Comments

ગુજરાતમાં શિક્ષણ અને શિક્ષકોની હાલત વિષે શિક્ષક દિવસે સર્વે થવો જોઈએ?

ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે .આ વિપક્ષનો આક્ષેપ નથી, સરકારે પોતે જ ગુણોત્સવ યોજીને અનુભવેલી બાબત છે. સરકારે ગુજરાતના શિક્ષણ માટે પોતે જ સ્વીકાર્યું છે કે તે સુધારવાની જરૂર છે. પણ આ માટે કોઈ નક્કર પગલાં લેવાને બદલે શિક્ષણ ખાતાના અધિકારીઓને આવેલા તુક્કા મુજબ દેખાડા થાય છે અને આમાં શિક્ષણમાં ભલીવાર આવતો નથી અને શિક્ષકોના નૈતિક બળને નુકસાન પહોંચે  છે. તે જો થોડું પણ આત્મ સન્માન ધરાવતો હોય તો અપમાનની લાગણી અનુભવે છે.પણ ગુજરાતમાં શિક્ષકો વેરવિખેર છે.

આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણના સમય પછી દેશભરમાં મંડળો અને શ્રમિક સંગઠનની ચળવળમાં ઘટાડો થયો છે. દેશમાં સામ્યવાદની વિચારધારા નબળી પડી અને મૂડીવાદમાં ઉછરેલી પેઢી મોટી થઇ. હવે તે ૨૫ વર્ષની છે અને નોકરીઓમાં આ પેઢીને સંગઠન આંદોલન આત્મસન્માન જેવા મુદ્દા બહુ આકર્ષક લાગતા નથી.માટે જ શિક્ષણ ક્ષેત્રનાં તમામ સંગઠનોમાં હવે પહેલાં જેવી લડાયકતા નથી રહી, માત્ર પગારવધારા માટે સરકાર સાથે વાટાઘાટો કરતાં આ સંગઠનો શિક્ષકના આત્મસન્માન અને અસ્તિત્વ માટે ક્યારેય અવાજ ઉઠાવતા નથી. એક સમય હતો જયારે અધ્યાપક મંડળ કે શિક્ષક મંડળનો દબદબો હતો. હવે આ મંડળો સભ્ય ફી ઉઘરાવવા સિવાય ક્યાંય કામ કરતા દેખાતા નથી. આ વાત એટલા માટે લખવી પડે છે કારણકે હમણાં હમણાં  સરકારનું શિક્ષણ ખાતું ખાડે ગયેલા શિક્ષણ માટે માત્ર ને માત્ર શિક્ષકોને જવાબદાર ઠેરવે છે.

શિક્ષકોની લાયકાત નક્કી કરવા અને ગુણવત્તા તપાસવા માટે બંધારણીય રીતે જ સત્તાઓ અને તે મુજબની સંસ્થાઓ છે. કોઈ અધિકારીને નીતિવિષયક નિર્ણય લેવાનો હક્ક બંધારણે આપ્યો નથી.હા એ વાત સાચી કે શિક્ષકે હમેશાં તૈયાર રહેવું જોઈએ. તે સતત વાંચતો વિચારતો રહેશે તો જ તે જેને ભણાવશે તે તૈયાર થશે.પણ શિક્ષકની પરીક્ષા લેવાનો નિર્ણય કોઈ અધિકારીએ લેવાનો નથી. આપણે ત્યાં સરકારી સ્કૂલોમાં શિક્ષકની ભરતી માટે તેમની લાયકાતો નક્કી કરવા તેમને ટ્રેનિંગ આપવા માટે વિવિધ સંસ્થાઓ છે જ.

આ સંસ્થાઓ દ્વારા શિક્ષકને સતત અપડેટ રાખવાનું કામ સરકાર કરી શકે, પણ આ પ્રકારે એક અધિકારીને તુક્કો આવે અને પરીક્ષાઓ યોજવા માંડશો તો સરકારે વિચારવું જોઈએ કે સરકાર આવી કુલ કેટલી પરીક્ષા લેશે.એમ તો ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં સરકારના પરિપત્રોની વિરુધ્ધમાં થયેલા કોર્ટ કેસોની યાદી બનાવો તો ખબર પડે કે આપણા અધિકારીઓ પણ બંધારણ અને કાયદાને નેવે મૂકીને પત્રો અને પરિપત્રો કરે છે, માટે આ અધિકારીઓની પણ પરીક્ષા લેવી પડે, તેમનું જ્ઞાન વખતોવખત તપાસવું પડે.

જે રીતે ગુજરાતની હોસ્પિટલોમાં જુદા જુદા કાંડ થયા છે તે જોતાં આપણા સરકારી દવાખાનાના દાકતરોની પણ ફરી પરીક્ષા લેવી ઘટે. અને હા, એક વરસાદે ધોવાઈ જતા રસ્તા કે તૂટી પડતા પુલના સરકારી એન્જિનિયરોની તો જ્ઞાન ચકાસણી થવી જ જોઈએ.તો આપણા માનીતા મંત્રીઓના જ્ઞાનનું તો શું કરવું એ જ મૂંઝવણ છે. ટૂંકમાં કહીએ તો સરકારી નોકરીમાં લાગ્યા પછી લાયકાત વખતોવખત તપાસતાં રહેવું જોઈએ એવું સરકાર માનતી હોય તો તે દરેક માટે સાચું હોવું જોઈએ. માત્ર શિક્ષકો માટે નહિ અને આ પરીક્ષાની વાત હજુ પતી નથી ત્યાં હવે પ્રાથમિકમાં ધોરણ છ થી નવમાં ભણતાં વિદ્યાર્થીઓને વધારે ભણાવવા માટે સ્કૂલો એક મહિના માટે એક કલાક વહેલી શરૂ થશે એવો ફતવો બહાર પડયો છે. સરકારને આપણે નમ્રપણે કહેવું જોઈએ કે સાહેબ સરકારી શાળાના શિક્ષકો એ સરકારનાં કર્મીઓ છે.

