સંભાવના છે.એક સંસાધનના રૂપમાં જળ એ દેશ માટે મહત્વપૂર્ણ છે.

ભારતમાં સમગ્ર વિશ્વની કુલ વસ્તીના ૧૮ ટકા લોકો રહે છે.જળ સમૃદ્ધ ભારતના લક્ષને હાંસલ કરવા માટે દેશભરમાં વિવિધ રાજ્યો, જિલ્લા,વ્યક્તિઓ,સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા કાર્યો અને પ્રયાસોને પ્રોત્સાહિત કરવા વર્ષ ૨૦૧૮ થી વિવિધ ૧૧ કેટેગરીમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવે છે.

પંચ જલ સેતુ દ્વારા પાણીના સમુચિત પ્રબંધનના પાંચ વિવિધ પાસાઓના એક્સુત્રી સંકલન વડે આદર્શ જલ વ્યવસ્થાપનનું પ્રેરક મોડલ રજૂ કરનાર વડોદરા દેશનો પ્રથમ અને એકમાત્ર જિલ્લો છે.આ પાણી પ્રબંધનની દેશનું ધ્યાન ખેંચનારી કામગીરી રાજય સરકારના માર્ગદર્શન હેઠળ ટીમ વડોદરાએ કરી છે.

પંચ જલ સેતુ એ જળ આંદોલન દ્વારા જળ ક્રાંતિની દિશા દર્શાવી છે.તેમાં ઘર ઘર નલ સે જલ અને ભૂગર્ભ કુંવાઓને બદલે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા યોજનાઓએ એક નવી દિશા દર્શાવી છે.વડોદરા જિલ્લાએ પ્રત્યેક ઘરને નળથી પાણી મળે એવું આયોજન સાકાર કર્યું છે.

જ્યારે આયોજનની અન્ય કડીઓમાં વર્ષા જલ નિધિ હેઠળ જિલ્લાની ૧૦૦૦ થી વધુ સરકારી શાળાઓની છત પરથી વરસાદી પાણીને જમીનમાં સિંચવાની વ્યવસ્થા,જલ સેતુ હેઠળ ગામોના વપરાશી મલિન જળનું શુદ્ધિકરણ અને ખેતી જેવા હેતુઓ માટે તેના વેચાણથી યોજનાનું સંચાલન,સૂર્ય જલ પ્રકલ્પ હેઠળ ગ્રામ પાણી પુરવઠા યોજનાઓની ૨૨ ટાંકીઓ પર સોલર પેનલ બેસાડીને દૈનિક ૩૫૫ યુનિટ જેટલું વીજ ઉત્પાદન ગ્રીડમાં આપીને પાણી પુરવઠા વ્યવસ્થાનો ખર્ચ ઘટાડવો અને સુજલામ સુફલામ્ હેઠળ કેનાલો અને કાંસો,ચેક ડેમોની સફાઈ અને કાંપનો નિકાલ,હયાત તળાવો ઉંડા કરવા,નવા તળાવો ખોદવા જેવા કામો દ્વારા વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા જેવા આયોજનોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top