SURAT

સુરત: ડાયમંડ સહિતની પ્રોડક્ટ પર જો 25 ટકા ટેક્સ લાગે તો અમેરિકામાં માલ વેચવો જ મોંઘો થઈ જાય

સુરત: (Surat) પાંચ મહિના અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલયની ખાતરી છતાં 2 ટકા ઓનલાઇન ટ્રાન્ઝેકશન ટેક્સ (Online Transaction Tax) દૂર નહીં થતા અમેરિકામાં ભારતથી એકસપોર્ટ થતા હીરા (Diamond) સહિત 18 પ્રોડકટ પર નવેમ્બરથી 25 ટકા ઇમ્પોર્ટ ડયૂટી લાગુ થઇ શકે છે. પાંચ મહિના અગાઉ નેશનલ ફોરમ કાઉન્સીલમાં ભારત સરકાર દ્વારા બે ટકા ઇકવલાઇઝેશન લેવી દૂર કરવાની ખાતરી આપવામાં આવી હતી અને નોટીફીકેશન પ્રસિધ્ધ કરવા પર જાહેરાત કરવામાં આવી હતી. તે પછી મહિનાઓ વિતવા છતાં નોટીફીકેશન પ્રસિધ્ધ નહીં થતા સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગની ચિંતા વધી છે. આજે જેજીઇપીસીના ગુજરાત રિજીયનના ચેરમેન દિનેશ નાવડીયાની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી અને જીએસટી કાઉન્સીલના સભ્ય કનુભાઇ દેસાઇને બે ટકા ઓનલાઇન ટ્રાન્ઝેકશન ટેક્સ દૂર કરવા કેન્દ્રમાં મુદ્દો ઉપાડવા માગ કરી છે. આ પ્રતિનિધિ મંડળમાં રાજ્યના મંત્રી વિનુભાઇ મોરડીયા અને ધારાસભ્ય અરવિંદ રાણા પણ જોડાયા હતા.

પાંચ મહિના અગાઉ અમેરિકાની સરકારે જે દેશોમાં તેની પ્રોડકટ વેચવા સામે ટેક્સની વસુલાત થાય છે તેવા દેશોની પ્રોડકટ અમેરિકામાં ઇમ્પોર્ટ થતી હોય તો 25 ટકા ઇમ્પોર્ટ ડયુટી લાગુ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. ભારત સરકારે તે વખતે નેશનલ ફોરમ કાઉન્સિલમાં બે ટકાનો ઓટીટી ટેક્સ કાઢી નાખવાની ખાતરી આપી હતી. આ સમય મર્યાદા 31 ઓકટોબરે પૂર્ણ થઇ રહી છે ત્યારે અમેરિકન ઓથોરીટીએ 1 નવેમ્બરથી 25 ટકા ઇમ્પોર્ટ ડયુટી 18 પ્રોડકટ પર ફરી લેવાની હિલચાલ શરૂ કરી છે.

જો તેમ થશે તો ભારતના હીરા ઝવેરાત ઉદ્યોગને મોટુ નુકસાન થશે. જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 2 ટકા ઇકવલાઇઝેશન લેવી કાઢી નાંખવાની ખાતરી આપી હતી પરંતુ હજી નોટીફીકેશન પ્રસિધ્ધ થયું નથી. આ નોટીફીકેશન ઝડપથી પ્રસિધ્ધ થાય તે માટે રાજ્યના નાણા મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ કેન્દ્રના નાણા મંત્રાલય સાથે સંકલન કરી પ્રાયોરીટી ધોરણે આ પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી હતી.

હીરા ઉદ્યોગનું 2000 કરોડનું જીએસટી રિફંડ રિલીઝ કરો, નાણાં મંત્રી કનુ દેસાઈને GJEPCની રજુઆત

સુરત: હીરા ઉદ્યોગકારોનું 2000 કરોડનું પેન્ડિંગ રિફંડ છૂટું કરાવવા જીજેઈપીસીના રિજયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ આજે ગાંધીનગરમાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરી હતી. 2017માં જીએસટીનો કાયદો અમલમાં આવ્યો ત્યારે જોબવર્ક પર 5 ટકા જીએસટી સ્લેબ મુકવામાં આવ્યો હતો. જો કે, 6 મહિના બાદ જીએસટી સ્લેબ સમાન કરવામાં આવ્યો હતો. આ 6 મહિનાના સમયગાળા દરમિયાન હીરા ઉદ્યોગકારોએ 2 ટકા પ્રમાણે આઈટીસી પેન્ડિંગ રહી છે. આ ક્રેડિટ હાજી હીરા ઉદ્યોગકારોને મળી નથી. એકલા સુરત શહેરના હીરા ઉદ્યોગકારનું 2,000 કરોડનું રિફંડ અટવાઈ ગયું છે. આ રિફંડ તાત્કાલિક રિલીઝ થાય તે માટે રાજ્યના નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે હીરા ઉદ્યોગને લગતા પ્રશ્નોની નાણા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top