World

Rishi Sunak In G20: પત્ની સાથે ખુલ્લા પગે અક્ષરધામ મંદિરે દર્શન માટે પહોંચેલા સુનક હીરો બની ગયા

G20 ના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે (Rishi Sunak) રવિવારે સવારે તેમની શ્રદ્ધા માટે થોડો સમય કાઢ્યો અને દિલ્હીના (Delhi) અક્ષરધામ મંદિરની (Akshardham Temple) મુલાકાત લીધી. આ દરમિયાન તેમની પત્ની અક્ષતા મૂર્તિ પણ તેમની સાથે રહી હતી. સુનકની મંદિરની મુલાકાતે સમગ્ર વિશ્વમાં એક મજબૂત મેસેજ મુક્યો છે કે આવનારા સમયમાં ભારત સાથે બ્રિટનના સંબંધો વધુ ગાઢ બનશે.

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક રવિવારે સવારે પત્ની અક્ષતા મૂર્તિ સાથે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે તમામ વિધિઓ સાથે ભગવાન સ્વામી નારાયણના દર્શન અને પૂજા કરી હતી. વરસાદ વચ્ચે પીએમ સુનક તેમની પત્ની સાથે મંદિર પહોંચ્યા હતા. G20 શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત પહોંચતા વડાપ્રધાન સુનકે કહ્યું હતું કે તેમને હિન્દુ હોવા પર ગર્વ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે G-20 સમિટમાં સુનક સાથે મુલાકાત કરી હતી અને વેપાર સંબંધોને ગાઢ બનાવવા અને રોકાણને પ્રોત્સાહન આપવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

દેશમાં આયોજિત G20 બેઠકમાં વિશ્વના શક્તિશાળી દેશોના અગ્રણી વડાઓએ હાજરી આપી હતી. પરંતુ બ્રિટનના વડા પ્રધાને સુનકે મહેફિલ લૂંટી લીધી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ ઋષિ સુનક જેટલું ધ્યાન ખેંચી શક્યા ન હતા. દિલ્હી એરપોર્ટ પર ઉતરાણથી લઈને અક્ષરધામ મંદિરની મુલાકાત સુધી અને શનિવારે રાત્રે આયોજિત ભવ્ય રાત્રિ ભોજનથી લઈને ઋષિ સુનકે રાજઘાટ પર જે રીતે પોતાની જાતને જબરજસ્ત રીતે રજૂ કરી છે તે ભારત પ્રત્યેના તેમના ભાવિ સંબંધો વિશેના પણ સંકેત છે.

યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે ‘હું ગૌરવપૂર્ણ હિંદુ છું (મને હિંદુ હોવા પર ગર્વ છે)’ કહેવાના પ્રશ્ન પર અક્ષરધામ મંદિરના ડિરેક્ટર જ્યોતિન્દ્ર દવેએ કહ્યું કે આ બિલકુલ સાચું છે. આજે આપણે જે જોયું તે એકદમ સાચું છે. તેમની આંખો અને કાર્યોમાં પ્રેમ અને ભક્તિ ખરેખર એક ભક્ત સમાન હતી. તે કોઈ રાજકીય નેતા તરીકે મંદિર ન્હોતા આવ્યા પણ એક ભક્ત તરીકે આવ્યા હતા અને તેમણે ખૂબજ લાંબા સમય સુધી પૂજા પણ કરી હતી.

બ્રિટિશ વડા પ્રધાનની ભારત મુલાકાતની માત્ર ભારત જ નહીં પરંતુ બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયોના સંગઠનોએ પણ ખૂબ પ્રશંસા કરી છે. G20 માં ઋષિ સુનકનો ક્રેઝ એવો હતો કે મોદી સરકારના મંત્રીઓ પણ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને મળવા માટે બેતાબ દેખાતા હતા. કલાવાથી લઈને બ્રિટિશ વડાપ્રધાનના હાથમાં રાખડી અને મંદિરથી રાજઘાટ સુધી ખુલ્લા પગે જવું આ તેમની શ્રદ્ધાએ તેમને દેશમાં હીરો બનાવી દીધા. નિષ્ણાતોનું માનવું છે કે આ રીતે સ્થપાયેલા સંબંધો ભારત અને બ્રિટન વચ્ચેના રાજદ્વારી સંબંધોને પણ મજબૂત બનાવશે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું
પીએમ ઋષિ સુનક સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટર પર પીએમ સુનક સાથેના પોતાના ફોટા શેર કર્યા અને લખ્યું હતું કે દિલ્હીમાં જી-20 સમિટના અવસર પર પીએમ ઋષિ સુનકને મળીને ખૂબ આનંદ થયો. અમે વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા અને રોકાણને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી. ભારત અને બ્રિટન એક સમૃદ્ધ અને ટકાઉ ગ્રહ માટે કામ કરવાનું ચાલુ રાખશે.

Most Popular

To Top