National

‘અંધશ્રદ્ધા જેવું કંઈ નથી…’ બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસે આપી ક્લીનચીટ

નવી દિલ્હી: બાગેશ્વર ધામના (Bageshwar Dham) મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shashtri) છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને તેમના ચમત્કાર અને નિવેદનને લઈને ચર્ચમાં આવ્યા છે. ત્યારે તેમના પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ અંધશ્રદ્ધા (superstition) ફેલાવી રહ્યા છે અથવા તો અંધવિશ્વાસને પોત્સાહન આપી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. પરંતુ આ કેસમાં પોલીસે (Police) તેમને ક્લીનચીટ (Clean Chit) આપી હતી.

તમને જણવી દઈએ કે નાગપુર પોલીસે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની ફરિયાદના કેસમાં બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ક્લીનચીટ આપી છે. પોલીસે કહ્યું છે કે વીડિયોમાં અંધ શ્રદ્ધા કે અંધવિશ્વાસ જેવું કંઈ નથી. પોલીસે તેનો લેખિત જવાબ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના પ્રમુખ અને ફરિયાદી શ્યામ માનવને મોકલી આપ્યો છે. વાસ્તવમાં નાગપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની ‘શ્રી રામ ચરિત્ર ચર્ચા’નું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ તેની સામે નાગપુર પોલીસમાં ફરિયાદ કરી હતી. સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

પોલીસે ફરીયાદીને લેખિત જવાબ મોકલ્યો હતો
આ ફરિયાદ પર નાગપુર પોલીસે તપાસ બાદ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને જવાબ મોકલ્યો છે. જેમાં પોલીસે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ક્લીનચીટ આપી હતી. નાગપુર પોલીસે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે તેમાં ધર્મના પ્રચાર સાથે જોડાયેલી સામગ્રી છે, તેમાં અંધશ્રદ્ધા જેવું કંઈ જોવા મળ્યું નથી.

શું છે સમગ્ર મામલો?
બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલું છે. અહીં મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી ‘દિવ્ય ચમત્કારિક દરબાર’નું આયોજન કરે છે. અહીં તેઓ દાવો કરે છે કે તેઓ તમારા વિશે બધું જ જાણે છે. ત્યાં આવતા લોકો તેમની સમસ્યા એક કાગળમાં લખે છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી તેમને કહ્યા વગર તેમની સમસ્યા તેમના કાગળ પર લખે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાન્યુઆરીમાં નાગપુરમાં ‘શ્રી રામ ચરિત્ર ચર્ચા’નું આયોજન કર્યું હતું. આ કથા 13 જાન્યુઆરી સુધી ચાલવાની હતી. પરંતુ તે 11 જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની ફરિયાદને કારણે આવું થયું છે. સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

કમિટીએ કયા આક્ષેપો કર્યા હતા?
સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ‘દિવ્ય દરબાદ’ અને ‘પ્રેત દરબાર’ની આડમાં ‘જાદુ ટોના’ને પ્રોત્સાહન આપે છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી પર સામાન્ય લોકોને લૂંટવાનો, છેતરપિંડી કરવાનો અને શોષણ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ ચેલેન્જ ફેંક્યો કે જો તેઓ તેમની વચ્ચે દિવ્ય દરબારનું આયોજન કરે અને ચમત્કાર બતાવે તો તેઓ તેમને 30 લાખ રૂપિયા આપશે. સમિતિનું કહેવું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ‘દિવ્ય દરબાર’ નામથી યોજાયેલી બેઠકોમાં બે કાયદાનો ભંગ થાય છે. પહેલો 2013નો મહારાષ્ટ્ર એન્ટી-વિચક્ર્રાફ્ટ એક્ટ છે અને બીજો 1954નો ડ્રગ્સ એન્ડ રેમેડીઝ એક્ટ છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો જવાબ
આ આરોપો પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે તેઓ કોઈ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા નથી અને ન તો કોઈની સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું હતું કે ‘હાથી બજારમાં જાય છે, ત્યારે હજારો કૂતરા ભસે છે.’ ત્યારથી ધીરેન્દ્ર શાસ્ત્રીના દાવાને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને આસ્થાનો મુદ્દો ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા ગણાવીને ધીરેન્દ્ર શાસ્ત્રી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

Most Popular

To Top