National

રાજસ્થાનના ભાજપના સાંસદ દિયા કુમારીનો દાવો: તાજમહેલ અમારો છે, અમારી પાસે પુરાવો છે

જયપુર: અલ્હાબાદ હાઈકોર્ટની (Allahabad High Court) લખનૌ (Lucknow) બેંચમાં દાખલ કરાયેલી અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને આગ્રામાં તાજમહેલની (Tajmahal) અંદર 20 ઓરડાઓ ખોલવા માટે નિર્દેશોની (directions) માંગ કરવામાં આવી હતી જેથી ખાતરી કરી શકાય કે ત્યાં હિંદુ મૂર્તિઓ અને શિલાલેખો છુપાયેલા છે કે કેમ. આ વિવાદ વચ્ચે જયપુરનાં રાજવી પરિવારના સભ્ય તેમજ રાજસ્થાનના ભાજપનાં સાંસદ દિયા કુમારીના નિવેદનથી નવો વણાંક આવ્યો છે. દિયા કુમારીએ જણાવ્યું કે તાજ મહેલ અમારા રાજવી પરિવારનો છે અને અમારી પાસે તેના પુરાવા છે.

આજ રોજ ફરીએક વાર તાજમહેલ ચર્ચાનો વિષય બન્યો છે. જયપુરનાં રાજવી પરિવારના સભ્ય તેમજ ભાજપનાં સાંસદ દિયા કુમારીએ દાવો કરતાં જણાવ્યું છે કે તાજમહેલનાં સ્થાને તેઓનો મહેલ હતો. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે જો પુરાવાની જરૂર હશે તો જયપુરના પૂર્વ શાહી પરિવારના અમારા ટ્રસ્ટનાં પોથી-ખાનામાં છે. જો કોર્ટ આ અંગે કઈ આદેશ અમને આપશે તો અમે દસ્તાવેજો રજૂ કરશું. તેમજ વધારામાં તેઓએ કહ્યું હતું કે દસ્તાવેજોમાં સ્પષ્ટતા થતી જોવા મળશે કે શાહજહાંને તે સમયે આ મહેલ પસંદ પડયો હતો અને તેઓએ આ મહેલને પોતાના કબજા હેઠળ લઈ લીધો હતો.

મળતી માહિતી મુજબ રાજસ્થાનનાં ભાજપના સાંસદ દીયા કુમારી હંમેશા ચર્ચામાં રહે છે. રામ જન્મભૂમિની સુનાવણી દરમિયાન રામના વંશજનો મુદ્દા અંગે આ રોયલ પરિવારના સભ્યએ દાવો કર્યો હતો કે તેઓ રામના વંશજ છે. આ અંગે તો તેઓ કોર્ટમાં નિવેદન આપવા પણ તૈયાર છે. ત્યારે તેમણે હવે તાજમહેલ મામલે નિવેદન આપ્યું છે.

અગાઉ આ મામલે બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ નિવેદન આપી ચુક્યા છે. તેમણે વર્ષ 2017માં જણાવ્યું હતું કે તેઓ તાજમહેલના દસ્તાવેજો સુધી પહોંચવાની તૈયારીમાં છે. શાહજહાંએ જયપુરના રાજા-મહારાજાઓને બળજબરીથી જમીન વેચવા કહ્યું હતું કે જ્યાં તાજમહેલ બાંધવામાં આવ્યો હતો. શાહજહાંએ તે લોકોને વળતર સ્વરૂપે 40 ગામડાઓ આપ્યા હતા.

2020માં તાજમહેલ અંગે RTI દાખલ કરવામાં આવી હતી
આ મામલે 2020માં અયોધ્યાના બીજેપી નેતા ડૉ.રજનીશ સિંહે આરટીઆઈ દાખલ કરી હતી. અરજી દાખલ કરવા પર તેમણે કહ્યું કે 2020 થી, હું તાજમહેલના બંધ ઓરડાઓ વિશે તથ્યો શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. મેં આરટીઆઈ દાખલ કરી હતી. આરટીઆઈનો જવાબ આપતાં, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે કેન્દ્રીય માહિતી આયોગને જાણ કરી હતી કે સુરક્ષાના કારણોસર આ રૂમોને તાળાં મારી દેવામાં આવ્યા હતા. તેમજ આ રૂમ વિશે કોઈ વિગત આપવામાં આવી નથી. સિંહે કહ્યું કે RTI માં મેં તાળાબંધ રૂમ અને તેને ખોલવા માટેના નિર્દેશો વિશે વિગતો માંગી હતી. જ્યારે મારા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે મેં લખનૌ હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને સરકારને આ રૂમો ખોલવા અને હિંદુ દેવતાઓ અને ધર્મગ્રંથો તેમની અંદર છે કે કેમ તે શોધવા માટે એક ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીની રચના કરવા નિર્દેશ માંગ્યો. નોંધનીય છે કે ઘણાં જમણેરી સંગઠનો દાવો કરે છે કે તાજમહેલ તેજો મહાલય, એક હિંદુ મંદિર છે.

Most Popular

To Top