ગુલામો નથી અને પ્રતિનિધિઓ તો નથી જ નથી. તમે એક કલાક વહેલા સ્કૂલો ચાલુ કરીને એક કલાક વધુ ભણાવવાની વાત કરો છો તો પહેલાં શિક્ષકોને ચાલુ દિવસમાં નિયમ મુજબ ભણાવવા તો દો.એ પોલીયોનાં ટીપાં પીવડાવે ,મતદાર યાદી બનાવે ,તળાવો ઊંડાં કરાવે,શૌચાલયોની ગણતરી કરે, વસ્તી-ગણતરી કરે, પછી સમય વધે તો ભણાવે. આ હાલત તો સુધારો. પહેલાં ચૂંટણીની કામગીરી દર પાંચ વરસે જ આવતી. હવે પંચ વધારે એક્ટીવ થયું છે. ચૂંટણી પહેલાંના સમયમાં મતદારયાદી સુધારણા કરે છે અને શિક્ષકોને સતત ચૂંટણી પંચના આદેશો મુજબ કામ કરવા દોડવું પડે છે.

આ કામગીરી આમ તો ચૂંટણી પંચના અંડરમાં ગણાય, પણ જમીની હકીકત એ છે કે આ કામગીરી જે તે તાલુકાના મામલતદારને કરવાની હોય છે. આને મામલતદાર કચેરીઓમાં હવે આઉટ સોર્સીન્ગથી કામ કરતાં વહીવટી કર્મચારીઓ શિક્ષકો પર ફોનથી હુકમો ચલાવે છે. વોટસેપના જમાનામાં વોટસેપનો દુરુપયોગ થાય છે. આ કચેરી અડધી રાતે મોબાઈલ મેસેજ કરે છે અને શિક્ષકોને દોડતા કરે છે અને ભૂલમાંય જો ચૂક થાય તો મામલતદાર ચૂંટણી પંચના નામે સજાના હુકમો ફટકારવા માંડે છે. કાંટો લાજશરમ નેવે મૂકી શિક્ષકને અપમાનિત કરે છે અને આ શિક્ષકોની તરફેણ કરનારું કોઈ નથી.

ગુજરાતમાં શિક્ષણ અને શિક્ષકોની વાત કરવામાં બે ભાગ પાડવા જોઈએ. એક સરકારી શિક્ષણ અને બે ખાનગી શિક્ષણ અને શિક્ષકોમાં ખાનગી સ્કૂલમાં શિક્ષકો અને સરકારી સ્કૂલમાં શિક્ષકો. હવે સરકારને જો રાજ્યનાં તમામ બાળકોની તેમના શિક્ષણની ચિંતા હોય તો સરકારે રાજ્યમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ખાનગી સ્કૂલોમાં કેવું ભણાવાય છે તેની પણ ચિંતા કરવી જોઈએ, ત્યાં તો શિક્ષકો પણ લાયકાત વગરના છે.

એમને તો શિક્ષક થતી વખતે પણ કોઈ લાયકાતનાં ધોરણોનો સામનો નથી કરવો પડતો કે ના આ શિક્ષકોએ કોઈ કામગીરીમાં પણ લાગવું નથી પડતું. પણ ના આ ખાનગી સ્કૂલોમાં સરકારને કાંઈ નથી કરવાનું. ત્યાંના શિક્ષકો માટે કોઈ પરીક્ષા નથી આપવાની. ગુજરાતમાં શિક્ષકોની આ હાલત માટે શિક્ષકો પણ જવાબદાર છે. ચાણક્યના વાક્યને દીવાલ પર લખવાથી શિક્ષક અસામાન્ય નથી બની જતો. શિક્ષકો લાચાર છે. સરકારી સ્કૂલોમાં ફીક્ષ પગારના નિયમોએ એમને બાંધ્યા છે. વળી ચૂંટણી પંચનો ડર તેમના મનમાં ઘર કરી ગયો છે તો બીજી બાજુ ખાનગી સ્કૂલોમાં નોકરીની અનિશ્ચિતતા, બેકારીનું દબાણ તેમને બોલવા નથી દેતું. પણ આ યોગ્ય નથી.

ગુજરાતની નવી પેઢીને લડાયક, ચેતનવંતી બનાવવા માટે શિક્ષકોએ લડાયક થવું પડશે. પગાર સિવાયની વાતો માટે અવાજ ઉઠાવવો પડશે અને શિક્ષક પછી તે ખાનગીનો હોય કે સરકારીનો ,સ્કૂલનો હોય કે ટ્યુશનનો, કોલેજનો હોય કે સ્કૂલનો, બધાએ ભેગા થવું પડશે. શિક્ષક એ શિક્ષક છે અને અધિકારીઓને કોઈ અધિકાર નથી કે તે આનું મૂલ્યાંકન કરવાનો હક્ક નથી અને ખરેખર તો શિક્ષણ મંત્રીએ આ વાત કરવી જોઈએ, પણ કમભાગ્યે આ વાત આપણે કરવી પડે છે અને આનો ઉકેલ નથી એવું નથી. આનો ઉકેલ છે અસંગઠિત શિક્ષકોનું ભેગા થવું. હક્ક માટે, સ્વમાન માટે, એ માટે કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં જવું, પણ રોજ ઊઠીને પત્રો ને પરિપત્રોની જીહજુરી કરવી નહિ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top