Business

T-20 અને વન ડે કેપ્ટનશિપ વિવાદ : વિરાટ કોહલી સાચો કે સૌરવ ગાંગુલી ?

ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટનશિપ મામલે ભડકેલા વિવાદની સાથે જ બે કેપ્ટન એકબીજાની કેપ્ટનશિપ હેઠળ રમવા ન માગતા હોવાની ચર્ચાઓ વચ્ચે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઇમાં કરેલી પ્રેસ કોન્ફરન્સ પછી આ વિવાદ શમવાને બદલે વધુ ભડક્યો છે. કોહલીની વાતો પછી એક સવાલ એ ઊભો થાય છે કે કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે, ગાંગુલી કે કોહલી? વિરાટ કોહલીએ T-20 અને વન ડે ટીમની કેપ્ટનશિપ મામલે જે વાતો કરી છે તે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરેલી વાતોથી વિપરીત છે. સૌરવ ગાંગુલીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે વિરાટે જ્યારે T-20 કેપ્ટનશિપ છોડવાની વાત કરી ત્યારે તેને એમ નહીં કરવાની વિનંતી કરવામાં આવી હતી.

આ ઉપરાંત વન ડે ટીમના કેપ્ટનપદેથી તેને હટાવવા મામલે પણ અગાઉથી તેની સાથે પસંદગી અધ્યક્ષ ચેતન શર્માએ વાત કરી હતી. જો કે વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં ગાંગુલીની આ વાતનો જ છેદ ઉડાવી દઇને કહ્યું હતું કે T-20 ટીમની કેપ્ટનશિપ નહીં છોડવા અંગે મારી સાથે BCCIના પદાધિકારીઓ દ્વારા કોઇ વાત કરવામાં નથી આવી. સાથે જ તેણે કહ્યું હતું કે વન ડે ટીમની કેપ્ટનશિપ મામલે મને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટેની ટેસ્ટ ટીમની પસંદગીની 90 મિનિટ પહેલા આ અંગે જાણ કરવામાં આવી હતી. કોહલીની પ્રેસ કોન્ફરન્સ પછી ક્રિકેટ ચાહકોએ આ મામલે સૌરવ ગાંગુલી પર સવાલ ઉઠાવીને તેનું રાજીનામું માગ્યું છે અને તેને પગલે BCCIના એક અધિકારીએ કોહલીના દાવાને ફગાવીને કહી દીધું છે કે કોહલીને તો સપ્ટેમ્બરમાં જ વિનંતી કરવામાં આવી હતી અને વન ડે કેપ્ટનશિપ મામલે સવારે જ તેની સાથે વાત થઇ ગઇ હતી.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે જ્યારે એવું કહ્યું કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમની પસંદગીની 90 મિનિટ પહેલાં મને વન ડે ટીમના કેપ્ટનપદેથી હટાવી દેવાયો હતો અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ મને કદી પણ T-20 ટીમની કેપ્ટનશિપ છોડવા બાબતે પુનર્વિચારણા કરવા માટે કહ્યું નથી ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં સૌથી પહેલો સવાલ એ ઊઠ્યો હતો કે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ અગાઉ કહ્યું હતું કે કોહલીને T-20 ટીમનું કેપ્ટનપદ ન છોડવા માટે અમે સમજાવ્યો હતો પણ તે ના માનતા વ્હાઇટ બોલ ક્રિકેટમાં બે કેપ્ટન હોવા યોગ્ય ન લાગતા અમે રોહિતને કેપ્ટન બનાવ્યો હતો, એ વાત શું ગાંગુલીએ એમ જ અદ્ધરતાલ કરી હતી.

કારણ વિરાટે એવું કહ્યું હતું કે જે નિર્ણય કરાયો, તે બાબતે જે પણ સંવાદ થયા અને એ બાબતે જે પણ કહેવામાં આવ્યું તે ખોટું છે. હવે કોહલી આટલેથી જ અટક્યો નહોતો પણ તેણે એવું પણ કહ્યું હતું કે 8 ડિસેમ્બરે ટેસ્ટ સીરિઝની પસંદગી બેઠકના દોઢ કલાક પહેલા મારી સાથે સંપર્ક કરાયો હતો અને તેના પહેલા T-20 કેપ્ટનશિપ બાબતે મારા નિર્ણયની જાહેરાત પછી મારી સાથે કોઇ વાત કરવામાં આવી નથી. કોહલીએ કહ્યું હતું કે જ્યારે મેં T-20 ટીમની કેપ્ટનશિપ છોડી તો ત્યારે મેં પહેલા BCCIનો સંપર્ક કર્યો હતો અને તેમને મારો નિર્ણય જણાવ્યો હતો, મેં તેમને કારણો જણાવીને કહ્યું હતું કે હું શા માટે T-20 ટીમની કેપ્ટનશિપ છોડવા માગું છું. BCCIના પદાધિકારીઓએ મારા નિર્ણયને પ્રગતિશીલ ગણાવ્યો હતો.

કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ખૂલીને બધી વાતો કરતાં BCCI ભડક્યું હતું અને તે પછી BCCI દ્વારા આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરવાના સ્થાને મીડિયાને છૂપી રીતે જાણ કરીને કોહલીના દાવાને ખોટા ગણાવ્યા હતા. હંમેશની જેમ તેના માટે મીડિયા દ્વારા પણ BCCIના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે જેવા વાક્યનો પ્રયોગ કરાયો હતો. આ કથિત BCCI અધિકારીએ કહ્યું હતું કે વિરાટ કોહલી એવું ન કહી શકે કે અમે તેને લુપમાં નહોતો રાખ્યો. અમે તેની સાથે સપ્ટેમ્બરમાં જ વાત કરીને T-20 કેપ્ટનશિપ નહીં છોડવા માટે કહ્યું હતું. હવે કોહલીએ જ્યારે T -20 કેપ્ટનશિપ છોડી જ દીધી હતી તો વ્હાઇટ બોલ ક્રિકેટમાં બે કેપ્ટન રાખવા યોગ્ય નહોતા. ચેતન શર્માએ વન ડેની કેપ્ટનશિપ સંબંધે ટેસ્ટ ટીમની પસંદગી માટેની મીટિંગની સવારે જ કોહલીને આ મામલે જાણ કરી દીધી હતી. BCCI દ્વારા જો કે આ મામલે સત્તાવાર કોઇ વાત કરવાના સ્થાને BCCIના એક અધિકારીવાળી જૂની પદ્ધતિ શા માટે અપનાવી તે સમજી શકાતું નથી.

 BCCI માટે સમસ્યા એ છે કે આ વખતે તેમનો પનારો કોહલી જેવા ખેલાડી સાથે થયો છે અને પહેલી વાર એવો કોઇ ખેલાડી પાક્યો છે જેણે BCCIની ત્રુટિઓ સામે આંગળી ચીંધી છે. બની શકે કે કોહલીની કેરિયર પર પડદો પડી પણ જાય, જો કે કોહલીના ફેન ફોલોઇંગને ધ્યાને લેતા એ કરવું એટલું સરળ પણ નહીં રહે એ વાત BCCIના ટોચના અધિકારીઓ જાણે છે અને તેથી જ તેઓએ અત્યારે ચૂપ રહેવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગે છે.

Most Popular

To Top