SURAT

સુરતની એસપીબી કૉલેજમાં વિરલ દેસાઈનું પર્યાવરણ સંરક્ષણ વિષયક વ્યક્તવ્ય યોજાયું

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સુરતની એસપીબી કૉલેજમાં પોતાના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું, જેમાં કૉલેજના એનએસએસના સોથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

કૉલેજના આચાર્ય ડૉ. વી.ડી નાયકના પ્રમુખ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિરલ દેસાઈએ ભારત સરકાર દ્વારા પાછલા દસ વર્ષમાં આદરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે ‘વિશ્વના મીડિયામાં એવું જ દર્શાવાય છે કે ભારત એટલે માત્ર પ્રદૂષણનો દેશ. અથવા તો કાર્બન ઉત્સર્જન માટે જાણે ભારત જ જવાબદાર હોય એમ મીડિયામાં આપણું ચિત્રણ થાય છે. પરંતુ ભારત જ એકમાત્ર એવો દેશ છે, જે હજુ પેરીસ કરારને વળગી રહ્યો છે.’

વિદ્યાર્થીઓ સમક્ષ આ વાતને વધુ વિસ્તારથી રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત સરકાર દ્વારા પાછલા દસ વર્ષોમાં અનેક એવા પર્યાવરણીય કાર્યો કરવામાં આવ્યા છે, જે કાર્યો આંતરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી શકે છે. આ કાર્યોમાં આપણે મિશન લાઈફ, નમામિ ગંગે કે બિગ કેટ્સ અલાયન્સ જેવા અત્યંત મહત્ત્વના કાર્યોનો સમાવેશ કરી શકએ છીએ.’

તેમના વક્તવ્ય દરમિયાન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સમક્ષ પર્યાવરણ સંરક્ષણને લગતા કેટલાક ફેક્ટ્સ પણ રજૂ કર્યા હતા. તો એસપીબી કૉલેજ સાથેના પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો રજૂ કરીને કૉલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં એનએસએસના કૉઑર્ડિનેટર ડૉ. સુનિલ રાજાણી તેમજ ડૉ. ફરિદાબેન માંડવીવાળા હાજર રહ્યા હતા.

Most Popular

To Top